કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૫. વાંસળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૫. વાંસળી

પ્રહ્લાદ પારેખ

એક વાંસળી અંધારાની: નવલખ તારા છિદ્ર,
તેનાં નવલખ તારા છિદ્ર;
વગાડતો આકાશે કોઈ સુરગંગાને તીર,
ઊભો સુરગંગાને તીર.

પંખી પાંખો બીડે સુણતાં ધીમા થાય સમીર,
સુણતાં ધીમા થાય સમીર;
પુષ્પોની પાંખડીઓ મળતી, નેને મળતી નીંદ,
સૌને નેને મળતી નીંદ.

અણદીઠી આંખોથી ઝમતાં શબનમ કેરાં નીર,
સુણતાં, શબનમ કેરાં નીર;
અધીર વાંછા-પંખી મારાં ફરતાં નિજને નીડ,
આવી સૂતાં નિજને નીડ,

કોણ બજાવે બંસી એવી લાગે કરુણગભીર,
હૈયે લાગે કરુણગભીર ?
મુજ ભીતર કો આકુળ રાધા મળવા થાય અધીર,
તેને મળવા થાય અધીર !
(સરવાણી, પૃ. ૪૨)