રંગ છે, બારોટ/4. ચાર સાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
4. ચાર સાર


રાજાને અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા!

         જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં,
         મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા!

જેની જોડે જીવ બાંધ્યો હોય તેને ન તરછોડીએ. અરે આવો અણબનાવ જે દિ’ હંસાની ને સાયરની વચ્ચે થયો હતો, તે દિ’ —

         હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે,
         જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.

સાયર સુકાણાં, હંસલાં ચારા વિનાનાં થઈ રહ્યાં, ને કોઈક નવાં નવાણ નિહાળવા ઊડું ઊડું થયાં. ત્યારે સાયર દુભાઈને બોલ્યું કે —

         હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય;
         સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય.

હે હંસા! મને સરોવરને કષ્ટ પડ્યે ઊડી જાય તે તો કાગડાનાં કામ. સાચી પ્રીતિ શેવાળની, કે મારાં જળ સૂકે એટલે પોતે પણ કરમાઈ જાય. ત્યારે ડાહ્યા માણસોએ કહ્યું કે એ હંસા!

         હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય;
         જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ!

હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.

         હંસા! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ,
         ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ.

પણ હંસલો તો ગયો તે ગયો. જતાં જતાં કહેતો ગયો કે મારે ઘણાંય સરોવર પડ્યાં છે, કાંઈ આ એક માથે ભૂંગળું નથી ભાંગ્યું, ત્યારે સાયરે કહ્યું કે હા ભાઈ!

         હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ;
         સુમાણસને સુમાણસ ઘણાં, મર ને જાય વિદેશ.

પુષ્પને ભમરા પણ ઘણા મળી રહેશે. સારા માણસને સારા માણસ સાંપડી રહેશે. ભલે તું વિદેશ જાતો. આમ પ્રધાન પણ રાત–દી સબૂરી સાચવીને બેઠો છે. એને તો આશા છે કે કોઈક દી રાજાનું મન ઠેકાણે આવશે. એમાં ભગવાનને કરવું છે અને ઈશ્વરને વાત રાખવી છે તે એક દિવસ પ્રધાનને કાને આવા બોલ પડ્યા : “લ્યો રે કોઈ ચાર સાર! એક એક સારના રૂપિયા એક એક હજાર!”

         “સમજે તો લાખના
         ને ન સમજે તો રાખના!”

અરે, આ ચાર સાર કોણ વેચે છે? ઊઠીને મારગને માથે ડોકું કાઢ્યું ત્યાં તો એક ફકીર બોલતો હતો — “લ્યો રે ભાઈ! ચાર સાર : એક એકના રૂપિયા એક હજાર : સમજે તો લાખના ને ન સમજે તો રાખના!” સાંભળીને માણસો મશ્કરી કરતાં કરતાં ચાલ્યાં જાય છે. કોઈ વળી કહેતાં જાય છે : “ગેલસાગરો છે, ગેલસાગરો!” ત્યાં તો મેડી માથેથી મનસાગરા પ્રધાને સાદ કર્યો : “એ સાંઈ! આંહીં આવજો આંહીં.” મેડી માથે તેડાવીને રૂપિયા ચાર હજાર સામે મેલી દઈને કહ્યું કે “લાવો, ચાર સારનો ખરડો.” ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી –

         ક્રોધ વમાસણ સો સાર, તેના રૂપિયા હજાર;
         જાગ્યા સો નર સાર, તેના રૂપિયા હજાર;
         વેરીને આદરભાવ સો સાર, તેના રૂપિયા હજાર;
         અસ્ત્રી વાંક માર સાર, તેના રૂપિયા હજાર;
         સમજે તો લાખના
         ને ન સમજે તો રાખના.

“ઠીક, જુઓ સાંઈ! આ લ્યો આ ખરડો, અને રાજાને મો’લે જાવ. રાજાને હાથોહાથ દેશો મા; પણ એના બારસાખે રાતને ટાણે ચોડીને ચાલ્યા આવજો.” એ સમાના બાવા–ફકીર ઇમાનદાર, એટલે ઠેઠ રાજાના મો’લમાં પણ જાય–આવે. કોઈ એને અટકાવે નહીં. ચાર સારવાળો ફકીર જઈને ચાર સારની ચબરખી રાજાના મહેલને બારસાખે ચોંટાડીને ચાલ્યો આવ્યો.

[2]

હવે ભગવાનને વાત રાખવી છે તે એ જ રાતે ગામમાં ભવાયા રમે. ચોકમાંથી ભૂંગળાં વાગવા માંડ્યાં અને ઝાંઝ–પખાજની ઝડી બોલી. રાજા પોતે ભવાયા જોવા ગયા છે. અને રાજાની બેન જુવાન હતી તેને પણ ભવાયા જોવાનું મન થયું એટલે એ મરદનો વેશ પહેરીને પહોંચી ભવાયા જોવા. ભેળી પોતાની બાનડીઓ, એને પણ મરદનાં લૂગડાં પહેરાવેલાં. કુંડાળાની એક કોર રાજા ઢોલિયો ઢાળીને બેઠા છે અને બીજી કોર રાજાની બેન મરદવેશે અને હથિયાર–પડિયાર બાંધીને બેઠી છે. કોઈ એને ઓળખી શકે એમ નથી. જાણે કોઈક પરગામનો ગરાસિયો આવ્યો છે. રમતમાં તો વેશ પછી વેશ આવવા લાગ્યા. ગણેશનો, ડાગળાનો, બ્રાહ્મણનો અને ઝાંઝ–પખાજ માથે ઝપટ કરતા, થાપીઓ દેતા નાયક ગાવા લાગ્યા કે —

         વાવડી ખોદે રે ભ્રમ્યો રામરામજી રે
         નાવણ કરે રે ભ્રમ્યો રામરામજી રે
         ભોજન કરે રે ભ્રમ્યો રામરામજી રે

પછી વળી —

         ભલા મોરે રામા, ભલા મોરે રામા
         આજ મોરે રામા, ભલા મોરે રામા!

એમ ગાતા ને નાચતા નાચતા માથે છત્રી ઝુલાવતા પુરબિયા બે કોર બે બાયડીઓને લઈ પડ ગજવતા આવ્યા. પછી તો કેરબાનો વેશ આવ્યો, પણ શું એના નાટારંભ!

         સવર પદ ઘૂઘરકે બાજત બજાય સિંધુ,
         વીંછિયા અણવટકી ફોજ અસવારી હે;
         ઘૂઘર રવ ઝાંઝરકે પાખર બિછાય ધોડે,
         ભૂજન પર બાજનકી ઢાલ બડી ભારી હે;
         સીસન પર ચીરનકે નેજા જરીન સોહે,
         ધજા પતાકા અરૂ કંચન જ્યું ધારી હે.

એવા કેરબાના વેશ માથે રાજાને મોજ આવી, ને એણે રૂપિયા એકસોની મોજ આપી. ભવાયાના નાયકોએ ભલકાર દીધો કે “હેઈ ખરાં!” “અરે છોડિયું! આ તો ભાઈ આપણી રમત લઈ ગિયા!” એમ પોતાની બાંદીઓને કહેતેક રાજાની બહેને બેવડો ચડાવો કરીને રૂપિયા બસો જાહેર કર્યા. એની વાહવા બોલાણી, એટલે તો રાજાને રૂંવે રૂંવે અંગારા મેલાઈ ગયા. રાજાની બેન પણ પોતાને ભાઈ ઓળખી જશે એવી બીકે ઝટ ઝટ ઊઠીને રાજમોલે ચાલી ગઈ અને મોડી રાતે એ જ મરદવેશે મા ભેળી સૂઈ ગઈ. ઊંઘ બહુ આવતી હતી. એટલે લૂગડાં બદલાવવાની વેળા રહી નહીં. રાજા પણ રીસમાં ને રીસમાં ઘેર આવ્યા. મોલમાં ઝમાળ જેવા દીવા બળી રહ્યા છે, એને અજવાળે એણે જોયું તો માની હારે કોઈક મરદ સૂતેલો! શરીરનાં છાસઠ હજાર રૂંવાડાં સડડડ કરતાં બેઠાં થઈ ગયાં. તરવાર ખેંચી : હમણાં જ બેયના કટકા કરી નાખું! જેવો બારણામાં પગ મૂકવા જાય છે એવો તેમનો હાથ બારસાખે ચોડેલ કાગળ માથે પડ્યો. એમાં એણે વાંચ્યું —

         ક્રોધે વમાસણ સો સાર : તેના રૂપિયા હજાર!

ક્રોધ આવે ત્યારે વિમાસણ કરવી, વિચાર કરવો, સબૂરી રાખવી, એવા મર્મવાળો એક હજાર રૂપિયાનો સાર! આ શું? આ ચિઠ્ઠી આંહીં કોણે ચોડી? કાંઈક ઊંડો ભેદ લાગે છે! ગમ ખાઈને બે પગથિયાં હેઠો ઊતરી બેસી ગયો. ફરી વાર એની નજર એ ચિઠ્ઠી ઉપર પડી. વાંચ્યું —

         જાગ્યા સો નર સાર : તેના રૂપિયા હજાર!

આ તો ભેદ વધે છે. મને જ કોઈક ચેતવતું લાગે છે; ઓહો! ત્યારે તો હમણાં આપણે સૂવું નહીં. જાગતા રહેવું : મારી જાતને માટે જ કાંઈક સાર હશે. એમ વિચારીને રાજા બેઠો. રાતના ત્રીજા પહોરે ઝાડને માળે બેઠેલાં બે પંખીડાં વાતો કરે : કે’, “હે હંસપંખી! આ રાજાનું આયખું કેટલું?” કે’, “હે હંસપંખણી, ત્રણ દીનું.” “અરરર! ત્રણ જ દીનું! પણ રાજા તો કાંઈ માંદા નથી. રૂંવાડે ય કોઈ રોગ નથી.” કે’, “હે હંસી! ત્રીજા દીની રાતે આ રાજાને સરપડંશ થશે.” “સરપડંશ શા માટે?” “આ રાજાના ઘોડાના ડાબલા હેઠળ એક સરપનું બચ્ચું બાંડું થયેલું છે, તે વેર લેવા આવશે.” એટલી વાત કરીને પંખી ઊડી ગયાં. રાજા તો સાંભળીને પરસેવે રેબઝેબ થઈ ગયો. વળી એણે બારસાખે જઈને વાંચ્યું : “વેરીને આદરભાવ સો સાર….” સવાર પડ્યું એટલે રાજાને પહેલો સાર ફળ્યો. મરદવેશે મા ભેળી સૂતેલી તે તો પોતાની બહેન જ નીકળી! ક્રોધમાં ને ક્રોધમાં બેયના કટકા કર્યા હોત તો પાછળથી કેટલું પસ્તાવું પડત! ત્યારે તો હવે બીજો સાર પણ સાચો પડશે. નક્કી સરપ કરડવા આવશે. પણ હવે કરવું શું? ફરી વાર નજર બારસાખ સામે ચોડેલ ચિઠ્ઠી ઉપર પડી : આગળ લખ્યું હતું —

         વેરીને આદરભાવ સો સાર!

હાં-હાં! સરપ આપણો વેરી છે. વેર લેવા આવનાર છે. એને જો આદરમાન દઉં, તો નક્કી એમાં કંઈક સાર હશે. હવે સરપ જેવા વેરીને આદરભાવ શેનો દેવો! ત્રીજો દી થયો અને રાજાએ ફૂલવાડીમાંથી ઢગલાબંધ ફૂલ મંગાવીને પોતાના રંગમોલમાં પથરાવ્યાં, પલંગ ઉપર ફૂલના ઉલેચ બંધાવ્યા, અને સાંજ પડી એટલે પલંગને ચારે પાયે અક્કેક કઢેલ દૂધનું કૂંડું મેલાવ્યું. પછી પોતે પલંગમાં ચડીને બેઠો. દેહ તો થરથર ધ્રૂજે છે. પણ ઓલ્યા ચાર સાર ઉપર આસ્થા રાખી છે, એટલે મનને મજબૂત રાખીને બેઠો છે. અધરાત થઈ એટલે નાગ આવ્યો. ફૂં! ફૂં! ફૂં! ફેણમાંથી વરાળ નીકળે છે. રંગમોલ આખો ધગી ઊઠ્યો છે. રાજાની રાડ ફાટતી માંડ રહી ગઈ. પણ જેવો એ વાસંગી નાગ ઓરડામાં આવ્યો તેવો તો ફૂલના થર ઉપર ફડાકવા લાગ્યો, અને પલંગને પહેલે પાયે ચડવા ગયો ત્યાં દૂધના કૂંડામાં જ મોઢું આવી ગયું : ચસ! ચસ! ચસ! પોતે દૂધ પી ગયો અને પછી વિમાસ્યું : ‘હવે આ પાયે ન ચડાય : મેં આનાં લૂણપાણી લીધાં.’ પટ દઈને એ પાયેથી નાગ પાછો ફર્યો, કારણ કે જાતવંત દેવલોકી નાગ છે ખરો ને! —

         તવીએં પ્રથમ તંબોળ, અભે નાગ અડદિયા,
         ત્રીજા નાગ તલિયા, ગણીએ ચાર ગડગડિયા,
         પાંચમો ધામણ પણા, ખટમો ઐયર જાણ;
         સાતમો શીતળ શામ, આઠમો નાગ કંજુ,
         નવમો રાજા ફૂલનાગ, કુંડળ સબ કાશ્યપરા,
         અલસ્રજ કવન ઓચરે, રૂપ નવકળ નાગરા.

એમ આ તંબોળિયો નાગ નહીં, અડદિયો નહીં, તલિયો નહીં, ગડગડિયો નહીં, ધામણ, ઐયર કે શીતળો નહીં, કંજુ પણ નહીં, આ તો બધાય કરતાં ઊંચા નવમા કુળનો ફૂલનાગ હતો. પાછો વળીને ફૂલના સુંવાળા ફગરમાં આળોટતો, ગેલ કરતો, ફૂલનાગ તો પલંગને બીજે પાયે પહોંચ્યો, ત્યાં ચડવા જાય તો ત્યાં ય મોઢું દૂધના કૂંડામાં પડ્યું. ત્યાં યે ફરી દૂધ પીધું. એમ ત્રીજે પાયે, અને છેલ્લે ચોથે પાયે. પછી તો નાગે વિચાર્યું કે હવે પાયેથી તો પલંગે ન ચડાય. એનું લૂણ પાણી પીધું. માટે બીજી કોઈ જુક્તિ કરવી જોઈએ. અરે શા ભાર છે એના! આજ જીવતો મેલું નહીં! એમ વિચારતો ચડ્યો એ તો અધ્ધર, અને છાપરેથી ડિલ પલંગ ઉપર પડતું મૂક્યું, એટલે એ પડ્યો ફૂલના ઉલેચમાં. આવો આદરભાવ કરનારને કેમ ડસાય? નાગ હતો ઈમાની. કારણ કે એ તો નવકુળ માયલો નાગ હતો. જાતવંત હતો. વાસંગીના વંશનો દેવાંગી નાગ હતો. નાગ પ્રસન્ન થઈ ગયો. દેવ-રૂપ ધારણ કરીને રાજાની સામે જોઈને કહે કે, “હે રાજા! માગ માગ! મારો કોલ છે કે તું માગીશ તે આપીશ.” રાજાએ માગ્યું કે “હે વાસંગીદેવ! હું જીવ માતરની બોલી સમજું એવું વરદાન દ્યો, અને ત્રણ કાળનું ભાળું એવી શ્વાનની આંખો આપો.” “અરે રાજા! એથી તને શું ફાયદો છે?” વાસંગીદેવને રાજાની માગણીમાં ડહાપણ ન લાગ્યું. કે’, “મહારાજ! આપો તો ઈ જ આપો. હું જીવ માતરની બોલી સમજું અને ત્રણ કાળનું ભાળું!” “જા ત્યારે, સમજીશ અને ભાળીશ, પણ એક શરતે.” કે’, “શું મહારાજ?” કે’, “હે રાજા! તારી અસ્ત્રી આગળ કોઈ દી એ માયલી વાત કરીશ નહીં. કરીશ તે દી તારો કાળ સમજજે.” એમ કહીને નાગ તો ચાલ્યા ગયા. અને તે ઘડીથી જ રાજાની આંખો અને કાન બ્રહ્માંડમાં રમવા લાગ્યાં. કીડીમકોડા, પશુ-પંખી, તમામની બોલી સમજે અને ગેબમાં ભાળે. હવે ભગવાનને વાત રાખવી છે તે એક દિવસ જૂની રાણીનો ભાઈ મરી ગયો; એવો ભલો અને પુણ્યશાળી માણસ હતો કે એનો જીવ બહાર નીકળીને દેહને બચીઓ ભરવા લાગ્યો. નોખા પડવું ન ગમે. નાગનું વરદાન હતું કે રાજા ત્રણેય કાળનું ભાળે, એ પ્રમાણે આ કૌતુક ભાળીને રાજાને રોવું આવી ગયું. પછી એક દી નવી રાણીનો ભાઈ મરી ગયો. એનો જીવ બહાર નીકળીને દેહને ગાલે ખાસડાં મારે! એ પણ રાજાએ જોયું અને રાજા તો હસવા લાગ્યો. પોતાનો ભાઈ મરે અને રાજા હસે! એનું કાંઈ કારણ? નવી રાણીએ હઠ લીધી કે’ “હે રાજા! હસવાનું કારણ કહો.” કે’, “કહેવાય નહીં.” “ના, બસ કહો ને કહો! નીકર પેટ કટાર નાખીશ!” રાજા પડ્યો વિમાસણમાં. કહે તો કાળ આવે, ને ન કહે તો રાણી મરવા તૈયાર થાય! કહેવું જ પડશે, અને આંહીં ને આંહીં કાળ આવશે તો જીવ અવગત્યે જશે, માટે ચાલ, કાશીએ જઈને કહું, એટલે મોત આવે તો યે જીવ ગત્યે તો જાય. રાજા રાણીને કહે કે ચાલ, કાશીએ જઈને કહીશ. બેઉ હાલી નીકળ્યાં. જાતાં જાતાં બારસાખને માથે ફરી ચાર સાર વાંચ્યા :

         ક્રોધ વમાસણ સો સાર……
         જાગ્યા સો નર સાર……
         વેરીને આદરભાવ સો સાર…
         અસ્ત્રી વાંક માર સો સાર…
         સમજે તો લાખના,
         ન સમજે તો રાખના!

જાતાં, જાતાં, મારગને કાંઠે કૂવો આવ્યો. અને એને કાંઠે બકરો ને બકરી ચરે. બરાબર રાજારાણીને નીકળવું અને બકરીને બોલવું — “અરે હે રોયા બકરા! હું છું ભારેવગી. અને મને થયું છે આ કૂવામાં ઊંડે પાણી આગળ વેલો ઊગ્યો છે તે ખાવાનું મન. માટે માંહીં ઊતરીને મને એ વેલો લાવી દે તો જ હા, નીકર ના.” ત્યારે બકરો બોલ્યો : “રાંડ બકરી! હું કાંઈ આ રાજા જેવો મૂરખો નથી કે તારા સારુ થઈને કૂવામાં જીવ ખોવા ઊતરું. એવાં લાડ કરીશ ને, તો હું તો તને ઢીંકે ઢીંકે લાંબી કરી નાખીશ. ઓળખ છ મને? હું કાંઈ આ રાજા જેવો ગાલાવેલો નથી કે બાયડીનાં ગેલસાગરાં લાડ પણ પૂરાં કરું.” બકરી તો ચૂપ થઈ ગઈ. રાજાને તો નાગદેવતાનું વરદાન છે કે જીવ માત્રની બોલી સમજે : એણે આ બકરા–બકરીની વાત સાંભળી અને એ તો સડક દઈને ઊભો રહી ગયો. એક તો એને બકરાનું મેણું લાગ્યું, અને બીજો એને ઓલ્યા ચાર સાર માયલો ચોથો સાર સાંભર્યો : “અસ્ત્રી વાંક માર સો સાર.” તુરત એણે નવી રાણીને કહ્યું : “ઊભી રે’. પાછાં વળવું છે કે મારા હાથની ધોલ ખાવી છે? હઠ કરવી છે? આંહીં ને આંહીં ધમારી નાખીશ, લોંડી!” રાણીના તો મોતિયા જ ત્યાં મરી ગયા, અને એણે રાજાને કરગરીને કહ્યું : “હવે કોઈ દી હઠ નહીં કરું, વળો પાછા.” પાછા આવીને રાજાએ ચારે સાર સાચા પડેલા જોયા. એણે તપાસ કરાવી કે આ ચાર સાર મારે બારસાખે ચોડનાર કોણ? ખબર પડી કે એ તો મનસાગરો પ્રધાન હતો. રાજાએ મનસાગરાને તેડાવીને એની માફી માગી અને પછી એવા શાણા મિતરુંની સાથે રીસ કરવી ભૂલી ગયા. ખાધું, પીધું ને રાજ કીધું.