યાત્રા/ગુલબાસની સોડમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુલબાસની સોડમાં

ગુલબાસ, તવ ઉચ્છ્‌વાસ મીઠો,
શાંત આશ્વાસક ધરાના શ્વાસ શો,
મહેકી રહ્યો મુજ સોડમાં,
મુજ તપ્ત અંતરને લપેટી લેતા નિજ સુરભિ-પટે
ને અન્ય સોડે ગરજતો આ ગુંજતો સાગર રહ્યો,
કો દૂર દૂર સમીરની આહ્‌લાદિની
લહરી પરે લહરી અહા જાયે વહ્યો.

શી સાંજ! સૌમ્ય પ્રશાંત, વાદળ સ્વસ્થ થૈ જામી રહ્યાં,
રંગો તણા પટ દુપટ ચોપટ અંગરાગ અનેક લૈ,
કો મેહફિલે આતુર હૃદય શાં શાંત ઉત્સુક થંભિયાં. ૧૦

ત્યાં યંત્ર ગાજી ઊઠતું.
વિદ્યુત્પ્રવાહોથી વીંધાઈ ઘર્ઘરે કટુ કંપતું,
નિજ સૂર તીક્ષ્ણ શરાવલી શા કર્ણ પર ફેંક્યે જતું :

‘આઝાદ હિંદે......ઓ ફુટ્યા કૈં બૉમ્બ,
પાટા ઉપરથી ટ્રેનો દડી,
ખંજરો ઊછળ્યાં, ઘવાયાં આદમી, આગો ઊઠી,
આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતોનું અપહરણ—
કૈં બાળકો વીંધ્યાં....’

કર કરર કર-કર કરર–અંતર યંત્રનું ય ચિરાતું શું?
વાદળ વિષેની વીજ યે કંપી રહી, કરતૂત માનવીનાં સુણી.
પણ શબ્દ એ બોલ્યે ગયો,
વીંધ્યે ગયો નિજ એકધારી સ્વસ્થ શૈલીના શરે. ૨૦

આ ઘર ઉપર ઘર સળગિયાં,
આ ગામ પર ગામો ભડોભડ ભાંગિયાં,
આ પ્રાંત–આખા પ્રાંતના યે પ્રાંત પ્રજળી ઊઠિયા,
કૈં સેંકડો–ના, ના, હજારો–ના અરે, લાખોય કેરી કોમ
આ ખંજર લઈ ઊપડી–ચડી–શુ હાથ કરવા?
રામ જાણે, ખુદા જાણે!

આસ્માનીઓ ગુજરી ઘણી આ દીન ધરતીને શિરે,
ને દીન ધરતી એ ધુણી કંગાળ આ માનવ પરે,
કંગાળ હા એ માનવે પણ જે કર્યું તે કોઈના અન્યે કર્યું,
જલપ્રલયમાં, વંટોળમાં કે રોગના આક્રોશમાં જે ના હતું, ૩૦
તે મનુજને હાથે ગુજરતું મનુજ પર–
ઘરબાર છોડ્યાં, પ્રાણને મુઠ્ઠી વિષે લઈ
લાખ લાખ તણી કતારો નીકળી–
જોજન પરે જોજન સુધી લંઘાર લંબાતી રહી.
‘આઝાદ હિંદે....’ યંત્ર એના સૂર હા રેડ્યે જતું,
કર કરર કર, કર કરર કર, આકાશ કેરી
વીજળી એ સૂરને ચીરી જતી.

હા, કેટલાં આંસુ વહ્યાં; હા કેટલી અંતર થકી આરત ઝરી;
હા, ધધકતાં કેટલાં લોહી વહ્યાં.
હા, એ બધું કહેવા તણો અવકાશ ના હમણાં હતો.

ભૂખ્યાં જનોને આપવાને રોટલા ઘરઘર ઘડો,
નાગાં બદનને ઢાંકવાને ધાબળાના ઢગ કરો....

ને માનવીના મુખ થકી માનવ થવાને
માનવીને આર્ત ઉચ્ચારણ સ્ફુરે— ૪૦
રે ભાઈ ભાઈ તમે, ખરે આ કેમ ગાંડા થઈ ગયા?
બંધુ બનો, ભાઈ રહો, સંપી અને જંપી રહો, સઘળું સહો,
આ અંતરેથી આગને અળગી કરો....

પણ દીન માનવકંઠ એ, દુર્બળ મનુજનો સાદ એ.
ના કોણ જગમાં જાણતું કે
માનવીને મારવું એ પાપ છે;
માનવીનો માનવી તો ભાઈ છે, સંપમાં સુખ-ચેન છે.

આદમ-હવા પેદા થયાં તે દી થકી આ વાત કોણે જાણી ના?
જે હાથ ખંજર ભોંકતો તે શું નથી આ જાણતો?
આ શબ્દ કેરું જ્ઞાન માનવને કદી તારી શકે— ૫૦
તો સ્વર્ગ પૃથ્વી પર હતે યે ક્યારનું.

આ થોકથોકે શાણપણ પથરાયું છે ભૂમિ ઉપર,
ધિક્કારનો વંટોળ તો યે વેગભર આવી ચડ્યો,
સૌ શાણપણનો ગંજ એક જ ફૂંકમાં
ફૂંકી દઈ આ આગ ભડભડ ભૂમિને ભરખી રહી.
એ આગને હોલાવવાની શક્તિ ભૂમિમાં ખરી?

ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે.
આકાશના રસ ઝીલી તેં આ મિટ્ટીને મધુમય કરી,
લાવ તારો હસ્ત, આખી પૃથ્વીને હૈયે ધરું,
જો ઝેર હા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, ૬૦
તો અમૃતની યે વાદળી વરસી જશે અહીં એક દી.

આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું
આકાશની શીતળ ઘટાની ગહન રસશાળા થકી.

સૂરો શમે છે યંત્રના,
સંધ્યા ખીલે છે વ્યોમમાં,

સાગર અને એનું સનાતન ગાન સ્વસ્થ રટ્યા કરે,
વ્યોમથી સૌરભ વરસતી પૃથ્વીને સીંચ્યા કરે.

ને પૃથ્વી પરના ગરલ સામે શિવનયન ત્યાં સ્થિર ઠરે,
કૂટસ્થ કે ઊર્ધ્વસ્થ, શક્તિ-પીઠ પર
આસીન હર્તા રુદ્રનું;
ને ઝેરની ભરતી ચઢેલી ઓટ થૈ પાછી ફરે.


૨૬ ઑક્ટોબર, ૧૯૪૭