દરિયાપારથી.../નવી નવી રીતે સ્વને ઓળખનારાં
કેટલીક વાર વિધિની વક્રતા એવી હોય છે કે કોઈ વ્યક્તિ જે કારણસર પ્રસિદ્ધિ પામી હોય છે તે જ કારણને લીધે ઉપાલંભ પણ પામ્યા કરે છે. આવું બનેલું દેખાય છે બહુશ્રુત, તેમજ બહુચર્ચિત, લેખક વિ.એસ. નાયપૉલ (૧૯૩૨-૨૦૧૮)ની બાબતમાં. એમની કલમ દ્વારા સતત લખાતાં રહેલાં પુસ્તકોને કારણે એ ઘણાં પારિતોષિક, તથા બ્રિટિશ સરકાર તરફથી ‘સર’નો સન્માનિત ખિતાબ પામી ચૂક્યા હતા. પણ સર્વોચ્ચ ગણાતા નોબેલ પારિતોષિકથી જાણે જાણી જોઈને જ એમને વંચિત રખાયા હતા, તથા હજી એ ત્રીજા વિશ્વમાંના ટ્રિનિડાડ નામના દ્વીપ-દેશમાંથી આવતી બદામી રંગની વ્યક્તિ તરીકેની ગણત્રી જ પામતા રહે છે. પાંચ દાયકા જેટલા લાંબા કાળ દરમ્યાન નાયપૉલનું સર્જનાત્મક લેખન ચાલતું રહ્યું હતું. અગિયાર જેટલી નવલકથાઓમાં ધ હાઉસ ફૉર મિસ્ટર બિશ્વાસ, અ બૅન્ડ ઈન ધ રિવર, ઈન અ ફ્રી સ્ટેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલી જ સંખ્યામાં લખાયેલાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ-ગ્રંથોમાં ઈન્ડિયા-અ વૂન્ડેડ સિવિલિઝેશન, અમૉન્ગ ધ બિલિવર્સ, બિયૉન્ડ બિલીફ વગેરે ગણાવી શકાય. બંને લંખન-પ્રકારોમાં વિષયવસ્તુની એકવિધતા અથવા સમાનતા આશ્ચર્યકારક લાગે છે. નાયપૉલના લેખનના કેન્દ્રમાં અવિચળ રીતે રહે છે ત્રીજું વિશ્વ અને એમાંના દેશો. આ કેન્દ્રની આસપાસ અર્થઘન અને અસરકારક શબ્દ-જાળ ગુંથતી રહે છે એમના ચિત્તને સદા યે ગ્રસી રહેતી વિચાર-ધારાઓ. એમની બે મુખ્ય મનોગ્રસ્તિ છે – એક, લેખક બનવું અથવા હોવું તે શું, અને બે, પરદેશી સત્તાધારીઓ ડેરા ઉઠાવીને જતા રહે પછી, તાજા સ્વતંત્ર થયેલા ગરીબ દેશોમાં, અરાજકતા ને અવ્યવસ્થાને કારણે શું બને છે તે. એમનાં પુસ્તકોમાં લાંચ-રુશ્વત, અંદર-અદરના વેર-ઝેર, ઘાતકી વર્તાવ, અને ખૂનામરકીનો કારમો ચિતાર હર-હંમેશ નાયપૉલના વાચકની સામે ખડો થતો હોય છે. “ અડધી-પડધી અવસ્થામાં રહી જવાનો શાપ પામેલા અડધા-પડધા સમાજો” સાથેની મુલાકાતો વાચકોએ સતત ખમવી પડતી હોય છે. નાયપૉલ પોતે આ બાબતથી અજાણ નથી જ, અને એક વાર એમણે ક્યાંક કહ્યું પણ છે, કે “મારું બધું સર્જન-કાર્ય ખરેખર એક છે, હું ખરેખર એક ખૂબ મોટો ગ્રંથ લખી રહ્યો છું.” જે પુસ્તકમાં આ કથન બહુ બળપૂર્વક સાચું પડતું જોવામાં આવે છે તેનું નામ છે ‘અ વે ઈન ધ વર્લ્ડ.’ નાયપૉલે એને નવલકથા કહી છે, પણ એ આત્મકથા કે સ્મૃતિકથા જેવી વધારે લાગે છે. એનો નાયક ઘણી રીતે નાયપૉલ સાથે સરખાવી શકાય એવો છે. એ પણ એના સર્જકની જેમ ટ્રિનિડાડથી ઇંગ્લૅંડ, ઇંગ્લૅંડથી આફ્રિકા, પાછો ટ્રિનિડાડ, ને વળી પાછો ઇંગ્લૅંડ પહોંચે છે. નવ હિસ્સામાં વહેંચાયેલું કથાનક અંગત, ઐતિહાસિક, વાર્તા-સ્વરૂપે, સંસ્મરણલેખ થઈને – એમ વિવિધ સ્તરો પર વિકસે છે. આમ તો પુસ્તક ચારસો પાનાંથી પણ ઓછું છે, પણ એનો વ્યાપ મહા-કથા જેવો છે. કથાનક દૂર દૂરની જગ્યાઓમાં, લાંબા કાળમાં પ્રસરતું જાય છે, ને એમાં કોલમ્બસ, રેલે, બોલિવાર જેવા આદ્ય-સાહસીઓ, એટલેકે ‘કોલોનિસ્ટો’, પણ હાજર થતા જાય છે. વિવેચકોએ નાયપૉલના ગદ્યને અત્યંત પ્રવાહી અને પ્રશસ્ય ગણ્યું છે, પણ કથાનકનું વાંચન કઠિન કહ્યું છે. “અ વે ઈન ધ વર્લ્ડ” પુસ્તકનો ઉઘાડ ઓગણીસસો ચાલીસના દસકાના ટ્રિનિડાડના મુખ્ય શહેર પોર્ટ ઑફ સ્પેઇનમાં થાય છે, જ્યાં નાયપૉલની કિશોરવય વીતી, અને જે એમની નવલકથાઓમાં ફરી ફરી દેખાતું જ રહે છે. એ એવો સમય હતો કે જ્યારે સારામાં સારી નોકરીઓ માટે રાજ્યકર્તાઓ છેક ઇંગ્લૅંડથી શ્વેત કર્મચારીઓને બોલાવી લેતા. લાયક હોય તોયે સ્થાનિક વ્યક્તિઓ જ્યાં ને ત્યાં નકાર પામતી રહેતી. ઘણાં સ્થાનિક નાગરિક ભણવા, કમાવા, સુખી થવા પરદેશોમાં -ઇંગ્લૅંડ, સ્પેઇન, વેનેઝુએલા- જતાં રહેતાં. પણ એમનાં દિલ માતૃભૂમિ માટેના ઝુરાપામાંથી મુક્ત થઈ ના શકતાં. બે નિવાસ-સ્થાનોમાંથી ક્યાંયના પૂરેપૂરા થઈને નહીં રહી શકવાની એ સંભ્રાંત સ્થિતિ પર નાયપૉલે વારંવાર લખ્યું છે. અહીં પ્રવક્તા દ્વારા એ કહે છે, “વારસાનું રહસ્ય હું સમજાવી શકું તેમ નથી. આપણે આપણાં મા-બાપ અને દાદા-દાદી અંગે તો જાણતાં હોઈએ છીએ, પણ વારસામાં પામ્યાં હોઈએ તે બધાં લક્શણો આપણે સમજી શકતાં નથી. ઘણી વાર આપણે આપણી જાતથી જ અળગાં થઈ જતાં હોઈએ છીએ.” ઐતિહાસિક રીતે જાણીતા થયેલા કેટલાક આદ્ય-સાહસીઓ નવા વિશ્વને નામે વધારે સત્તા અને ધનની લાલસાથી નીકળી પડેલા, ખોટી દિશામાં ગયા પછી પણ આગળ ગયેલા, પોતે હેરાન થયેલા, ત્યાં ત્યાંની પ્રજાને ખૂબ હેરાન કરેલી, ને છેવટે પોતે ખુવાર થઈ ગયેલા. આનું કારણ એક રીતે સાહસની ઘેલછા અને જાત સાથે છેતરપીંડી હતું, તો બીજી રીતે, એ બધા પોતપોતાની જાતને નવેસરથી સર્જવા, પ્રાપ્ત કરવા ઝંખતા હતા. સૌથી ઓછો જાણીતો થયેલો સાહસી, વેનેઝુએલા દેશનો, ફ્રાન્સિસ્કો મિરાન્ડા નામનો એક ધનિક પુરુષ છે, ને એ આ પુસ્તકમાં સ્થાન પામ્યો છે. એને વિષે નાયપૉલ લખે છે કે “ એ અધૂરાપણાનો ભાવ અનુભવતો હતો, અને જ્યારે બહારના વિશ્વમાં પહોંચે છે ત્યારે એને નવેસરથી જાતને શોધવી પડે છે. એનામાં મેં મારા જ કેટલાક અંશો જોયા.” મિરાન્ડાની જીવન-વાર્તા નાયપૉલે બહુ લંબાણથી અને ઘણી સહાનુભૂતિ સાથે લખી છે. કેટકેટલી ક્રાંતિઓ નિષ્ફળ જતી હોય છે – ઐતિહાસિક તેમજ અંગત. કોઈ કોઈ વ્યક્તિ નથી જન્મના દેશમાં સંપૂર્ણતા પામી શકતી, નથી બીજા આધુનિક દેશોના ધનાઢ્ય સમાજોમાં સ્થિરતા પામી શકતી. પુસ્તકના શીર્ષક પ્રમાણે, આવી વ્યક્તિઓ, વિશ્વમાં પથ શોધતી નીકળી પડે છે ખરી, પણ ઘર જેવા સ્થાનનો કોઈ સ્પષ્ટ આકાર, કે ઉષ્માભર્યો આધાર એ કદિ પ્રાપ્ત કરી શકતી નથી. ૪૦-૪૫ વર્ષ બહાર રહ્યા પછી, તથા અપૂર્વ માન-સન્માન પામતા રહ્યા પછી પણ, નાયપૉલ પોતે પણ આવી જ એક વ્યક્તિ બનીને રહેલા છે. પોતાના નાયકોનો અપૂર્ણતાનો ભાવ તે નાયપૉલના નિજી સંવેદનોનું સીધું આરોપણ છે, તે બાબત ઘણી સર્ચાયેલી છે. વિવેચકો એમના લેખનમાંના સૂરને “ સ્વ-દેશથી દૂર વસતી વ્યક્તિનો અવાજ” કહી ઓળખાવે છે. નાયપૉલના પોતાના કહેવા પ્રમાણે, પોતાના સર્જનાત્મક લેખનને લીધે જ, પછાત દેશના બંધિયાર વાતાવરણમાંથી એ છટકી શક્યા; એક અર્ધ-ભૂખ્યા ગામડિયામાંથી વિશ્વ-વિખ્યાત સર્જકમાં પોતાને રૂપાંતરિત કરી શક્યા. કલમને સહારે જિંદગીભર એમણે ભૂતકાળને પકડવા પ્રયત્ન કર્યા, ને સાથે જ, એ જાણતા પણ હતા જ કે જેને છોડ્યો તે જન્મ-દેશની વાસ્તવિકતા પકડાતી નથી જ હોતી. નાયપૉલની સર્જનાત્મક કલમ દ્વારા ઘર-ઝુરાપાનું સંવેદન દરેક અન્યદેશસ્થાયી વ્યક્તિ માટે મૂર્તિમંત બન્યું છે. એમનું પોતાનું નામ સાહિત્યમાં ઉત્તમના પર્યાય સાથે જોડાઈ ગયું છે.