બાળ કાવ્ય સંપદા/શણગાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શણગાર

લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)

જો ચાંદાને કારીગર કો નાખે મહીંથી કોરી,
તારા પગનું ઝાંઝર બહેની ! કેવું થાય રૂપેરી !

ફરતી તારાઘૂઘરી ટાંગે,
તો તે કેવું સુંદર લાગે !

સોનાનો આ સૂરજ, બહેની ! કિરણ એનાં ચોરી,
નવસરિયો જો હાર બનાવે કારીગર કો લહેરી;

માંહી રતન જડી દે થોકે,
દીપે કેવો તે તુજ ડોકે !

નાની-સ૨ખી શુક્રકણીને નથડીમાં દે નાંખી,
તારું નમણું નાક રૂપાળું જોઈ રહે સૌ તાકી;

એની જ્યોત અજબ ઝળકે,
જાણે ઊગતી ઉષા મલકે !

ને આ આભ તણી મલમલથી નાનો કટકો ફાડી,
ફરતી ભાત ભરી કો સીવે ઓઢણી તુજ રૂપાળી;

તારો સુંદર સાળુ જોઈ,
બહેની, વિશ્વ બધું રહે મોહી !

વીજળીનો કંદોરો કેડે, ફૂલનાં કંકણ હાથે,
પરીઓ પણ જોવાને આવે તુને નમતે માથે;

બહેની ! થાય મને ઉર એવું !
ક્યારે થાય ચહું હું તેવું !