બાબુ સુથારની કવિતા/જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૬. જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે

જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
દેવો કામ ન લાગે
ત્યારે પૂર્વજો કામ લાગે
જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને
કઈ રીતે જોડી શકે
આપણા જગત સાથે?
હું જાણું છું કે પૂર્વજો સ્વર્ગમાં નથી રહેતા
એ રહેતા હોય છે આપણામાં
આપણા જીવની તદ્દન પાડોશમાં જ હોય છે એમનું ઘર
મને લાગે છે કે જ્યારે શબ્દો
અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે
માણસોએ હાથમાં નાળિયેર લઈને
દેવોની શોધમાં નીકળવાને બદલે
એણના પૂર્વજોને હાકલ કરવી જોઈએ
કેમ કે દેવો સ્વર્ગમાં રહેતા હોય છે
મેં હમણાં જ બૂમ પાડી મારા બાપાના નામની
અને એ હાજર થઈ ગયા
હાથમાં હોકો લઈને
અને હું કહું એ પહેલાં જ
એમણે મારા શબ્દોને
જોડી દીધા મારા જગત સાથે
જય હો બાપાનો
જય હો બાપાના બાપાનો પણ
આ કવિતા મેં એ જોવા જ લખી છે કે
બાપાએ મારા શબ્દોને મારા જગત સાથે
બરાબર જોડ્યા છે કે નહીં.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)