ચિરકુમારસભા/અનુવાદક તરફથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અનુવાદક તરફથી

‘ચિરકુમારસભા’ કવિવર રવીન્દ્રનાથના ગ્રંથોમાં અનોખી જ ભાત પાડે છે. તે કૌતુકની રસભરી નવલકથા છે અને શ્રેષ્ઠ નાટકનાં ઉત્તમ તત્ત્વો પણ તેમાં છે. તેમાં પાને પાને નિર્મળ હાસ્યના તરંગો ઊછળ્યા જ કરે છે, અને સંવેદનશીલ વાચક પ્રસન્નતાપૂર્વક એ તરંગો પર સહેલ માણે છે. છેલ્લે વાર્તા જ્યારે પૂરી થાય છે ત્યારે તેના પણ મુખમાંથી ભરતવાક્ય નીકળી પડે છે કે ‘સર્વ કામાનવાપ્નોતુ સર્વ: સર્વત્ર નન્દતુ!’

આ અનુવાદ સદ્ગત મુરબ્બી શ્રી રામનારાયણભાઈ પાઠકને અર્પણ કરવામાં આવેલો છે. પહેલી આવૃત્તિ વખતે તેઓશ્રીએ આ પુસ્તક વાંચીને ‘ચિરકુમારસભા’ની જ શૈલીમાં મને એક લાંબો પત્ર લખેલો, જેમાં તેમણે નિર્મળ ભાવે પોતાની પણ ઠેકડી ઉડાવેલી. કમનસીબે એ પત્ર ટપાલમાં જ ગુમ થઈ ગયો. નહિ તો, મને ખાતરી છે કે ગુજરાતી પત્રસાહિત્યમાં એ પત્ર એક કીમતી ઉમેરારૂપ બન્યો હોત. આજે શ્રી પાઠકસાાહેબ હયાત નથી, પણ તેમના મધુર સ્વભાવની સ્મૃતિઓ હૃદયને ભરી રહે છે. એ મધુર સ્મૃતિઓને આ ગ્રંથ ફરી અર્પણ કરું છું.

આ વખતે છપાવતી વખતે આખોયે અનુવાદ મૂળ સાથે મેળવીને નવેસરથી તૈયાર કર્યો છે.


રમણલાલ સોની

૨૩ એ, સર્વોદયનગર-૧, સોલારોડ, અમદાવાદ-૬૧

તા. ૨૫-૧-૧૯૮૮