સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિપ્રતિભા જ મૂલતત્ત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિપ્રતિભા જ મૂલતત્ત્વ

આનંદવર્ધન કવિપ્રતિભાનું અસામાન્ય ગૌરવ કરે છે. અવારનવાર એમની વાત કવિપ્રતિભા આગળ આવી થંભે છે. કવિપ્રતિભા એમની દૃષ્ટિએ કાવ્યરચનાનું મૂલતત્ત્વ છે. એ ન હોય તો સઘળો ક્રિયાકલાપ, સઘળો શાસ્ત્રશ્રમ નકામો છે. ધ્વનિમાર્ગ કવિપ્રતિભા આનન્ત્યને પામે એ અર્થે બતાવ્યો છે એમ આનંદવર્ધને કહ્યું છે તેમાં પણ એ ગૃહીત છે કે મૂળમાં કવિપ્રતિભા તો જોઈએ જ અને કવિપ્રતિભામાં અનન્ત રૂપે વિસ્તરવાની ક્ષમતા છે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યનો આશ્રય લેવાથી કાવ્યાર્થનો કોઈ પાર જ રહેતો નથી પણ એ તો જો પ્રતિભાગુણ હોય તો જ એમ એમણે કહ્યું છે (૪.૬). એમણે તો કવિને અપાર કાવ્યસંસારના એકમાત્ર પ્રજાપતિ તરીકે વર્ણવ્યો છે – એને રુચે એવું જ કાવ્યવિશ્વ ઘડાતું હોય છે; એ જો રાગી હોય તો કાવ્યવિશ્વ રસમય બને, એ જો વિરાગી હોય તો કાવ્યવિશ્વ નીરસ બને પોતાની કાવ્યસૃષ્ટિમાં કવિ સ્વતંત્ર પણ હોય છે. એ ઇચ્છે તો ચેતન પદાર્થોને અચેતન રૂપે અને અચેતન પદાર્થોને ચેતન રૂપે વ્યવહાર કરતા બતાવે છે. કવિવાણી પદાર્થોને એ જેવા નથી એવા રૂપે આપણા હૃદયમાં સ્થાપે છે ને એ રીતે જાણે સૃષ્ટિકર્તા બ્રહ્માથી આગળ જાય છે. કવિપ્રતિભા સર્વ કંઈને પોતાને અભિમત રસના અંગ રૂપે નિયોજી બતાવે છે. (૩.૪૨ વૃત્તિ)