બાળ કાવ્ય સંપદા/પંખીઓનો આનંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પંખીઓનો આનંદ

લેખક : ગો. ક. દેલવાડાકર
(1869-1935)

(કુંડળિયા છંદ)

ડોલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન,
ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુંદર ગાન;
ગાતાં સુંદર ગાન, ધ્યાન ઈશ્વરનું ધરતાં,
કરતાં વને કલ્લોલ, રોજ આનંદે ફરતાં;
સંપે રે’તાં સાથ, પ્રીતનો પડદો ખોલે.
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે.

કોઈ વનફળ ખાય છે, કો કણ ચણતાં જાય;
કોઈ ચૂસે છે ફૂલરસ, વનસ્પતિ કોઈ ખાય;
વનસ્પતિ કોઈ ખાય, જાય દોડી જળઘાટે,
સંપે સૌ મળી ના’ય, પછી વળતાં નિજ વાટે;
સાંજે પોઢે માળ, જંપતાં બાળક જોઈ,
ઊઠી મળસકે ધાય, ખાય છે વનફળ કોઈ.

ફળ ઝૂલે ભલી ભાતનાં, મેવો વિધવિધ જાત,
પંખી સૌ પ્રીતે જમે, દીધો દીનાનાથ;
દીધો દીનાનાથ, પાક ખેતરમાં પૂરો,
ખાએ રાખી ખંત, ખૂટે નહિ માલ મધુરો;
ધરી સદા સંતોષ, પીએ નિત્યે જળ નિર્મળ,
આવી ઠરે નિજ ઠામ, ભલી ભાંતે ઝૂલે ફળ.