કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૮. રસ્તો નથી જડતો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૮. રસ્તો નથી જડતો


કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો હું માનું, ‘સિકંદર છો’;
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શાપ છે સંતાપ સહેવાનો;
ધરાથી દૂર ઊડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!
બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં;
ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)