કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પથસાથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. પથસાથી

દિને–રાત્રે, આંખે રૂધિરઝર અશ્રુ નીતરતાં,
નહીં શ્રદ્ધા–આશા–વચન–જલ; દાહો ભીંજવવા.
સદા સંગાથી આ જીવનમહીં સૌને મળી રહે,
નહીં કોઈને તું જીવનપથ સહપાન્થ ગણતો.

અરે એકાકી આ ઉદધિ નિજ મસ્તી મહીં રમે,
તુફાને ગાંડો વા મુદમય તરંગો વહવતો.
ભલે આવે કોઈ ઉર પર કદી સાથ કરવા
નહીં આવે તો યે ઉદધિ નિજ ઊર્મિરત સદા.

કહીં આંબા-ડાળો ટુહૂરવ પ્રમત્તે ગજવતો,
અને હૈયા-નીડે ટુહૂટુહૂ કરી સાદ જગવી
તને બોલાવે કોકિલ સુહૃદ તારો પુનરપિ;
અને કાવ્યે માગે પ્રતિધ્વનિ, તું તેને ય ભૂલતો?

અશ્રદ્ધા શ્રદ્ધા વા, નિજ હૃદય-દૌર્બલ્ય બલ વા,
દબાવી દે હૈયે, ઉદધિ પથ-સાથી તુજ થજો.

૧૩-૭-૧૯૪૧(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૬૬)