તપસ્વી અને તરંગિણી/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

આ નાટકમા ઋષ્યશૃંગના પ્રાચીનકથાનકની ઘટના આધાર તરીકે લીધેલી છે, પરંતુ બુદ્ધદેવ બસુએ પોતાની સર્જકકલ્પનાથી એને એક એવો ઘાટ આપ્યો છે કે આ કૃતિ આજના મનુષ્યના માનસનું તથા એની આત્મ-ઓળખની દ્વિધા-વેદનાનું નિરૂપણ બને છે. યુવાન વય થતાં પણ નર-નારીભેદથીય અજાણ એકાંતનિષ્ઠ તપસ્વી ઋષ્યશૃંગમાં, તરંગિણીના છલભર્યા આકર્ષણથી ને સ્પર્શથી સ્ત્રી-કામના એવી જાગી ઊઠે છે કે એ રસ્તે વળી જતાં એ એક દક્ષ યુવરાજ બની રહે છે, પણ પછી એવી પરિસ્થિતિ સરજાય છે કે એ આ રાજ્ય-સમૃદ્ધિ છોડીને નીકળી પડે છે – મૂળ આશ્રમમાં પણ ન જતાં એ, પોતાની ઓળખ પામવા અપરિચિત વિશ્વ તરફ ચાલી નીકળેે છે. તપસ્વીને લોભાવ્યાની જીતનો નશો ઊતરી જતાં, વારાંગના-પુત્રી તરંગિણીને પણ પ્રતીતિ થાય છે કે પહેલી વાર એણે પ્રેમનો અનુભવ કરેલો પણ એ ગુમાવીને તે સાધનરૂપ જ બની રહી. દ્વિધા અને પરિતાપને અંતે એ પણ બધી ભૌતિક સમૃદ્ધિ છોડીને પોતાના ખરા ચહેરાની શોધમાં નીકળી પડે છે. કામ-પ્રેમ-લગ્ન અંગે નારીની વેદના-સમસ્યાનું આલેખન પણ શાંતાના પાત્રનિમિત્તે અહીં સુપેરે થયું છે. આ કૃતિમાં લેખક પૌરાણિક વાતાવરણને અનુરૂપ પ્રશિષ્ટ ભાષાને તથા ક્યાંક કાવ્ય-અંશોને પણ પ્રયોજે છે. નાટ્ય-પ્રવાહને એ ક્યારેક મંદ ગતિ વાળો કરે છે, પરંતુ પરિસ્થતિ અને પ્રસંગોનું આલેખન એવા નાટ્યકૌશલથી થયું છે કે આ નાટકનું વાચન સહ્ય જ નહીં, રસપ્રદ પણ બને છે. અનુવાદ યથા-યોગ્ય થયો છે. તો, આવી એક વિશિષ્ટ કૃતિમાં જિજ્ઞાસાથી પ્રવેશીએ –

– રમણ સોની