કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૫. નિરાશા વિજયસ્મિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫. નિરાશા વિજયસ્મિતા


ગેબી નોબત આભની ગડગડે, ને વીજ ને ઝાપટાં
ચારેકોર કરે જમાવ, તરસી પૃથ્વી પ્રસન્ના બને,
ત્યારે આ ઉર ક્લિન્ન ખિન્ન બનતું કેવું વિનાકારણે!
કેવી તીવ્રપણે બધે ફરી વળે ઊંડી ઉદાસીનતા!

જેવી ઝમઝમ રણઝણાટ કરતી ખાલી ચડે અંગને,
તેવું દર્દ પરાસ્તના જ્વલનનું ઝીણું ધરૂજ્યા કરે:
કૈં કૈં આગત ને અનાગત બધાં કલ્પી અનિષ્ટો, અહો
પંપાળ્યા કરવું અને ગરકવું અંતે નિરાશા મહીં!

ને જો એમ જ છે, ભલે, જીવનની કાળી નિરાશા! ભલે,
ચાલી આવ અહીં લગીર થડકો રાખ્યા વિના, ઘેરી લે.
બીડી હોઠ દબાવ આ જિગરને, લે દાંતના ગ્રાહમાં;
કિન્તુ મા કરજે તું ઠાર, નહિ તો, રે તું જ ત્યાં હારશે.

જો તું કેસરિયાં કરી ઝઝૂમતું ના જોમ પ્રેરી શકે,
તો તો તું ન જયસ્મિતા, ફટ તને, શાની નિરાશા જ તું?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૧૫)