ધ્વનિ/વિધાતાને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિધાતાને

હજી આ હૈયાનો વ્રણ રુધિરથી છે નીંગળતો,
ત્યહીં તારાં ખારાં દૃગ લવણ કેવું ઉલટથી
ભરે? -એથી છું કૈં વ્યથિત, અનુકંપા પણ કશી
વહે તારો ન્યાળી અબલ ઉછળાટે વસવસો!

ઝીલ્યા છે આ અંગે અગણ જખમો એથી ય વધુ
ઝીલ્યા છે મસ્તાના વનવિહગ જેવા મનતણી
ઉઘાડેલી પાંખે, ઉર થિજવનારી સકલની
કથાએ છે નાનું જીવતર મહાભારત બન્યું.

પ્રહારોથી રીઢું જીવન બનિયું એવું પણ ના:
ચકામાં કેરી છે અભિનવ ત્વચા કોમલતર,
સહેવામાં-જેવી હિમથી અમરાઈ મુકુલિત
બને તેવી-મ્હોરી હૃદય મુજ હેતાળ કરુણા.

વીંઝી રે’ તું તારી, ચરમ બલથી, વજ્ર ચપલાઃ
અને જો ગોરંભ્યા સજલ ઘનની વૃષ્ટિ–રમણા.

૧૩-૨-૪૭