ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તરુણપ્રભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તરુણપ્રભ(સૂરિ) [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચન્દ્રસૂરિના શિષ્ય. યશ:કીર્તિગણિ તથા રાજેન્દ્રચન્દ્રસૂરિ એમના વિદ્યાગુરુઓ. પછીથી જિનકુશલસૂરિ પાસે પણ એમણે શાસ્ત્રાભ્યાસ કરેલો. દીક્ષા બાલવયે ઈ.૧૩૧૨માં. દીક્ષાનામ તરુણકીર્તિ. આચાર્યપદ ઈ.૧૩૩૨માં. એમણે ૧૩૫૯માં જિનોદયસૂરિની પદસ્થાપના કરી તે પૂર્વે અન્ય ૩ ગચ્છનાયકોની પણ કરી હતી અને એ ગચ્છનાયકોના અલ્પાયુષ્યને કારણે વસ્તુત: ૨૫ વર્ષ સુધી ગચ્છભાર સંભાળ્યો હતો. ‘વિદ્વજજનચૂડામણિ’નું બિરુદ પામેલા આ કવિની ૭૦૦૦ ગ્રંથાગ્રની ગદ્યકૃતિ ‘ષડાવશ્યક બાલાવબોધ-વૃત્તિ/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૩૫૫/સં. ૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર; મુ.) અન્ય શાસ્ત્રાધારો ને ગાથા-શ્લોકોને સમાવીને અપાયેલી વિસ્તૃત સમજૂતી, દૃષ્ટાંતરૂપ કથાઓ, શિષ્ટ પ્રૌઢ સંસ્કૃતાઢ્ય બાની તથા પ્રવાહિતા-પ્રાસાદિકતાભરી સાહિત્યિક ગદ્યછટાને કારણે ઘણી નોંધપાત્ર બને છે. કવિએ કેટલાંક સ્તોત્ર-સ્તવનાદિ-સંભવત: સંસ્કૃતમાં-રચ્યાં હોવાનું નોંધાયું છે ને ૨ સ્તવનો તો ‘ષડાવશ્યક-બાલાવબોધવૃત્તિ’માં પણ ગૂંથાયાં છે. કૃતિ : ૧. (તરુણપ્રભાચાર્યકૃત) ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ, સં. પ્રબોધ બે. પંડિત, ઈ.૧૯૭૬ (+સં.); ૨. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજયજી, સં. ૧૯૮૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]