દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૬. સર્વ સારસંગ્રહની ચોપડી વિષે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭૬. સર્વ સારસંગ્રહની ચોપડી વિષે


દીઠી એક દેવી અમેરે, જેના ગુણ ગણતાં ન ગણાય;
તેની સાબિત જન જે સજેરે, અજ્ઞાની પણ જ્ઞાની થાય.          દીઠી

સાચી હોય જો સોપડી રે તોપણ ચોપડી ધારે નામ;
એવી એની છે નમ્રતારે, આપે નામ શિખામણ આમ.          દીઠી

જ્ઞાની સાથે વાતો કરેરે, અજ્ઞાની આગળ રહે ચૂપ;
કાંઈ બોલાવી નહિરે, હોય ભલે તે મોટો ભૂપ.          દીઠી

સ્વપને ન કરી હોય મુસાફરીરે, તેને પણ દિલ જાણે જ્યોત;
બેઠાં-બેઠાં બંધુએ જુએરે, પર્વત નદીઓ સાગર સોત.          દીઠી

દેશો દેશે દેખી વળેરે, એવો એનો પૂર્ણ પ્રતાપ;
શિક્ષા એની જો માનીએરે, આપે ઉત્તમ સુખ અમાપ.          દીઠી

જો કદી અંતર આપણુંરે, દેખે તે કેવી ઉદાસ;
રૂડી રીતે રંજન કરેરે, કાપી નાખે છે કંકાસ.          દીઠી

જૂની વાતો જાણે બધીરે, જેવી ઘરડી ડોશી હોય;
ઉચરે આપણી આગળેરે, બીજું કહી શકે નહિ કોય.          દીઠી

વળી તે વૈદું જાણે ઘણુંરે, ઓસડ વેસડની બહુ વાત;
શીખવે આપણને સ્નેહથીરે, રાખી રાખીને રળિયાત.          દીઠી

ખાંતે જ્ઞાન ખગોળનુંરે, આપે આપણને અત્યંત;
સુરજ ચંદ્ર ગ્રહણ વિષેરે, એવા ઉચરે મર્મ અનંત,          દીઠી

સંકટ આવે કાંઈ જ સમેરે, એને પૂછો જઈ ઉપાય;
તો તે બાઈ બતાવશેરે, જો માનો તો સંકટ જાય.          દીઠી

જગ સૃજનારે એને સૃજીરે, કોટિક આપણા સુખને કાજ;
માટે રાખો મનમાં તમેરે, એના ઉપર પ્રીતિ આજ.          દીઠી

એની સાથે એકાંતમાંરે, બેઠા હોઈએ કોઈ ઠામ;
જાણે સો જન સાથે છૈયેરે, દિલમાં ભાસે દલપરામ.          દીઠી