ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી

એઓ કાઠિયાવાડમાં આવેલ ગોંડળના મૂળ વતની; પણ અત્યારે લાંબા સમયથી કલકત્તામાં વસે છે. તેઓ જાતે ભાટીઆ છે. એમના પિતાનું પૂરું નામ વિઠ્ઠલદાસ દામોદર ઉદેશી, અને તેમની માતાનું નામ ડાહીબ્હેન ત્રીકમજી વેદ છે. એમનો જન્મ સં. ૧૯૪૮ના ચૈત્ર વદ ૧૨ને રોજ ટંકારામાં થયો હતો.

એમણે મેટ્રીક સુધીને અભ્યાસ કર્યો છે. સન ૧૯૦૭માં ‘સુંદરી સુબોધ’માં પ્રથમ લેખ લખી મોકલેલો, તે પછી એમની કલમનો પ્રવાહ સતત ચાલુ રહ્યા છે. છેલ્લાં નવ વર્ષથી ‘નવચેતન’ નામનું એક સચિત્ર માસિક છેક કલકત્તામાંથી કાઢે છે, તે જેમ ગુજરાતી સંસ્કૃતિનો પગદંડો અને અસર એટલા દૂરના પ્રદેશમાં જીવંત અને ગતિમાન રાખવામાં જેવી મુશ્કેલીઓ છે તેવી ત્યાંથી એક ગુજરાતી માસિક ચલાવવામાં રહેલી છે.

આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ‘નવચેતન’ જેવું એક મોટું, સચિત્ર અને લોકોપયોગી વાચન સાહિત્ય પૂરું પાડતું માસિક, ભારે ખર્ચ વેઠી અને પુષ્કળ શ્રમ લઈને નભાવવું, એ ખરે એક સાહસ છે; અને તે બદલ તેના તંત્રીને ખચિત અભિનંદન ઘટે છે. વળી વિશેષ ખુશી થવા જેવું એ છે કે ત્યાં કલકત્તામાં તેમણે ગુજરાતીઓનું એક કેન્દ્ર સ્થાપ્યું છે; જેથી ગુજરાતી જીવન ચેતનવંતુ રહે અને તેની અસર વિસ્તરે.

‘નવચેતન’ નિકળ્યું તે પહેલાં ‘કવિતા કલાપ’ અને ‘કેટલાક સંવાદો’, એ બે ગ્રંથો પ્રકટ કરી તેમણે એક સારા કવિ અને લેખક તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. એમની નવલકથાઓ ‘જંજીરને ઝણકારે’ અને ‘તાતી તલ્વાર’ મધ્યકાલીન ભારતના રાજપુત જીવનની શૌર્ય અને પ્રેમકથાના પ્રસંગો આલેખતી, વાચકવર્ગમાં વખણાઈ છે. પ્રથમ નવલકથાની ત્રણ અને બીજીની બે આવૃતિઓ નીકળી ચૂકી છે. આ બેઉ કૃતિઓ મુંબાઇની કૃષ્ણ ફીલ્મ કંપનીએ ચિત્રપટ પર ઉતારી છે.

એમને કળા પ્રતિ ખાસ આકર્ષણ છે; અને ‘નવચેતન’ દ્વારા પ્રજામાં એ શોખ કેળવવાનો એઓ સ્તુત્ય પ્રયત્ન સેવી રહ્યા છે.

એમના ગ્રંથોની યાદી:

કવિતા કલાપ સન ૧૯૧૮
કેટલાક સંવાદો ”  ૧૯૧૯
જંજીરને ઝણકારે ”  ૧૯૨૬
તાતી તલ્વાર ”  ૧૯૨૯