વસુધા/ઉષાના આગારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉષાના આગારે

ઉષાના આગારે ઉદિત રવિરાજા વળી થયા,
સુતેલા સંધ્યાને શિબિર ક્ષિતિજેના મુલકમાં;
જનોની જંજાળો, તિમિર ધરતીનાં, જગતનાં
સુભાગ્યો દુર્ભાગ્યો નિત ચિતવતા ને પતવતા.

ઉઠ્યાં છે કલ્લોલી વિહગ ઋતની જાગૃતિ-ઋચા,
સુતેલી સૃષ્ટિની મૃદુ કિરણસ્પર્શે ઋજુ ત્વચા
સ્ફુરે છે અંગાંગે પુલક, નસમાં રક્ત તલકે
અરણ્યે મેદાને ગિરિશિખરપે અબ્ધિ-ફલકે.

પનોતે આ પ્હોરે જગતપટ પ્હોળો ઉખળતો
અહીં દૃષ્ટિ સામે : જગ બઢત શું સંસ્કૃતિ-દિશે
મહા ફાળે ! ત્યાં તો ધણધણત ગોળા વછુટતા
બધું બાળે ઝાળે ભસમ; મસ ડૂમો દિલ દહે.

છતાં જાણું મારી ધરતી પર ક્યાંકે ય સવિતા
સદા જાગે, ને ભો નહિ તિમિરનો છે દિલ, પિતા!