ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/નાગરદાસ રેવાશંકર પંડ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નાગરદાસ રેવાશંકર પંડયા

એઓ કાઠિયાવાડમાં આવેલા બરવાળા (ઘેલાશાહના) વતની, જ્ઞાતિએ ગુજરાતી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૨૯ મી નવેમ્બર સન ૧૮૭૩ માં રોજકા, તાલુકે ધંધુકામાં થયો હતો. માતાનું નામ કેશરબા વિઠ્ઠલજી ભટ્ટ અને પિતાનું નામ રેવાશંકર દોલતરામ પંડ્યા છે. સંવત ૧૯૬૪ માં એમનું લગ્ન પછેગામમાં શ્રીમતી શાન્તાગૌરી (ધીરજ) સાથે થયું છે.

બરવાળામાં સાત ધોરણ પૂરાં કરી અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ગુજરાતી સાતે ધોરણોમાં ઈનામ મળેલાં.

સાહિત્ય ક્ષેત્રમાં તેઓ મઢડાકરની સંજ્ઞાથી જાણીતા છે, અને એમનાં કાવ્યો, લેખો વિગેરે આનંદદાયક અને રસપ્રદ માલુમ પડેલાં છે.

હાલમાં તેઓ નિવૃત્ત થયેલા છે, પણ મૂળનો સાહિત્ય લેખન અને વાચનનો શોખ ચાલુ છે; શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર તેમ બોટાદના માસ્તર સ્વર્ગસ્થ દેવશંકર વૈકુંઠજી ભટ્ટે તેમના જીવન પર વિશેષ અસર પેદા કરી હતી.

સાહિત્ય અને કાવ્ય એ એમના પ્રિય વિષયો છે.

નામદાર શહેનશાહ પંચમ જ્યોર્જ-રાજ્યાભિષેકના શુભ પ્રસંગે હિંદમાં પધારતાં મુંબઈમાં તેઓશ્રી માટે સ્વાગત-ગીતની માગણી છાપાંદ્વારા થતાં આવેલાં સ્વાગત ગીતમાંથી એમનું સ્વાગતગીત પસંદગીમાં આવતાં ગવાયું હતું અને ઈનામ લાયક ગણતાં ઈનામ મળ્યું હતું.

આ સિવાય ભાવનગરના ના. મહારાજા સાહેબ તરફથી પણ વખતો વખત ઈનામો મળેલાં છે.

—:એમની કૃતિઓ:—

(૧) વિદુરને ભાવ ૧૯૦૭
(૨) યમુના ગુણુદર્શ ૧૯૦૮
(૩) શિકાર-કાવ્ય ૧૯૦૯

(અપ્રસિદ્ધ કૃતિઓ)

(૧) કર્મ-વિપાક (ઓરીજીનલ સાયંટીફીક)
(૨) કવ્યામૃત
(૩) ઘર ઉપયોગી વૈદક સંગ્રહ