ગુજરાતી ગઝલસંપદા/મધુકર રાંદેરિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મધુકર રાંદેરિયા

લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈં તો અહીં એકી સાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?

કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી,
‘પી’ ‘પી’ કહીનારા બોલે છે આ ‘પાજો’ ‘પાજો’ શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

નમન નમનમાં હોય છે કૈં વધતો ઓછો ફેર નકી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે.
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?

આ વાત નથી છાનીછપની ચર્ચાઈ છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે—‘મધુકર’નો મલાજો શા માટે?