ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/હરિશંકર ઓઘડભાઇ ઠાકર
એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે; એઓ મૂળ કંથારીઆના (ધંધુકા અને રાણપુર વચ્ચે આવેલું એજન્સીનું ગામડું) વતની, અને એમનો જન્મ તા. ૩જી માર્ચ સન ૧૮૮૭ ના રોજ કાઠિઆવાડમાં ગઢડામાં થયો હતો. એમના પિતાનું નામ ઓઘડભાઇ અને માતાનું નામ જડીબ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૦૭ માં વઢવાણ શહેર પાસે આવેલા દેદાદરા ગામે સૌ. સાવિત્રીબહેન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે કંથારિઆમાં લીધું હતું અને પછી વિરમગામમાં અભ્યાસ કરી ગુજરાતી વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ મુંબાઇની આર્યસમાજની સંસ્કૃતશાળામાં લઘુકૌમુદી તેમ રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદ્ આદિ ધાર્મિક ગ્રંથોનું ત્રણ વર્ષ પર્યંત અધ્યયન કરેલું છે. તે દરમિયાન આર્ય પ્રતિનિધિ સભા પ્રતિમાસ રૂ. ૧૫ ની સ્કોલરશીપ તેમને આપતી હતી. ત્યારથી એમણે આર્યસમાજની સેવા કરવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે અને તેના અંગે અનેક પ્રકારની સાહિત્ય પ્રવૃત્તિ ઉપાડેલી છે. ત્રણ વર્ષ આર્યપ્રકાશનું તંત્રીપદ ધારણ કર્યું હતું. ઇતિહાસ અને ધર્મ એ એમના પ્રિય વિષયો છે, અંગ્રેજીનું સમૂળગું જ્ઞાન નથી પણ વર્તમાન સાહિત્યના વાચનથી તેઓ ચાલુ વિચાર પ્રવાહ સાથે સંસર્ગ રાખી રહ્યા છે.
: : એમની કૃતિઓ : :
| પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. | |
| ૧ | સંગીત શ્રેણી | ૧૯૧૦ |
| ૨ | જનોઈમાં ગાવાનાં ગીતો | ૧૯૧૧ |
| ૩ | જનોઇ | ૧૯૨૪ |
| ૪ | સૂર્યભેદન વ્યાયામનો અનુવાદ | ૧૯૨૯ |
| ૫ | આસન અને આરોગ્યનો અનુવાદ | ૧૯૨૮ |
| ૬ | હિન્દુજાતિમાં આર્યસમાજનું સ્થાન | ૧૯૨૯ |
| ૭ | મુસલમાન ભાઇઓને ખુલ્લોપત્ર | ૧૯૨૮ |
| ૮ | પ્રમાણસાગર | ૧૯૩૩ |