પરમ સમીપે/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

[બીજી આવૃત્તિ]

જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ તરફથી તેના મંગલ પ્રારંભ રૂપે પ્રાર્થનાઓના આ પુસ્તક ‘પરમ સમીપે’નું પ્રકાશન કરવામાં આવ્યું; અને તેને એટલો આવકાર મળ્યો કે પ્રકાશન પછી માત્ર દોઢ જ મહિનામાં તેની પ્રથમ આવૃત્તિ સમાપ્ત થઈ ગઈ અને બીજી આવૃત્તિ પ્રગટ કરવાનો સમય આવ્યો. સ્વાભાવિક રીતે જ આ અમારે માટે આનંદ અને પ્રેરણાની બાબત છે. અમારા પર આવેલા અસંખ્ય અંગત પત્રો જણાવે છે કે આ પ્રાર્થનાઓ તેમના જીવનની નિત્ય સાથી સમી બની ગઈ છે. આ હકીકતે અમારી પ્રવૃત્તિમાં શ્રદ્ધા અને બળ પૂર્યાં છે. ‘પરમ સમીપે’ની બીજી આવૃત્તિ પણ મૌજ પ્રિન્ટિંગ બ્યૂરોમાં મુદ્રિત કરવા છતાં, પહેલી આવૃત્તિ કરતાં તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે, જેથી તે વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે. અમને વિશ્વાસ છે કે આ પ્રાર્થનાઓનું નિત્ય વાંચન જીવનમાં શાંતિ અને મુશ્કેલીઓ પ્રત્યે જોવાની એક નવી દૃષ્ટિ આપશે. સત્ત્વશીલ પુસ્તકો ઘેર ઘેર વંચાતાં થાય એ હેતુથી, સંસ્થા તરફથી આ પ્રકારનાં બીજાં પુસ્તકોનું પણ પ્રકાશન કરવાની યોજના છે. આશા છે કે આપ સહુનો તેમાં સહકાર મળી રહેશે.

મુંબઈ : ૧-૩-૧૯૮૩

જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વતી
વિમળા જયવદન તક્તાવાલા

                           

[ત્રીજી આવૃત્તિ]


વાચકોનો મોટા પ્રમાણમાં સહકાર મળતાં ફક્ત દોઢ મહિનાના ટૂંકા સમયમાં બીજી આવૃત્તિની તમામ નકલો વેચાઈ ગઈ હોવાથી આ ત્રીજી આવૃત્તિ કશા પણ ફેરફાર વિના પ્રગટ કરીએ છીએ.

મુંબઈ : ૧-૭-૧૯૮૩

વિમળા તક્તાવાલા


[ચોથી આવૃત્તિ]

લગભગ એક વર્ષના સમયમાં પુસ્તકની ત્રણ આવૃત્તિની કુલ દસ હજાર નકલો વેચાઈ ગઈ એ અમારે માટે આનંદનો વિષય છે. પુસ્તકને મળેલા આવા સુંદર સહકાર માટે અમે વાચકોના આભારી છીએ. ચોથી આવૃત્તિ કશાયે ફેરફાર વિના છાપી છે.

મુંબઈ : ૧-૫-૧૯૮૪

વિમળા તક્તાવાલા

[દસમી આવૃત્તિ]

૧૯૮૨માં ‘પરમ સમીપે’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી. આજે ૧૯૯૫માં એની દસમી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે સહજપણે જ આનંદની વાત છે. વાચકોએ એને ખૂબ આવકાર આપ્યો છે. તેની પ્રતીતિ કેવળ એની નકલોની સંખ્યા પરથી જ નહિ, નજીકથી ને દૂરથી, જાણ્યા-અજાણ્યા-અણધાર્યા ખૂણેથી આવેલા સંખ્યાબંધ પત્રો પરથી મળી છે. મૂંઝવણમાં મુકાયેલા અનેક લોકોને એના વાચનથી મનની શાન્તિ મળી છે, અનેક ઘવાયેલા હૃદય પર શીતળતાનો લેપ કર્યો છે, અનેક હતાશ, દુઃખી, વિષાદથી છેરાયેલા લોકોના જીવનમાં પરમતત્ત્વ પ્રત્યે શ્રદ્ધાનો દીવો પેટાવ્યો છે. રોજિંદા માનવજીવનના વિવિધ સુખદુખના પ્રસંગો સાથે વણાયેલી આ પ્રાર્થનાઓના શબ્દો ક્યારેય જૂના થતા નથી, કારણ કે એની પાછળ સનાતન ભાવ રહેલો છે. આ શબ્દો જીવનમાં સદાય અજવાળું પાથરતા રહે, એ પરમ સમીપે પ્રાર્થના.

નંદિગ્રામ
વલસાડ ૩૯૬ ૦૦૭
સપ્ટેમ્બર ૧૯૯૫

કુન્દનિકા કાપડીઆ


પ્રાર્થના કરવી એટલે ફરી ફરી
શબ્દો ઉચ્ચારવા — એમ નહિ;
પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી,
પરમાત્માનું ચિંતન અને અનુભવ.
સ્વામી રામતીર્થ

પ્રાર્થના માગણી નથી
આત્માની ઝંખના છે.
પ્રાર્થના, ડોશીમાનું
નવરાશની પળોનું મનોરંજન નથી;
પ્રાર્થના અંતરનું જોડાણ છે.
ગાંધીજી