ભજનરસ/એક દેહ, એક આતમા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક દેહ, એક આતમા

એક દેહ, એક આતમા, તેમાં ભિન્ન ભિન્ન જીવ ભાસે,
એ કારણ અંતઃકારણનું, બુદ્ધિ બોધ પ્રકાશે.

જે વાસમાં ચક્ષુ વિશે, તેવો દિનકર દેખે,
શામ શ્વેત પીત વરણ, પરપંચમાં પેખે,

બુંદ પડે બહુ ભાતનાં, જાડાં ને કાંઈ ઝીણાં,
ધન ગગનમાં એક છે, નંઈ કાંઈ મોટાં ને હીણાં.

સ્વાત બુંદ એક આતમા, જ્ઞાને લેજો ગોતી,
અંતઃકરણમાં આવતાં એક વિષ ને એક મોતી.

જેવા જેને સદ્ગુરુ મળે, તેવું તે જાણે,
આંટી પડી અજ્ઞાનની, તે લઈ ગુણમાં તાણે.

હું-તું-પણું એ અણછતું, મારું ને તારું,
વિગત નથી વસ્તુ વિશે, પોતાનું ને પ્યારું,

સૂતાને સંશય ઘણો, પરપંચમાં પ્રમાણે,
મૂળદાસ કહે બ્રહ્મ મૂળગો, જાગે તો જાણે.

એક દેહ એક આતમા, તેમાં ભિન્નભિન્ન જીવ ભાસે.

રાતનાં અંધારાં ગળતાં હોય ત્યારે રામગરીના સૂરમાં વહેતું આ ભજન જીવને ધીરે ધીરે જગાડે છે મોહની નિદ્રામાંથી, સ્વપ્નની માયાજાળમાંથી.

એક દેહ... બોધ પ્રકાશે

દરેક પ્રાણીનો દેહ પંચભૂતનો બનેલો છે, તેમાં આત્મા પણ એક જ રહેલો છે, છતાં ભિન્ન સ્થિતિ અને ભિન્ન દૃષ્ટિનો પાર નથી. જીવ માત્ર જુદો લાગે છે, કારણ કે અંતઃકરણની વૃત્તિઓ ભેદ-વિભેદની સૃષ્ટિ રચે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારનાં સાધનો વિના સ્વયં બોધ પ્રકાશતો હોય એવું બોધિ-તત્ત્વ વિરલ છે. મોટે ભાગે તો બુદ્ધિના રંગીન કાચમાંથી જ બોધનાં કિરણો પસાર થાય છે અને મારા-તારા, નાના-મોટા, સારા-ખરાબનો સંસાર ઊભો થાય છે, જીવનો અહંભાવ અને ચિત્તના સંસ્કાર દ્વારા બુદ્ધિની મર્યાદા, મલિનતા અને જડતા બંધાય છે. બોધને તે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશવા દેતાં નથી. બુદ્ધિ અને બોધ વચ્ચે જે અંતરાય છે તેને જ્ઞાનેશ્વરે કવિત્યમય રીતે વ્યક્ત કરેલ છે. એક ઓવીમાં તે કહે છે :

શબ્દાચિયા આસડી, ભેદનદીચાં દોહીં થડી,
આરડાતે વિરહવે, બુદ્ધિબોધું.

તયા ચક્રવાકાંરેં મિથુન, સામરસ્યાઓં સમાધાન,
ભોગવી જો ચિદ્ગગન, ભુવન દિવા.’

‘ભેદ-નદીને બંને કિનારે શબ્દોના અંતરાયો વચ્ચે અટવાતાં બુદ્ધિ અને બોધ વિયોગમાં ક્રન્દન કરી ઊઠે છે.
ચિદાકાશરૂપી ગગનમાં રહેલો આત્મજ્ઞાન રૂપી સૂર્ય આ બુદ્ધિ અને બોધરૂપી ચક્રવાક યુગલને સામરસ્યનો, મિલન-અદ્વૈતનો આનંદ આપે છે.’

મુખ્ય કાર્ય ઇન્દ્રિયો અને વાસનાતૃષ્ણાને અંધ કિનારે પડેલી બુદ્ધિને તેમાંથી મુક્ત કરી આત્માના સૂર્યોજ્જ્વલ કિનારે લાવવાનું છે. યહાં તોડો, વહાં જોડો’ જેવી સરળ વાત છે, પણ આપણે જાતે જ એને અઘરી કરી મૂકીએ છીએ —ગીતાની ભાષામાં ‘અનેક ચિત્ત-વિભ્રાન્ત’ બની.

જે વાસમાં ચક્ષુ... પરપંચમાં પેખે

સૂર્યની જ ઉપમાં આપીને મૂળદાસ દૃષ્ટિ એવી સૃષ્ટિના વિવિધ વ્યાપારને સ્પષ્ટ કરે છે. સૂર્ય તો એકસરખો ઊગે છે પણ દૃષ્ટિ-ભેદને લીધે કોઈને માટે તે વિષાદનું મલીર, હર્ષનો ધોળ કે લાભનું સોનું લઈને આવે છે. પ્રપંચ એટલે પંચ ઇન્દ્રિયનો પસારો. એને કારણે આ બધી ઊજળી-કાળી રમત ચાલ્યા કરે છે. પ્રપંચમાં જે દેખાય તેમાં સત્યનાં દર્શન ક્યાંથી થાય? એ માટે તો સોનાનું કે કથીરનું આવરણ હટાવવું જોઈએ.

બુંદ પડે.... લેજો ગોતી

સૂર્યની કિરણધારાની જેમ મેઘની જળધારામાંથી પણ મૂળદાસે આ જ સત્ય નીતરતું જોયું છે. મેઘ મોટે છાંટે વરસે કે ઝીંણે છાંટે પણ મેઘ તો એક જ છે. જેમ એક જ વાદળનાં ‘બુંદ બુદની ભાત નિરાલી’ એવું જ જીવનું. પાછળનું ચૈતન્ય એક જ. પણ ઘાટ જુદો જુદો. આકાશથી વ૨સીને ધૂળમાં ઢળી પડતાં બુંદ અસંખ્ય છે, પણ એમાં મૂળદાસ એક ‘સ્વાતિ બુંદ’ની વાત કરે છે. જ્ઞાનચક્ષુ વિના એને ભાળી શકાતું નથી. જ્યાં નશ્વર અને શાશ્વત, કાળકૂટ અને અમૃત સાથે વસે છે એવી ભેદક નજરનો આ કમાલ પરચો છે. એક જ વસ્તુ અંતઃકરણની ચીંથરીમાં બંધાતાં રજોટાઈ જાય છે, અને ચીંથરી સાફ કરી હટાવી જોતાં ઝળહળતું મોતી છતું થાય છે. બિંદુની ક્ષણિકતા, તરલતા અને મલિનતા એ તો બહારની સપાટીનાં ફીણ. ભીતર, દિલદરિયામાં એ જ બિંદુ અણમોલ મોતી રૂપે રહ્યું છે. દેહદૃષ્ટિ ત્યાં જીવ, આત્મદૃષ્ટિ ત્યાં એ જ શિવ. મૂળદાસની સાખી :

આતમ દેખે અનુભવી, નિગમ કે’ત પુકાર,
દેહદરશી આ જીવ હૈ, જેની દૃષ્ટિમાં વિકાર.

એક ક્ષુદ્ર કીટમાં કિરતારને નીરખવો અને અસતની નગરીમાં મંગળ ચોઘડિયાં સાંભળવાં, એ અતિ ઝીણી નજર ને સરવા કાન માંડી સુણવાની કરામત છે.

જેવા જેને સદ્ગુરુ... પોતાનું ને પ્યારું

સત્ય સહુનું છે, ને સળંગ સૂત્ર જેવું છે, પણ એના ૫૨ અધિકારની છાપ પાડવામાં આવે છે, ત્યારે આંટી પડી જાય છે. સત્ય કોઈ અમુક વ્યક્તિની ખાસ પ્રાપ્તિ છે અને એને ચરણે બેસીને જ પ્રાપ્ત થઈ શકે એવી માન્યતામાં ત્રિગુણની ખેંચ-તાણ રહેલી છે. પોતે નામશેષ થઈ પરમ સત્યના થવાને બદલે સત્યને પોતાનું કરી બતાવવાની મનુષ્યને જ્યાં સુધી અબળખા છે ત્યાં સુધી અજ્ઞાનની આંટી છે, ગુણની તાણ છે. જેને જેટલું દેખાય ત્યાં તે જાણપણાની આખરી ધ્વજા ફરકાવી બેસી જાય છે. એટલા માટે ભજન-વાણી એક દેશી, એકાંગી અને વાણીશૂરા ગુરુને દૂરથી જ સલામ કરવાનું કહે છે. ગુરુને માટે ભજન-વાણીનો ટંકશાળી શબ્દ છે ‘સરભંગી’-સર્વાંગી. મૂળદાસ એક પ્રભાતીમાં ગાય છે :

સંતને સેવતાં સુખ આવે ઘણું
સંત અધિક તે સર્વદેશી
એકદેશી થકી બ્રહ્મ છે અણમણો
વિધિ રહે તેની બાર બેસી.

‘જે એકાદેશી, એકાંગી છે તેના તરફ બ્રહ્મ મન વગરનો, દૂર રહે છે અને એવા એકાંગી ઉપાસકના વિધિવિધાન બ્રહ્મતત્ત્વની બહાર, માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં રહી જાય છે.’

જ્યારે ‘હું-તું’, અને ‘મારું-તારું’ અણછતું થાય, અસ્તિત્વ ધરાવતું મટી જાય ત્યારે જ વસ્તુ, ૫૨મ તત્ત્વ પ્રગટ થાય છે. એ તત્ત્વમાં વિશેષભાવ નથી. જે અવિગત છે તે વિગતમાં આવે નહીં. જ્યાં પોતાનું-પ્યારું એવી મોહ-મમતા હોય ત્યાં સર્વનિવાસી અને સર્વાતીતનો સાક્ષાત્કાર ક્યાંથી થાય?

સૂતાને સંશય... જાગે તો જાણે.

મનુષ્યને સંશય કેમ ટળતો નથી? શંકા અને અવિશ્વાસના વંટોળ તેને કેમ ચકરાવે ચડાવે છે? જે પોતાનાં સ્વપ્નોથી ઘેરાયો હોય તે સત્યનું પ્રમાણ પણ સ્વપ્નમાં જ શોધવાનો પ્રયત્ન કરે, એને જાગ્યા વિના સત્યનું દર્શન થાય શી રીતે? પ્રપંચમાં રીને પ્રપંચથી પેલે પાર રહેવા તત્ત્વની સાબિતી માગવી એ મિથ્યા પ્રયાસ છે. બ્રહ્મનો મૂળગો, મૂળસોતો, પૂરેપૂરો અનુભવ માયા-નિદ્રામાંથી માણસ જાગે તો જ થઈ શકે. મૂળદાસની સાખી છે :

રવિ ઊગે તબ રાત નહીં, મટ્યા ઘોર અંધાર,
જાગ્યા તબ જોખા મઢ્યા, નહીં જઠર યોનિ વિકાર.