ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચંપકલાલ લાલભાઈ મહેતા
એઓ સુરતના વતની અને જ્ઞાતિએ વાલ્મિકિ કાયસ્થ છે. એમનો જન્મ તા. ૩ થી સપ્ટેમ્બર ૧૮૭૬ના રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ લાલભાઈ ડાહ્યાભાઈ મહેતા અને માતાનું નામ રૂક્ષ્મિણી ઉમેદરામ દીવાનજી છે.
એમણે પ્રાથમિક કેળવણી મુંબાઇમાં લીધેલી. ઇંગ્રેજીનો અભ્યાસ સુરતમાં શરૂ કરેલો. પછી વડોદરા હાઇસ્કુલમાં દાખલ થયલા; અને બી. એ.ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી સન ૧૮૯૫માં પાસ કરેલી. સન ૧૯૦૧માં એલએલ. બી. થયલા; અને સન ૧૯૦૪માં મુંબાઇ સેક્રેટરીએ ઓરિયંટલ ટ્રાન્સલેટરની ઑફીસમાં દાખલ થયા હતા. તેઓ અત્યારે એ ખાતામાં સીનીઅર ગુજરાતી ટ્રાન્સલેટરના હોદ્દા પર છે. એમનો પ્રિય વિષય ઇતિહાસ છે અને નોકરીના કામમાંથી મળતો અવકાશ તેઓ ઇતિહાસના પુસ્તકોના વાચન અને તે ગ્રંથોના અનુવાદ કરવામાં વ્યતીત કરે છે. સન ૧૯૦૯માં એમણે સર ઑલ્ફ્રેડ લાયલકૃત The Rise of British Dominion in India હિન્દુસ્તાનમાં ઇંગ્રેજી રાજ્યનો ઉદય એ નામથી અનુવાદ ગુ. વ. સોસાયટીને કરી આપેલો. સન ૧૯૧૧માં ‘બ્રિટિશ રિયાસત’ નામનું મોટું ૮૦૦ પાનાનું પુસ્તક મરાઠીમાંથી એજ સંસ્થા માટે લખી આપ્યું હતું. તે પછી એમણે ‘ઉદાર મતવાદ’ અને ‘સંરક્ષણવાદ’ એ બે પ્રસિદ્ધ ઇંગ્રેજી પુસ્તકોના તરજુમા કર્યા છે તેમજ જયસવાલકૃત Hindu Polity–હિન્દુ રાજ્ય વ્યવસ્થા એ નામનું પુસ્તક તૈયાર કરી આપવાનું કાંઈ સ્વીકારેલું છે.
એમના ગ્રંથોની યાદીઃ
[“The Rise of British Dom inion in India”નો અનુવાદ]
[‘Evolution of New Japan’નો અનુવાદ]
[‘Local Self Government in Ancient India’નું ભાષાંતર]