મણિલાલ હ. પટેલનાં કાવ્યો/વાટઃ ચાર કાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાટઃ ચાર કાવ્યો


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
આભલે આબી [1] નીકળશે
તરસ્યાં સીમવગડામાં કોળમડી [2] વળશે
ખાખરીનાં કાચાં પાન જેવી
હવાઓ અંગેઅંગે રાગ જગવશે
દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
જળ ભરીને પાછી વળશે...ને
તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
પણ આ તે કેવી અંચાઈ!
થોડાંક છાંટાઓએ જ (ધૂળની જેમ)
છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
લ્હાય લાગી છે લ્હાય...!
હે યજ્ઞવેદીના દેવતા!
અમને કયા ગુન્હાઓની
સજા થઈ રહી છે... આ?
કેમ??


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કે, મેઘો મ્હેર કરશે
ને કાંટાળી વાડે કંકોડીના વેલા ચઢશે
સીમ લીલછાઈ જશે
પ્હાડ થયેલો ડૂમો ઑગળીને
પાદર સુધી વહી આવશે
રતુંબડી સાંજ વાડવેલાનાં
વાદળી ફૂલોેમાં જાંબલી જાદુ લાવશે
ફળિયાને ત્રિભેટે ભીની માટી થાપીને
સાથે ઘર ઘર રમતી છોકરી પછી
ભાથું લઈને આવશે... ને
ભૂખ્યા દેવને જમાડશે...
ત્યાં જ માની હાક પડશેઃ
‘સાંજ પડી... ચાલ્યો આવ...’
પણ આ શું? –
ઋતુએ રસ્તા બદલી લીધા કે શું?–
માતાના રથ પાછા વળી ગયા-અડધેથી?
કંકોડીને કાતરા ખાઈ ગયા
ચૂલામાં શીતળા માએ વાસો કર્યો છે
ને કાચાં કોરાં ધાન એમ ને એમ
કોઠારોમાં સડી રહ્યાં છે
ચપટી કૂલેર પણ નસીબ ન થાય –
એવા તે કિયા જનમના ગુન્હાઓની
શિક્ષા થાય છે... આ?!


મેં તો કાયમ વાટ જોઈ છે કે –
સીમખેતરને વ્હાલથી
વીંટળાઈ વળતા શેઢાઓની જેમ
વ્હાલાં વળગી પડશે અમને, જાણે –
નેવનાં પાણી મોભે ચઢશે...
અજાણ્યો પથિક ઘરનો પરોણો થશે
લાપસીનાં આંધણ મૂકાશે, ને –
સામા ઘરની છોકરી આપણને
ધારીધારીને જોશે એવું કે –
ઘર અમારું ગોકળ આઠમનો મેળો થૈ જશે!
મોસમને પરવાળાં ચૂમી લેશે
કરાની કંથેરના જાળામાં
હોલીના માળામાં
વાદળી આકાશ ઊતરી આવશે...
પણ આ શું –
વેળાઓ વસૂકી ને ઋતુઓ પાછી વળી ગઈ?
હે રતિપતિ!
ઘરમાં એકલતાએ ઈંડાં મૂક્યાં છે
ને સન્નાટો સેવે છે દિવસ ને રાત...
બોબડી બોલાશ ને બ્હેરી હવાઓ
બાવળિયા વેળાઓ વાગે છે ને
મારી વ્હાલી ભાષા લોહીલુહાણ થૈ જાય છે!

અમને બેઉ છેડેથી સળગાવીને
કયા ભવનાં કયાં વેર વાળો છો?
હે દેવ...!


મેં તો કાયમ વાટ જોઈ છે –
પાનખરના પડાવ ઊઠશે, ને –
ડાળે ડાળે કથ્થાઈ કૂંપળો ફૂટશે
ઝાડની છાયામાં સૂતી ધૂળમાં
ડમરી ઊઠશે, પછી –
કૂંપળ કળી ઊઘડી ને ફૂલ બનશે
પંખીઓ વસંત ગાશે
લીલા વાયરા વાશે
વણઝારા પોઠો લઈને પાછા ફરશે
પાદર ઘૂમર માંડીને ગાશે
લોક ઓળો ને પૉંક ખાશે
તે એઈ... ને લીલા લ્હેર...
પરંતુ અચાનક આ અવળી ચૉટ શાની છે?
ભીતરમાં ફરતી શારડીએ તો
આડો આંક વાળ્યો છે
હોવાપણું ચાળણી ચાળણી થઈ ગયું છે
દૂઝણી વેળાઓ દોહવાતી નથી હવે
તે નજરુંનાં ઝેરે ઝેરે
ઘેરે ઘેરે ને નસે ને નાડીએ
વાડે વગડે તથા જંગલ ઝાડીએ
દવની જિહ્વા લપકારા લેતી ફરે છે
તાગે છે ઓળાઓ તળને
બોલે ને બાળે
ધગધગતું સીસું ઢાળે તે –
વેઠીને વેઠ્યું ના જાય ને
જીવીને જીત્યું ના જાય તે –
કયા ભવમાં અમે
તમારી ગાયો તરસી પાછી વાળેલી? હેં?
તે શાની શિક્ષા થાય છે, અમને... આમ?
શું કામ??
જવાબ આપો દેવ!!
બોલતા કેમ નથી??
મોંમાં મગ ભર્યા છે??
મેં તો કાયમ વાટ જોઈ છે –
તમારા જવાબની વાટ
કાયમ...!