ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિ-નાયક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિ-નાયક(Anti-hero) : નવલકથા કે નાટકનું મુખ્ય પાત્ર ‘નાયક’ની સ્થાપિત વિભાવનાની વિરુદ્ધનું-સંસ્કારિતાના અભાવવાળું, કે મર્યાદિત અર્થમાં અસામાજિક-આલેખાયું હોય, અને તેના સંકુલ ચરિત્રની કેટલીક આગવી વિશેષતાઓ વડે ભાવકની સહાનુભૂતિ પ્રાપ્ત કરતું હોય ત્યારે તે ‘વિ-નાયક’ તરીકે ઓળખાય છે. ‘વિ-નાયક’ની વિભાવના વીસમી સદીના ઉત્તર ભાગમાં યુરોપમાં વિકાસ પામી. કિંગ્ઝલી એમિસ અને જ્હોન વેઈનની નવલકથાઓનાં પાત્રોએ આ વિભાવનાના ઉદ્ભવ અને પ્રચારમાં મુખ્ય ભાગ ભજવ્યો. તે યુદ્ધોત્તર સમાજની વિચારસરણીનું પ્રતિબિંબ ઝીલે છે. શરદચંદ્રની નવલકથા, ‘ચારિત્ર્યહીન’ કે મધુ રાયના એકાંકી ‘અશ્વત્થામા’ અને નવલકથા ‘ચહેરા’ના નાયકોને વિ-નાયક તરીકે મૂલવી શકાય. પૂર્વે ‘નાયક’ અને ‘ખલનાયક’ એમ બે સદંતર વિરોધી પાત્રોના આલેખનના આધારે રચાતી નવલકથા (કે નાટક)ના સ્થાને આવેલી સંકુલ ચરિત્રલેખનવાળી નવલકથા (કે નાટક)માં વિ-નાયકની વિભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પ.ના.