સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૨) ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો

(૧) રામપ્રસાદ બક્ષી

પંડિતયુગ પછીની સાક્ષરપેઢીમાંથી જેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઊંડા અધ્યયનનો અર્વાચીન સાહિત્યવિચારણામાં વિનિયોગ કરતા રહેવાનું પ્રશસ્ય કાર્ય કર્યું એમાં રામપ્રસાદ બક્ષીનું નામ પણ મહત્ત્વનું ગણાય. એકધારી રીતે એમણે વિભિન્ન સંદર્ભે રસસિદ્ધાન્તાદિ ઘટકોનું ઝીણવટભર્યું પૃથક્કરણ કર્યું છે અને નવા દૃષ્ટિકોણથી એનું અર્થઘટન કરી આપ્યું છે. પાશ્ચાત્ય સિદ્ધાંતોનું પરિશીલન પણ એમની વિચારણાને પોષક નીવડેલું છે. સાહિત્યિક કારકિર્દીનો આરંભ ‘કથાસરિત્સાગર’માંથી કિશોરભોગ્ય સામગ્રીનો સંચય કરીને આપેલા અનુવાદ ‘કથાસરિતા’(૧૯૧૭)થી કર્યો. એ પછી એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અધ્યયન અને વિવેચનમાં જ મુખ્યત્વે પોતાની શક્તિઓને પ્રયોજી અને પૃથક્કરણપ્રવણ અને નવીન અર્થઘટનપરક દૃષ્ટિકોણવાળા એક વ્યુત્પન્ન અભ્યાસી તરીકે તે પ્રતિષ્ઠા પામ્યા. સાહિત્યમીમાંસાની સળંગસૂત્ર આલોચના: ‘કરુણરસ’ અને ‘નાટ્યરસ’ : વડોદરાના ભારતીય સંગીત-નૃત્યનાટ્ય મહાવિદ્યાલયના ઉપક્રમે ૧૯૫૪માં આપેલાં વ્યાખ્યાનોનો ગ્રંથ ‘કરુણરસ’(૧૯૬૩) અને ૧૯૫૮નાં વ્યાખ્યાનોનો ગ્રંથ ‘નાટ્યરસ’(૧૯૫૯) સંસ્કૃત કાવ્યશાસ્ત્રના એમના અધ્યયનના નિચોડરૂપ છે. સ્વીકારેલા વિષયના વ્યાપક ફલકને આવરી લેતી ક્રમબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, નોંધપાત્ર બાબતોનું ઝીણું વિવરણ તથા લગભગ પ્રત્યેક તબક્કે તુલનાત્મક દૃષ્ટિનો અને પોતાની મૌલિક વિચારણાનો વિનિયોગ એમનાં આ વ્યાખ્યાનોની વિશેષતાઓ છે. એક પ્રકાંડ પંડિત અને નીવડેલા શિક્ષક એમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. ‘કરુણરસ’માંગ્રીક ટ્રેજેડીમાંના કરુણના સંદર્ભે સંસ્કૃત નાટકમાંના કરુણના વિભાવને સ્પષ્ટ કરી એમણે સંસ્કૃત નાટ્યકારોએ, શક્તિ છતાં, કરુણાન્ત નાટક સર્જવાની વૃત્તિ કેમ ન બતાવી એની ખૂબ દ્યોતક ચર્ચા કરી છે. આજના સંદર્ભે કરુણાન્ત નાટકના વિભાવોની વિચારણામાં અને દુ:ખપ્રધાન કૃતિ પણ પ્રેક્ષકના ચિત્તમાં આનંદાનુભૂતિ કેમ જગાડે છે, એના પ્રાચીન રસમીમાંસકોએ અને પાશ્ચાત્ય વિવેચકોએ આપેલા ખુલાસાઓનાવિવરણમાં પણ એમની પર્યેષકબુદ્ધિનો પરિચય થાય છે. ‘નાટ્યરસ’માં વૈશદ્ય નોંધપાત્ર છે. રસશાસ્ત્રની સંકુલ પરિભાષાની ચર્ચા પૂર્વે માનવચિત્તની વિવિધ ભાવસ્થિતિઓના વિગતપૂર્ણ અને સરળ આલેખનથી ભૂમિકા બાંધવામાં શ્રોતા/વાચકને વિવેચ્ય વિષયની અભિમુખ કરવામાં તે સફળ થયા છે. નાટ્યશાસ્ત્રનાં અનેક તત્ત્વોનું વિગતે પૃથક્કરણ કરીને, રસના પ્રત્યેક પ્રકારો—ઉપપ્રકારોનું ઝીણવટભર્યું વર્ગીકરણ કરીને તથા રસસંપ્રદાયના ઉદ્ગમ અને વિકાસનો ઇતિહાસ આલેખીને ચર્ચાને એમણે સર્વાશ્લેષી બનાવી છે. તો, પ્રેક્ષકના અનુભવની લાક્ષણિકતા, નટનું અનુસર્જનત્વ, પ્રેક્ષકની માનસિક—શારીરિક પ્રતિક્રિયા જેવી બાબતોની ચર્ચામાં એમણે મૌલિક દૃષ્ટિ દર્શાવી છે અને પાશ્ચાત્ય સિદ્ધાન્તોને નાટ્યશાસ્ત્ર સંદર્ભે ચર્ચી, આજના સાહિત્યસંદર્ભે એની પ્રસ્તુતતા સ્પષ્ટ કરી આપી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સંકુલ વિચારણાના વિભિન્ન ઘટકો વિશે આપણે ત્યાં ઘણી ઉત્તમ પણ પ્રસંગપ્રાપ્ત છૂટક ચર્ચા થતી રહી છે ત્યારે આ બે વ્યાખ્યાનગ્રંથોમાં નાટ્યશાસ્ત્ર અને રસસિદ્ધાન્તની જે સળંગસૂત્ર અને સર્વાંગીણ આલોચના થઈ છે એનું આપણા વિવેચનમાં નોંધપાત્ર સ્થાન છે. અભ્યાસલેખો : સિદ્ધાન્તચર્ચા અને પ્રત્યક્ષ વિવેચન : ચારેક દાયકા સુધી એમની વિવેચનપ્રવૃત્તિ ચાલતી રહી. ઓછા પ્રમાણમાં પણ સાતત્યપૂર્વક એમણે તત્ત્વચર્ચા, સાહિત્યસ્વરૂપ, પ્રવાહદર્શન, કૃતિસમીક્ષા એમ કોઈ ને કોઈ નિમિત્તે સાહિત્યવિચારણા ચલાવી છે. એમના આવા અભ્યાસલેખોમાં સિદ્ધાન્તવિવેચનનું જ પ્રમાણ વિશેષ છે. અને એમાંય સંસ્કૃત કાવ્યમીમાંસા તરફ એમનું સવિશેષ આકર્ષણ રહ્યું છે. ‘વાંગ્મયવિમર્શ’ (૧૯૬૩, બીજી આવૃત્તિ ૧૯૭૦)માં રસસિદ્ધાન્ત અને નાટ્યશાસ્ત્રના ઘટકોની અર્વાચીન સાહિત્ય અને સાહિત્યવિચારણા પરત્વે પ્રસ્તુતતા ચર્ચવા તરફ એમની વિશેષ નજર રહી છે. એટલે કાવ્યના સ્વરૂપની ચર્ચામાં રસ અને અલંકારના વિભાવોને એમણે આધુનિક સંદર્ભે તપાસ્યા છે ને એના જ અનુલક્ષમાં આધુનિક વિવેચનની પ્રતીકાદિ સંજ્ઞાઓની પણ ઝીણી તપાસ કરી છે. રસવિચારણાના મૂળમાં રહેલા વ્યંગ્યના તત્ત્વને સ્પષ્ટ કરી આપીને અર્વાચીન કવિતા પરત્વે રસસિદ્ધાન્તના વિનિયોગને અવકાશ કરી આપ્યો છે. સંસ્કૃત એકાંકીના સ્વરૂપની ચર્ચામાં તેમજ નાટ્યપ્રયોગમાં લયસંવાદના તત્ત્વનું મહત્ત્વ દર્શાવવામાં એમણે કેટલાંક મર્મદ્યોતક નિરીક્ષણો આપ્યાં છે. ટૂંકી વાર્તા અને હળવા નિબંધની સ્વરૂપચર્ચા અને વિકાસદર્શનના લેખોમાંના સ્વરૂપ અને પરિભાષાના સૂક્ષ્મ પૃથક્કરણમાં અને વ્યાપક પ્રવાહદર્શનમાં કાવ્યતત્ત્વની એમની ઊંડી સમજ, એમની પર્યેષકબુદ્ધિ અને સમકાલીન સાહિત્યનો એમનો ઘનિષ્ઠ પરિચય વરતાઈ આવે છે.

ગોવર્ધનરામના તત્ત્વવિચાર અને સર્જન વિશેના જુદેજુદે સમયે વિભિન્ન નિમિત્તે લખાયેલા એમના લેખો ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ (૧૯૭૬)માં એમણે સુલભ કરી આપ્યા છે. સ્ક્રેપ બુક્સમાંની ગોવર્ધનરામની તાત્ત્વિક વિચારણાને તારવી આપીને એની વિષયવિભાગવાર વિસ્તૃત સમાલોચના કરતો-મૂળે સ્ક્રેપ બુક્સના એમના જ સંપાદન-અનુવાદ ‘ગોવર્ધનરામની મનનનોંધ’ની પ્રસ્તાવના રૂપે મુકાયેલો લેખ ખૂબ જ મૂલ્યવાન છે. આ ઉપરાંત શોપનહાઉરના દાર્શનિક સિદ્ધાન્તો, આનંદશંકરનું તત્ત્વજ્ઞાન અને બાણની શૈલી સાથે ગોવર્ધનરામના તે તે વિશેષની તુલનાત્મક ચર્ચા કરતા લેખો અને ‘સ્નેહમુદ્રા’ની વિશ્લેષણાત્મક ચર્ચા રામપ્રસાદ બક્ષીને ગોવર્ધનરામના એક નોંધપાત્ર અભ્યાસી ઠેરવે છે. પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષાના એમના ઘણા વિવેચનલેખો હજુ સંગ્રહસ્થ થયા નથી. એ લેખોમાં એમની તત્ત્વગ્રાહી સમુદાર રુચિનાં દર્શન થાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં કૃતિના આંતર—રહસ્યને, સર્જકના વિશેષોને અને રૂપરચનાની લાક્ષણિકતાઓને બારીકીથી તારવી આપી તે એક રસજ્ઞ સમાલોચક તરીકેની પ્રતીતિ જન્માવે છે. ‘સ્નેહમુદ્રા’ ઉપરાંત ઉમાશંકરની ‘પ્રાચીના’, ‘નિશીથ’, ‘આતિથ્ય’ આદિ કૃતિઓની લાંબી સમીક્ષાઓમાં તથા કાન્ત, સુન્દરમ્ આદિનાં કાવ્યોનાં વિવરણોમાં એમનાં મામિક નિરીક્ષણો અને કાવ્યતત્ત્વની એમની ઊંડી સૂઝ નોંધપાત્ર છે. વિવેચનની વિશિષ્ટતાઓ : રામપ્રસાદ બક્ષીનો વિશેષ ઝોક સિદ્ધાન્તવિવેચન તરફ રહ્યો છે. વિવેચ્ય મુદ્દાની ભૂમિકા બાંધી એની વિગતે માંડણી કરીને પછી ઝીણું પૃથક્કરણ કરતા જવું એ એમની વિવેચનપદ્ધતિ છે. પૃથક્કરણ કરવામાં ક્યારેક તે શબ્દની વ્યુત્પત્તિચર્ચા કરવા—સાહિત્યિક સંજ્ઞા કે શબ્દની ‘ગોત્રપ્રતિષ્ઠા ઉકેલવા’ (૧ ‘વાંગ્મયવિમર્શ’ (૧૯૬૩), પૃ. ૧૨૬.)ઉઘુક્ત થયા છે અને એમ કોઈ નવી સંજ્ઞા કે વિભાવના પણ એમણે સૂચવ્યાં છે. ‘એકાંકી’માંના ‘અંક’ની ચર્ચા કેઊર્મિકાવ્યને બદલે ભાવકાવ્ય સંજ્ઞા સૂચવતી ચર્ચા આ પ્રકારની છે. આથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રૂઢ વિચારણા એમની વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહી હોવા છતાં એમણે ઘણીય વાર વિશિષ્ટ દૃષ્ટિકોણથી અને નવીન પરિપ્રેક્ષ્યમાં એનું મૂલ્યાંકન કર્યું છે. કાવ્યના સ્વરૂપને સંદર્ભે માનવની આદિમ સંવેદના સાથે જોડાયેલાં ભાવ, લય અને કલ્પનાની એમની ચર્ચા, નટમાનસની તટસ્થતા (એમાં ખાસ કારણરૂપ માનવ—સ્વભાવના વૈવિધ્ય) વિશેનો એમનો દૃષ્ટિકોણ; કલ્પન અને પ્રતીક જેવી આધુનિક વિવેચનની સંજ્ઞાઓને સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઘટકો સાથે મૂલવવાનો એમનો પ્રયાસ; તિરોધાનવ્યાપારની કાવ્યમાં ચમત્કારકતા વિશેનું એમનું દૃષ્ટિબિંદુ (જુઓ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૮મું સંમેલન) હેવાલ’માંનું પ્રમુખીય વ્યાખ્યાન) લય અને નાટકના લયસંવાદ-Thythm- વચ્ચેના સૂક્ષ્મ ભેદની ચર્ચા—એમની મૌલિક વિચારણાના નિદર્શનરૂપ છે. આપણે ત્યાં સંસ્કૃત કાવ્યવિચારને જીવંત રાખવામાં એમનો, આ રીતે, નોંધપાત્ર ફાળો રહ્યો છે. કાવ્યમાંનું અલંકારપ્રવર્તન, સર્જનવ્યાપારમાં આદિમતત્ત્વ, રસસિદ્ધાન્તની પ્રસ્તુતા આદિ બાબતોએ તો એમના ચિત્તમાં એટલું દૃઢ સ્થાન જમાવેલું છે કે એમની વિચારણામાં એ વારંવાર, ક્યારેક એના એ જ રૂપે પણ આવતી રહી છે. ગોવર્ધનરામની મનનનોંધમાંની વિચારણાના એમને અત્યંત ગમી ગયેલા અંશો પણ, આ જ રીતે, ગોવર્ધનરામવિષયક અન્ય લખાણોમાં સતત દેખાયા કરે છે. સિદ્ધાન્તચચર્ચાઓમાં રામપ્રસાદ બક્ષીની ગદ્યશૈલી સામાન્યપણે પાંડિત્યપ્રચુર છે. એમાં પ્રવાહિતાના અંશો ઓછા છે. એથી, ગૌરીપ્રસાદ ઝાલાને ઉચિત રીતે લાગ્યું છે એમ, એમના વિવેચનની ‘ઘણી સામગ્રી વિદ્વાનોને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે એવી થઈ ગઈ છે. (‘અક્ષરા’ (૧૯૭૬), પૃ. ૧૨૮.) અલબત્ત, ‘કરુણરસ’માં, વિશેષે તો પ્રારંભિક ભૂમિકા રૂપ પહેલા વ્યાખ્યાનમાં, પાંડિત્યભાર હળવો થયાનું અને વક્તવ્ય સુગમ બન્યાનું જણાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં તો એમની શૈલી ઘણી પ્રવાહી બની છે. ઘણું અલ્પ હોવા છતાં, કૃતિવિવેચન રામપ્રસાદની વિવેચનાનું એક આગવું અને સ્પૃહણીય પરિમાણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અંગેની પોતાની વિદ્વત્તાને આધુનિક સાહિત્ય અને તત્ત્વચર્ચા સંદર્ભે સતત પ્રયોજતા રહ્યા હોવાથી તેમજ સાચી કાવ્યપ્રીતિથી અને ઊંડી સમજથી સમકાલીન સાહિત્યને વિલોકવાના એમના તત્ત્વદર્શી સાહિત્યનિષ્ઠ પ્રયાસોથી રામપ્રસાદ બક્ષી. જૂની અને નવી બંને પેઢીના સાહિત્યકારોમાં શ્રદ્ધેય સારસ્વત તરીકે સ્થાન પામ્યા છે.

(૨) વિજયરાય વૈદ્ય

પંડિતયુગીન વિવેચના ક્યારેક કેવળ શાસ્ત્રીય પૃથક્કરણને લક્ષતી શુષ્ક તત્ત્વચર્ચા અને ઉષ્માશૂન્ય કૃતિપરીક્ષામાં રાચતી હોય છે એવું લાગતાં એક સાહિત્યધર્મી પત્રકારની તીખી, પ્રહારાત્મક અને વેગીલી વાણીમાં એનો પ્રતિકાર અને પ્રતિવાદ કરીને તથા એવી વિવેચના સામે સર્જનાત્મક ગુણોવાળાં, રંગદર્શી અને સંસ્કારગ્રાહી વિવેચનો લખીને વિજયરાયે કૌતુકરાગી વિવેચનરીતિનો આરંભ કર્યો. વિશ્વનાથ ભટ્ટે ‘અર્વાચીન વિવેચનકલાના આદ્ય દૃષ્ટા’(જુઓ ‘વિવેચનમુકુર’ (૧૯૩૯)નું અર્પણવાક્ય) તરીકે આપેલી ઓળખમાં જ એમના આ ઐતિહાસિક મહત્ત્વનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. વિલ્સન કૉલેજમાંના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી સાહિત્ય-વિવેચનના બહોળા વાચનથી એમની સજ્જતા કેળવાયેલી. અંગ્રેજીસંસ્કૃત સાથે ૧૯૨૦માં બી.એ. થયા બાદ તરત બટુભાઈ ઉમરવાડિયાના ‘ચેતન’માં સહતંત્રી તરીકે જોડાયા. ૧૯૨૨થી બે વરસ મુનશીના ‘ગુજરાત’માં વ્યવસ્થાપક અને સહતંત્રી રહ્યા. ૧૯૨૪થી એમણે સ્વતંત્રપણે ‘કૌમુદી’ ત્રૈમાસિક શરૂ કર્યું (૧૯૩૦થી એ માસિક બનેલું). ૧૯૩૫માં ‘કૌમુદી’ની ભસ્મમાંથી એના નવા અવતાર સમા ‘માનસી’નું પ્રાગટ્ય વચ્ચે, ૧૯૩૭-૧૯૪૯ દરમ્યાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા પણ લગભગ જીવનભર તો એ પત્રકાર જ રહ્યા. ‘માનસી’ ૧૯૬૦ સુધી ચાલુ રહ્યું. એ પછી એમણે થોડોક સમય (૧૯૬૨-૬૩ના અરસામાં) ‘રોહિણી’ નામની સંસ્કારપત્રિકા પણ ચલાવેલી.

પત્રકારત્વ

પત્રકારત્વ વિજયરાયની વિવેચન-કારકિર્દીનું પ્રમુખ અંગ છે. વિવેચનને સર્જનલક્ષી બનાવવા પાછળ રહેલી વિલક્ષણ પણ નિર્ભેળ સાહિત્યસેવાવૃત્તિ, એક નવીન આબોહવા સર્જવાની ખ્વાહેશ તેમ જ ‘જૂના સામે બંડ અને નવાની નેકી’ પોકારવાનો યુયુત્સાપૂર્ણ અભિનિવેશ વિજયરાયને શરૂઆતથી જ પત્રકારત્વ તરફ ખેંચે છે અને એ એમની શક્તિઓનું યોગ્ય માધ્યમ બની રહે છે. સમકાલીન સાહિત્યિક ઘટનાઓ, સાહિત્યવિવેચનની ચર્ચાઓ અને ઊહાપોહો, સર્જકોના અંગત પરિચયો, ‘પાંચસોએક શબ્દોમાં’, ‘હજારેક શબ્દોમાં’ શીર્ષકોથી થતાં વિશિષ્ટ રીતિનાં અવલોકનો—એવી વૈવિધ્યપૂર્ણ અને નવીન સામગ્રીથી એમનાં સામયિકોએ તત્કાલીન સાહિત્યિક વાતાવરણને જીવંત અને સ્ફૂર્તિભર્યું રાખેલું. એમની સર્જન-વિવેચનપ્રવૃત્તિ માટે સૌથી મૂલ્યવાન બનેલા અને ચેતનવંત રહેલા પહેલા બે—અઢી દાયકા દરમ્યાન એમનું પત્રકારકાર્ય પણ એટલું જ પ્રભાવક નીવડેલું છે. સાહિત્યનાં સ્થગિત મૂલ્યો સામે બંડ પોકારતી, ઉત્સાહી અને તેજસ્વી કલમોને ‘કૌમુદી’ અને ‘માનસી’માં એમણે અવકાશ કરી આપ્યો. પોતે પણ સતત લખતા રહીને આવાં વાદ-યુદ્ધોને પ્રેરકબળ પૂરું પાડેલું, પ્રભાવવાદી વિવેચનાને પણ એમનાં સામયિકોએ પોષી અને સંવર્ધી. તંત્રી તરીકે વિજયરાય નવીન વલણોના જેવા ઉત્સાહી ઉપાસક હતા એવા જ સંપાદનની ચોક્સાઈવાળા, સંનિષ્ઠ અને મૂલ્યવત્તાના આગ્રહી હતા. એટલે સાહિત્યિક પત્રકારત્વનાં ઊંચાં ધોરણો પણ એમણે સ્થાપી આપ્યાં. આપણે ત્યાંનાં સાહિત્યિક સામયિકોના ઇતિહાસમાં ‘કૌમુદી’ અને ‘માનસી’નું સ્થાન નિઃશંકપણે ઘણું ઊંચું અને ગૌરવપૂર્ણ ગણાશે. પત્રકારત્વે વિજયરાયના વિવેચનકાર્યને એક ગતિ આપી. એમનાં કેટલાંક સ્વપ્નો પણ એમાં કંઈક અંશે સાકાર થયેલાં છે. વિવેચક ઉપરાંત નિબંધકાર તરીકેના એમના વિકાસમાં પણ પત્રકારત્વનો હિસ્સો છે. પરંતુ, આ પત્રકારત્વે જ એમની ઘણી શક્તિઓને કંઈક અંશે સીમિત પણ કરી દીધી છે. નવીનતાને આરાધતી, ઝમકદાર અને ચાપલ્યના અંશોવાળી શૈલીએ એમનાં કેટલાંક લખાણોને સપાટી પર ફેલાઈ જતી ચમકવાળાં બનાવી દીધાં, જે હવે સમય જતાં નિસ્તેજ અને ફિક્કાં પણ લાગે છે. એમનામાંનો ગંભીર અભ્યાસી પણ આ કારણે ક્યારેક પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ જતો જણાય છે. અનંતરાય રાવળ કહે છે એમ, ક્યારેક તો એમની વિવેચનસાધના શૈલીસાધના કે રીતિસાધના પણ બની ગઈ છે. (‘ગંધાક્ષત’ (૧૯૪૯), પૃ. ૨૦૭) પરંતુ આવી શૈલીપરકતાને તથા તત્કાલીનતા અને પ્રાસંગિકતાના અંશોને બાદ કરતાં સ્થાયી મૂલ્ય ધરાવતું લેખનકાર્ય પણ પત્રકારત્વને અનુષંગે એમણે કર્યું છે ખરું. ઉપરાંત તત્કાલીન સાહિત્યિક સ્થિતિને એક વળાંક આપી, એમાં નવું સંચલન પ્રવર્તાવતી રેખા એમણે આંકી આપી છે એનું ઐતિહાસિક મૂલ્ય પણ અગત્યનું લેખાશે. રમણભાઈ નીલકંઠે આપેલા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનની. વિજયરાયે ૧૯૨૦માં, કારકિર્દીના આરંભે જ કરેલી વિસ્તૃત કડક સમીક્ષામાં એક વિવેચક તરીકેનો એમનો લાક્ષણિક પરિચય મળી જાય છે. કડક અભિપ્રાયોમાં દેખાતાં આક્રમકતા અને અભિનિવેશ, કટાક્ષના અંશોવાળી અસંદિગ્ધ ભાષામાં કરેલા મુદ્દાસર વિશ્લેષણમાં વરતાતાં ચોકસાઈ અને નિર્ભીકતા, વિવેચનને એક કલાકૃતિને ધોરણે તપાસી એની મર્યાદાઓ દેખાડવામાં જણાઈ આવતી વિવેચન પાસેથી એમની વિલક્ષણ અપેક્ષા તથા અન્ય પ્રવૃત્તિઓના અવકાશો વચ્ચે થતી સાહિત્યસેવાની ઊણપો અને કચાશો બતાવી આપવામાં પ્રગટ થતો સાહિત્યની એકનિષ્ઠ ઉપાસનાનો એમનો આગ્રહ—વિજયરાયના વિવેચનની દિશાનું સ્પષ્ટ ઇંગિત કરે છે. પછી તો બે—અઢી દાયકા સુધી આવા જ લાક્ષણિક મિજાજના ફલસ્વરૂપ વેધક અને માર્મિક દૃષ્ટિવાળાં વિવેચનો એકધારી રીતે એમની પાસેથી મળતાં રહે છે. તત્ત્વવિચાર અને ગ્રંથસમીક્ષા : ‘સાહિત્યદર્શન’ (૧૯૩૫) તથા ‘જૂઈ અને કેતકી’ (૧૯૩૯) એમના વિવેચનકાર્યના સૌથી વધુ નોંધપાત્ર સમયગાળાના વિવેચનસંગ્રહો છે. પહેલામાં મુખ્યત્વે સામ્પ્રત સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા અને તત્ત્વવિચાર છે, બીજામાં એમની તિખાશવાળી પણ રસલક્ષી, અભ્યાસપૂર્ણ ગ્રંથસમીક્ષાઓ છે. આ બધામાં વિજયરાયની વિવેચનપદ્ધતિ તરત ધ્યાન ખેંચે છે. સાહિત્યપ્રવાહનું રસદર્શી અને ચિત્રાત્મક નિરૂપણ કરી એનો જીવંત પરિચય એ કરાવતા હોય છે. પ્રવર્તમાન સાહિત્યિક પ્રશ્નોની એમની ચર્ચા ઉત્કટ અને જલદ વિશેષ હોય છે. પૂર્વપક્ષ પર એ કટાક્ષ—વિનોદમિશ્રિત આક્રમણ કરે છે પણ પછી પોતાના મતના સમર્થનમાં કરેલી દલીલોમાં એમની અભ્યાસશીલતાની તથા તીક્ષ્ણ બુદ્ધિશક્તિની છાપ ઊપસે છે. પંડિતયુગીન વિવેચના અને એનાં સાહિત્યવલણો અંગેના લેખોમાં આની પ્રતીતિ થાય છે. તત્ત્વચર્ચાના એમના થોડાક લેખો પ્રમાણભૂત વિચારણા, મુદ્દાસરની ચર્ચા અને માર્મિક નિરીક્ષણોનું મૂલ્ય ધરાવે છે. ‘વાંગ્મયવિચાર’, ‘સાહિત્ય’ જેવા લેખોમાંની તર્કબદ્ધ અને પૃથક્કરણાત્મક ચર્ચા અને ‘કલાવિવેચનની ગૂંચ’માં કલા અને નીતિના પ્રશ્નની અરૂઢ પદ્ધતિએ કરેલી, અન્વેષણમૂલક વિચારણા ખૂબ સત્ત્વશાળી છે. વિજયરાયની ગ્રંથસમીક્ષાઓ એમની વિવેચનશક્તિઓનો એક મહત્ત્વનો, લાક્ષણિક અંશ છે. સંક્ષિપ્ત ગ્રંથાવલોકનોમાં તે કૃતિનો રસલક્ષી અને મર્મદર્શી પરિચય આપે છે તો એમની દીર્ઘ સમીક્ષાઓ અભ્યાસપૂર્ણ અને સમગ્રદર્શી હોય છે. પાશ્ચાત્ય અને ગુજરાતી સાહિત્યપરંપરાની ઉત્તમ કૃતિઓના સંદર્ભે વિવેચ્ય કૃતિના સ્વરૂપની લાક્ષણિકતાઓ ચર્ચી એનું મૂલ્યાંકન તે કરી આપતા હોય છે. કૃતિના વિશેષો દર્શાવી આપવામાં કેએના દોષોને બરાબર ધારદાર રીતે ચીંધી આપવામાં એ ખૂબ કુશાગ્રદૃષ્ટિ જણાય છે. ‘ઊગતી જુવાની’, ‘સાહિત્યમંથન’, ‘કાકાની શશી’ ધૂમકેતુની વાર્તાઓ આદિની સંગીન દીર્ઘ સમીક્ષાઓ આના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. વિવેચન પરત્વેનો સર્જનાત્મક દૃષ્ટિકોણ વિજયરાયનાં વિવેચનોની એક મહત્ત્વની વિશેષતા છે. આ દૃષ્ટિકોણનાં મૂળ તો, અભ્યાસકાળમાં આર્થર ક્વીલરકૂચની વિવેચનરીતિ તરફ જાગેલા એમના આકર્ષણમાં પડેલાં છે. ‘સાહિત્યનું વિવેચન સાહિત્ય જેવું સર્જનલક્ષી હોય તો જ દ્વિજોત્તમ જાતિનું ગણાય’(જુઓ ‘માણેક અને અકીક’ (એમાંનો ‘મારી વિવેચનકારકિર્દી’ નામનો લેખ), પૃ. ૧૬૧)એવો ખ્યાલ ત્યારે જ બંધાયેલો. એ પછી એમના વિવેચનવિચારમાં ઉત્તરોત્તર સ્પષ્ટ થતો અને એમની સમીક્ષાઓમાં ચરિતાર્થ થતો ગયો. સહૃદયતાથી કૃતિના પ્રભાવને ઝીલી, રસળતી અને કલ્પનામંડિત શૈલીમાં એને અંકિત કરી આપવાનું એ સ્વીકારે છે. એથી એમનાં વિવેચનોમાં વૈયક્તિક ઉષ્માના અને આત્મલક્ષી રાગીયતાના અંશો ઘણા જોવા મળે છે. વાચકને આથી કૃતિનું મર્મદર્શન તો મળે જ છે પણ એ ઉપરાંત વિવેચકની રસલક્ષી વિવેચનરીતિ પણ એનું ધ્યાન ખેંચે છે. વિજયરાયનાં વિવેચનો આવો એક વિલક્ષણ અનુભવ કરાવે છે. સાહિત્યના પ્રવાહદર્શનમાં કે સૈદ્ધાન્તિક ચર્ચાઓમાં પણ એમની શૈલીનું રૂપ લગભગ આવું જ રહે છે. પરંતુ એથી એમનાં વિવેચનો વાયવ્ય બની જાય છે એમ નથી, કારણ કે એમાં બૌદ્ધિકતાનો પરિહાર કે અભ્યાસશીલતાનો અભાવ નથી. નાનાલાલની વિવેચનપદ્ધતિની ટીકા કરતાં એમણે વિવેચકમાં કલ્પના ઉપરાંત સૂક્ષ્મ પૃથક્કરણ કરનારી બુદ્ધિશક્તિની આવશ્યકતા પ્રમાણી જ છે. એમનાં વિવેચનોમાં પ્રયોગલક્ષી વલણ પણ દેખાય છે. કેટલાક પ્રયોગો પત્રકારત્વપ્રેરિત પણ હશે પણ એમાંથી નીવડી આવેલામાં વિજયરાયની વિવેચનાના લાંબા ફલકનો તથા એમની વિવેચનપ્રવૃત્તિનાં વિવિધ પરિમાણોનો સરસ પરિચય મળી રહે છે. રસલક્ષી નિબંધિકાઓ જેવાં મિતાક્ષરી અવલોકનો, આક્રમક પણ તત્ત્વાગ્રહી ઊહાપોહ, માહિતીને સઘન રીતે સમાવતાં છતાં આસ્વાદદર્શી રહેતાં કૃતિ—કર્તા કે સાહિત્યપ્રવાહ અંગેનાં લખાણો, તલસ્પર્શી સાહિત્યતત્ત્વચર્ચાઓ, વ્યવસ્થિત અને અંકોડાબદ્ધ ચાલતી કેટલીક અધ્યયનમૂલક વિચારણાઓ એ બધામાં એમની સજ્જતાનો અને એમની રસિક વિદ્વત્તાનો વિવિધરૂપે આવિષ્કાર થયેલો છે. સાહિત્યનો ઇતિહાસ : મુનશીએ વિજયરાયની ‘a brilliant stylist and apowerful critic. (Gujarat and its Literature (1935), પૃ. ૩૩૫)તરીકે આપેલી ઓળખ તેમના ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ (૧૯૪૩)ની બાબતમાં સૌથી વધુ સાચી છે. સાહિત્યના સળંગ ઇતિહાસો આપવાના કેટલાક ગાંધીયુગીન વિવેચકોના મહત્ત્વના પ્રયાસોમાં વિજયરાયનો આ ગ્રંથ ઇતિહાસલેખનની અરૂઢ પદ્ધતિ અને એમની વિલક્ષણ ગદ્યશૈલીથી જુદો તરી આવે છે. હેમચંદ્રથી આરંભી આ સદીના લગભગ ત્રીજાદાયકા સુધીના સાહિત્યપ્રવાહનો, મુખ્ય કર્તાઓ અને એમની મહત્ત્વની કૃતિઓને કેન્દ્રમાં રાખીને એમણે સરસ આલેખ આપ્યો છે. પત્રકારી આકર્ષકતાવાળાં પણ સામાન્ય રીતે મર્મદર્શી નીવડતાં પ્રકરણશીર્ષકો, કવિના જમાનાના સાંસ્કૃતિક પરિવેશનું મિતાક્ષરી અને ચિત્રાત્મક વર્ણન, કર્તાના વ્યક્તિત્વની અને એની સર્જકપ્રતિભાની લાક્ષણિકતાઓનો કલ્પનામંડિત પરિચય, કૃતિનું લાઘવપૂર્ણ, સચોટ રસદર્શન એની આગવી ખાસિયતો છે. માણેલા સાહિત્યાનંદને વર્ણવવાનો એમનો આશય રહ્યો છે અને એથી એમની ગતિ શુષ્ક ઇતિહાસલેખનને બદલે રસાવહ પદ્ધતિએ સાહિત્યપરંપરાનું મૂલ્યાંકન કરવાની દિશામાં રહી છે. આવી પદ્ધતિ છતાં એમાં માહિતીની ઊણપ પણ ખાસ વરતાતી નથી. મૂળ સળંગ લખાણમાં સમાવિષ્ટ ન થયેલી માહિતી એમણે પરિશિષ્ટો દ્વારા મૂકી છે. સાહિત્યસ્વરૂપોની વિશેષતાઓ નોંધતાં, કર્તા અને કૃતિની કેટલીક વિગતોને એકસાથે તારવી આપતાં, મહત્ત્વની સાલવારી નિર્દેશતાં આવાં પરિશિષ્ટોમાં માહિતી એક સ્થાને સંકલિત થઈને પણ મળે છે. પોતાના વક્તવ્યમાં, સર્જકો અને કૃતિઓ વિશેનાં અભ્યાસી વિદ્વાનોનાં અવતરણો ગૂંથતા જઈને તેમ જ વિગતપૂર્ણ ટિપ્પણોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને એમણે પોતાની સજ્જતા અને જાણકારીનો પણ ખૂબ લાક્ષણિક વિનિયોગ કર્યો છે. એમની પ્રતિભાવાત્મક લેખનશૈલીમાંથી કેટલાંક માર્મિક નિરીક્ષણો પણ સાંપડે છે. આમ, વિજયરાયના આ ઇતિહાસમાં, જયંત કોઠારી કહે છે એવું ‘અભિપ્રાયો અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન’(‘વિવેચનનું વિવેચન’ (૧૯૭૬), પૃ. ૯૭)પણ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. જોકે, વિજયરાયની નિરૂપણપદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે પુસ્તકનું આલેખન એકસરખી સંઘટનાવાળું રહ્યું નથી. પ્રકરણના એક અંશમાં એમનો આસ્વાદમૂલક પ્રતિભાવ હોય છે તો બીજા અંશમાં માહિતીને એકસાથે ખડકી દેતું શુષ્ક વિગતવર્ણન પણ હોય છે. શૈલીપ્રવાહ પણ આથી અવરુદ્ધ થતો લાગે. લખાણને કલ્પનાત્મક કરવાના મોહને લીધે અને ક્યારેક નવીનતાના લોભે તેમાં કિલષ્ટતા, સંદિગ્ધતા અને અપ્રસ્તુતતા જેવી મર્યાદાઓ પણ પ્રવેશી છે. મધ્યકાલીન સાહિત્ય વિશેનું લખાણ કંઈક જલદી પતાવી દીધેલું, અપર્યાપ્ત લાગે છે તો સુધારક યુગ વિશેનું લખાણ કંઈક વધુ વિગતપૂર્ણ લાગે છે. આથી, સામગ્રીની દૃષ્ટિએ ઇતિહાસલેખનની યોજના અસંતુલિત રહી ગઈ હોવાની પણ એક છાપ પડે છે. વીસેક વર્ષ પછી એમણે આ ઇતિહાસ પર ફરીથી કામ આરંભ્યું અને એને સુધારી—વિસ્તારીને ત્રણ ભાગોમાં પ્રકાશિત કર્યો. પંડિતયુગ સુધીના ઇતિહાસને જ એમાં તે આવરી શક્યા છે. એ પછીના સમય વિશે બીજા બે ભાગ તૈયાર કરવાની એમની યોજના હતી પણ એ કામ તે પૂરું કરી શક્યા નહીં. આ સંવર્ધિત ઇતિહાસમાં પણ નિરૂપણની કેટલીક મુશ્કેલીઓ રહી ગઈ છે; પણ સામંગ્રીની દૃષ્ટિએ એ કંઈક વધુ વ્યવસ્થિત કરી શકાયો છે. વિજયરાયની વિલક્ષણતાઓનું પ્રતિનિધિત્વ કરતો અને એમની વિવેચનાત્મક શક્તિઓનો પૂરો હિસાબ આપતો આ ગ્રંથ એમની સમગ્ર સાહિત્યસેવામાં સૌથી વધુ મહત્ત્વનું સ્થાન પામે એવો છે. અન્ય : આ ઉપરાંત ‘ન્હાનાલાલ કવિની જીવનદૃષ્ટિ’ (૧૯૫૭)માં નાનાલાલના સર્જનને પ્રેરક-પ્રભાવક નીવડેલાં પરિબળોની માહિતીપૂર્ણ ચર્ચા અને એ સંદર્ભે થયેલું નાનાલાલનું મૂલ્યાંકન છે તો ‘ગત શતકનું સાહિત્ય’ (૧૯૫૯) યુગના પ્રવાહોની એમની ઝીણી જાણકારીનો પરિચય કરાવે છે-૧૯મી સદીનો ઉત્તરાર્ધ આમેય એમના રસનો વિષય રહ્યો છે. જોકે, સામગ્રીના સમતોલ નિરૂપણની મુશ્કેલી આ પુસ્તકમાં પણ વરતાય છે. સંશોધનાત્મક કહી શકાય એવાં લખાણોના બે સંગ્રહો પૈકી ‘લીલાં- સૂકાં પાન’ (૧૯૪૨)માં નર્મદના ‘ડાંડિયો’ના મળી શક્યા એટલા અંકોની નોંધપાત્ર અને મૂલ્યવાન સામગ્રીને ખૂબ ચોક્સાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે તારવીને એનું એમની લાક્ષણિક શૈલીમાં સરસ નિરૂપણ કર્યું છે. હકીકતોને વિકૃત કર્યા વિના નવીન જાણકારીને વધુ રસપ્રદ કરીને એમણે આપી છે ને એની પશ્ચાદ્ભૂમાં નર્મદના વ્યક્તિત્વને પણ એમણે ઉપસાવી આપ્યું છે. પરંતુ ‘પારસના સ્પર્શે’ (૧૯૬૩)માંના એક દીર્ઘ લેખ ‘વશિષ્ઠગાથા’માં. પુરાણોમાંની વશિષ્ઠકથાનો અભ્યાસ કરીને એમણે આલેખેલું વશિષ્ઠનું સંશોધનમૂલક ચરિત્ર, કલ્પનાત્મક અંશોની ભેળસેળથી, પ્રમાણભૂત રહી શક્યું નથી. આ પુસ્તકમાંનાં અન્ય લખાણો પણ, આસ્વાદ્યતાના અંશોધરાવતાં હોવા છતાં, ઇતિહાસનાં તથ્યોને શૈલીવેડાથી ધૂંધળાં બનાવતી મર્યાદાવાળાં છે.‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) તથા ‘માણેક અને અકીક’ (૧૯૬૭) એ બે પ્રકીર્ણ લેખસંગ્રહોમાં સાહિત્યવિચારણા અને ગ્રંથસમીક્ષાના પણ કેટલાક લેખો છે. આ બંને પુસ્તકોમાં એમણે કેટલાક સર્જકો સાથેનાં પોતાનાં સંસ્મરણો અને એમનાં વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. એમાં વિજયરાયની ગદ્યશૈલીનો પ્રસન્નકર પરિચય મળે છે. ‘કૌમુદી સેવકગણ’ યોજના : સાહિત્યની એકનિષ્ઠ ઉપાસના કરવાની ભાવનાથી પ્રેરાઈને વિજયરાયે ‘કૌમુદી’કાળમાં ‘કૌમુદી સેવકગણ’ની યોજના કરેલી. વિવિધ ક્ષેત્રે સાહિત્યપ્રવૃત્તિને પ્રસારવાની આ યોજનાના સંદર્ભે સાહિત્યના બૃહદ્ વિશ્વકોશનો પણ વિગતવાર આલેખ એમણે આપેલો. નિવૃત્ત થયા પછી, એમના આ મહત્ત્વાકાંક્ષી સંકલ્પને કંઈક આકાર આપવાનો પ્રયાસ એમણે ‘સાહિત્યપ્રિયનો સાથી-૧’ (૧૯૬૭) રૂપે કરી જોયો છે. કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓ, કેટલાક સર્જકો, દેશવિદેશનાં કેટલાંક સાહિત્યસ્વરૂપો ઉપરાંત સંસ્કૃતિ, ધર્મ આદિના કેટલાક ઘટકો વિશેનાં, મોટે ભાગે પોતાનાં અને કેટલાંક બીજાનાં, લખાણોના આ સંચય પાછળ સાહિત્યરસિકને મદદરૂપ બને એવો સંદર્ભગ્રંથ આપવાનો એમનો આશય હતો. પરંતુ એમાં લખાણોની પસંદગીમાં કોઈ એકવાક્યતા જળવાઈ નથી, ક્યાંક એમણે આડેધડ ઉતારા આપ્યા છે, અને સંપાદનનું પણ કોઈ ચોક્કસ ધોરણ સ્વીકારાયું નથી એ કારણે આખું કામ ઘણું નબળું રહી ગયું છે—સંદર્ભકોશ તરીકે એનું કોઈ મૂલ્ય સ્થાપિત કરી શકાયું નથી.

આ બધાંમાં વિજયરાયની વ્યાપક રુચિનો, એમના સતત ઉત્સાહભર્યા પરિશ્રમનો પરિચય થાય છે. પણ વિજયરાયનું યશોદાયી કામ તો એમની કારકિર્દીના પહેલા ત્રણેક દાયકાનું ગણાય. એ પછી વિવેચન, નિબંધ અને અન્ય સ્વરૂપોમાં કરેલું એમનું કામ ગુણવત્તાની દૃષ્ટિએ ઊતરતું રહ્યું છે. એમની તેજસ્વી શૈલી પછી ઝાંખી પડી છે, લખાવટમાં પીઢતા આવવાને બદલે ઘણી વાર શિથિલતા આવી છે. એટલે ‘ચેતન’, ‘ગુજરાત’ અને ‘કૌમુદી’કાળના-ને ‘માનસી’નાં કેટલાંક વર્ષો સુધીના સમયના-વિજયરાયનું એક તેજસ્વી પત્રકાર અને વિચક્ષણ સાહિત્યકાર તરીકેનું કામ ચિરસ્થાયી મૂલ્યવાળું છે.

(૩) રસિકલાલ પરીખ

સાહિત્યસર્જન અને વિવેચન ઉપરાંત તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ, ઇતિહાસચિંતન, સંશોધન અને અનુવાદ-સંપાદન એમ બહુવિધ ક્ષેત્રે રસિકલાલ પરીખનું પ્રદાન ઘણું મૂલ્યવાન રહ્યું છે. જ્ઞાનની આટલી બધી શાખાઓ ઉપર નોંધપાત્ર અધિકાર ધરાવતી હોય એવી પ્રતિભા આપણે ત્યાં વિરલ જ ગણાય. ગાંધીયુગીન સારસ્વત પેઢીમાં, આમ, તે એક વિશિષ્ટ અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૧૮માં બી.એ. થયા પછી ‘એમનેકમ્પેરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ની શંકરાચાર્ય સેમિનારમાં ફેલોશિપ મળી. પૂનામાં અભ્યંકર શાસ્ત્રી, પટવર્ધન, રાનડે વગેરે જેવા વિદ્વાન અધ્યાપકો પાસે સંસ્કૃત—અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ કરેલો એના ઘણા ઊંડા સંસ્કારો એમના ચિત્ત પર પડેલા. એનાં પરિણામો ભારતીય તત્ત્વજ્ઞાન પરનાં એમનાં અંગ્રેજી લખાણોમાં તરત દેખાતાં ગયાં. જિનવિજયજીના સંપર્કે ઇતિહાસ અને વ્યાકરણ તરફ પણ એમની રુચિ વળતી ગઈ. એમની પાસે એમણે પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું અને પૂનાની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હસ્તલિખિત પ્રતોનું વર્ણનાત્મક કૅટલૉગ (૧૯૧૯માં) તૈયાર કર્યું. પંડિત સુખલાલજીના પરિચયે દર્શનશાસ્ત્રોના અભ્યાસની ઊંડી આકાંક્ષા એમનામાં જગાડી. ૧૯૨૦ આસપાસ અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી ઘનિષ્ઠ બનવા માંડેલી રામનારાયણ પાઠક સાથેની મૈત્રી એમના સાહિત્યજીવનની એક મહત્ત્વની ઘટના બની ગઈ. ૧૯૨૧માં તે ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે જોડાયા. અહીં ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકના સંપાદક તરીકે અને પછી આચાર્ય તરીકે જોડાયા. પુરાતત્ત્વ’ ત્રૈમાસિકના સંપાદક તરીકે અને કેટલોક વખત ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના સહતંત્રી તરીકે એમણે અભ્યાસકાળથી કેળવેલી શાસ્ત્રીય શિસ્તનો અને એમની રસજ્ઞ વિદ્વત્તાનો ઉત્તમ પરિચય કરાવ્યો. એ દરમ્યાન એમનું સાહિત્ય તેમજ સંશોધન-વિવેચન અંગેનું અધ્યયન અને લેખન ગતિશીલ બન્યું. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી બન્યા એ વચ્ચેના ગાળામાં સંશોધનકાર્ય ઉપરાંત, રામનારાયણ પાઠક સાથેવિદ્યાપીઠકાળથી કરેલો, નાટક અને રંગભૂમિના પુનરુદ્ધારનો પોતાનો સંકલ્પ ફલિત કરવા વિશે તે વધુ સક્રિય બન્યા. જૂની રંગભૂમિ અને લોકનાટ્યનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો અને એનું અધ્યયન કર્યું. ભરતનાટ્યશાસ્ત્રના એમના સ્વાધ્યાયે, ભાસનાટકચક્ર પરની વિવેચનાત્મક વિચારણાએ તથા સંસ્કૃત નાટકોના અને ઇબ્સનાદિનાં યુરોપીય નાટકોના પરિશીલને વિકસેલાં રુચિ-દૃષ્ટિથી વિદ્યાપીઠમાં એમણે કરેલા રંગભૂમિપ્રયોગોએ તેમ જ ‘રાઈનો પર્વત’ જેવા શિષ્ટ નાટકને રંગભૂમિ પર ઉતારવાના સફળ પ્રયાસોએ એમની નાટ્યવિદ તરીકે શાખ બાંધેલી. એથી ૧૯૩૭ની રંગભૂમિપરિષદના ઉદ્ઘાટન-પ્રવચન માટે એમને નિમંત્રણ મળ્યું. એ પ્રવચનમાં વ્યક્ત કરેલા નાટ્યવિદ્યામંદિરની સ્થાપનાના વિચારને પછી એમણે જ ‘નટમંડળ’ની સ્થાપનાથી ચરિતાર્થ કરી બતાવ્યો. ૧૯૪૧થી નિવૃત્તિપર્યંત તે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ રહ્યા. અહીં જુદીજુદી દિશાઓમાં એમનું પોતાનું અધ્યયન તો ચાલુ રહ્યું ને એના ફલસ્વરૂપે સર્જન-વિવેચનના ઉત્તમ ગ્રંથો એમની પાસેથી મળ્યા, પણ એ ઉપરાંત ગુજરાતની વિદ્યાકીય પ્રવૃત્તિનું પોષણ—સંવર્ધન પણ તે કરતા રહ્યા. આમ, સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યમીમાંસા અને ફિલસૂફીના અધ્યયનથી ઘડાયેલી રુચિને લીધે એમના વિવેચનમાં તુલનાત્મક દૃષ્ટિકોણનો વિનિયોગ થતો રહ્યો છે. ભારતીય સાહિત્યવિચાર અને તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને ચાલતી એમની વિચારણા પાશ્ચાત્ય ચિંતન—વિવેચન સાથેની તુલનાથી વધુ સ્પષ્ટ અને સમૃદ્ધ થયેલી છે. સંકુલ વિચારણાનું પણ ખૂબ વ્યવસ્થિત, મુદ્દાસર અને વિશદ નિરૂપણ વિવેચક તરીકેનો એમનો મુખ્ય વિશેષ છે. સંસ્કૃત રસમીમાંસામાંની ‘આનંદમય સંવિદ્’ની અને પાશ્ચાત્ય વિવેચનની એસ્થેટિક્સની વિચારણાને સંદર્ભે કાવ્યના રસાનંદના સ્વરૂપની સર્વાંગીણ તપાસ કરતો એમનો ગ્રંથ ‘આનંદમીમાંસા’ (૧૯૬૩) આપણે ત્યાં તુલનાત્મક અધ્યયનનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. માનવચિત્તની સહજ પ્રેરણા રૂપે રહેલા આનંદતત્ત્વ ભૂમા—ની અને એના વિકસિત સ્વરૂપની ચર્ચા કરીને એમણે તત્ત્વજ્ઞાનની પીઠિકા પર બ્રહ્માનંદ સાથે રસાનંદની તુલના કરી આપી છે અને નાટ્યશાસ્ત્રમાંના રસના વિભાવની વિસ્તૃત વિવેચના કરી છે. આ સંદર્ભે એમણે ક્રોચે અને શોપનહાઉરની વિચારણાને પણ નિરૂપી આપી છે. સૌન્દર્યશાસ્ત્રને આમ ફિલસૂફીના એક વિષયાંગ તરીકે મૂલવવાનો એમનો ઉપક્રમ નોંધપાત્ર છે. સાહિત્યમીમાંસા અને દર્શનશાસ્ત્રોની પરિભાષાની ઝીણવટમાં ઊતરતી અને ચર્ચા માટે એક મોટા વ્યાપને સ્વીકારતી એમની આ મૌલિકઅને સંકુલ વિચારણાની રજૂઆત ખૂબ સ્પષ્ટરેખ અને વિશદ રહી છે. ૧૯૬૦-૬૧માં ‘મહારાજા સયાજીરાવ સ્મારક વ્યાખ્યાનો’ રૂપે તૈયાર થયેલા આ ગ્રંથમાં વક્તવ્યની પ્રાસાદિકતા પણ નોંધપાત્ર છે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-અંગ્રેજીના અભ્યાસની આવશ્યકતા, ગુજરાતી ભાષાનો ઐતિહાસિક વિકાસ, કવિતા અને વિવેચનના ઘટકો, પાશ્ચાત્ય વિવેચના આદિ અનેક વિષયોને આવરતા એમના સાહિત્ય પરિષદ (મુંબઈ અધિવેશન)ના સુદીર્ઘ અધ્યક્ષીય પ્રવચનમાં પણ શૈલીનું આ વૈશદ્ય જ અઘરા વિષયને સુગમ બનાવવામાં કામયાબ નીવડેલું જણાશે. ‘આકાશભાષિત’ (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર આપેલા રેડિયો વાર્તાલાપો છે. પણ અહીં ગ્રંથસ્થ કરતાં પૂર્વે એમણે મોટા ભાગનાં વક્તવ્યોને સંવર્ધિત-વિવર્ધિત કરી વ્યવસ્થિત અભ્યાસલેખો રૂપે મૂક્યાં છે. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન, કલા, રંગભૂમિ, સંસ્કૃતિ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન એમ અનેક વિષયો પરની એમની તેજસ્વી વિચારણાનો એમાં પરિચય મળે છે. સંસ્કૃત નાટક અને રંગભૂમિ પરના લેખોમાં કલાવિવેચક અને નાટ્યવિદ્ તરીકેની એમની પરિષ્કૃત રુચિનાં દર્શન થાય છે, તો ભરતના નાટ્યશાસ્ત્રનાં અને ધ્વન્યાલોકનાં એમણે આપેલાં વિવરણો એક અધિકારી વિદ્વાનને હાથે થયેલી પારદર્શી રજૂઆતના નમૂનારૂપ બન્યાં છે. મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની વિગતે સમીક્ષા કરતો એમનો ગ્રંથ ‘સંસ્કૃત નાટક- સાહિત્ય’ (૧૯૮૦) પણ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. સંસ્કૃત કાવ્યવિચારનું વિશદ વિવરણ આપવામાં તથા તત્ત્વજ્ઞાનના અને પાશ્ચાત્ય વિવેચનવિચારના સંદર્ભે એને આગવો પરિપ્રેક્ષ્ય આપવામાં રસિકલાલ પરીખનું આપણાવિવેચનને વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. એમના પ્રત્યક્ષ વિવેચનમાં સહૃદયતાના અને મર્મજ્ઞ રસિકતાના ગુણ સવિશેષપણે જોવા મળે છે. પુરોવચન અને વિવેચન’ (૧૯૬૫)ના સમીક્ષાલેખો તથા ૧૯૭૨માં એમણે ગુજરાત વિદ્યાસભાની વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળા’માં આપેલાં વ્યાખ્યાનોના ગ્રંથ ‘સરસ્વતીચંદ્રનો મહિમા—એની પાત્રસૃષ્ટિમાં’ (૧૯૭૬)આની પ્રતીતિ કરાવે છે. કૃતિની લાક્ષણિકતાઓની ઝીણી નોંધ લેતાં એનો આસ્વાદમૂલક પરિચય કરાવવા તરફ એમનો વધુ ઝોક રહે છે. એમનું વિવેચન સામાન્યપણે ગુણાનુરાગી રહેતું હોવા છતાં ક્યારેક એમણે સર્જકની મર્યાદાઓ પણ અસંદિગ્ધપણે દર્શાવી આપી છે. સમીક્ષિત કૃતિના સ્વરૂપની ચર્ચા સાથેનું વિસ્તૃત અને વિશ્લેષણાત્મક વિવેચન પણ એમણે ક્યારેક આપ્યું છે. ‘દ્વિરેફની વાતો’,‘શેષનાં કાવ્યો’, ‘ઊગતી જુવાની’ વગેરે કૃતિઓની લાંબી સમીક્ષાઓ આદૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. એમની આ કૃતિસમીક્ષા કેટલીક મર્યાદાઓ પણ દેખાડે છે. સમીક્ષા ઘણી વાર માત્ર પરિચયદર્શી બની જાય છે તો ક્યારેક કૃતિના કોઈ એક જ પાસા પર કેન્દ્રિત થઈ અપર્યાપ્ત પણ રહી જાય છે. એ જ રીતે, ‘સરસ્વતીચંદ્ર’ની પાત્રસૃષ્ટિનો એમનો પરિચય પણ રસલક્ષી બનતો હોવા છતાં ગોવર્ધનરામની પાત્રનિરૂપણકલા પર કોઈ દ્યોતક પ્રકાશ પાડતો ન હોવાથી એમાં ‘સરસ્વતીચંદ્ર’નો મહિમા ઝાઝો પ્રસ્થાપિત થઈ શકતો નથી. કેવળ પરિચયલક્ષી વિસ્તારે પણ આ વ્યાખ્યાનોને શિથિલબંધ કર્યાં છે. એટલે મુખ્યત્વે તો સંસ્કૃત કાવ્યવિચારનું વિશદ વિવરણ આપવામાં અને તત્ત્વજ્ઞાનના તેમજ પાશ્ચાત્ય વિવેચનવિચારના સંદર્ભે એને આગવો પરિપ્રેક્ષ્ય પૂરો પાડવામાં રસિકલાલ પરીખનું આપણા સાહિત્યને વિશિષ્ટ પ્રદાન રહ્યું છે.

(૪) વિશ્વનાથ ભટ્ટ

સાહિત્યના સૌંદર્યદર્શન તેમજ સત્યદર્શનના આગ્રહ સાથે, ઊર્મિપ્રાણિત પણ ગૌરવયુક્ત શૈલીમાં સમગ્રલક્ષી અને સુદીર્ઘ અભ્યાસલેખો આપનાર તથા એક ઉન્નત મૂલ્યવાળી ને સ્વાયત્ત કલાપ્રવૃત્તિ તરીકે વિવેચનનો મહિમા કરનાર વિવેચક તરીકે વિશ્વનાથ ભટ્ટની વિલક્ષણ છાપ ઊપસેલી છે. સૈદ્ધાન્તિક ચર્ચા : વિવેચનના સ્વરૂપની વિચારણા અને વિવેચનની મૂલ્યવત્તા અંગેની ચર્ચા વિશ્વનાથમાં એકસાથે ચાલતાં રહ્યાં છે. વિવેચકની સર્જકતા વિશેના એમના પ્રતિપાદનમાં અને પછી એના વિરોધોના પ્રતિવાદ રૂપે એમણે જગવેલા ઊહાપોહમાં સમાન્તરે વિવેચનની અગત્ય, વિવેચકનો કાર્યપ્રદેશ અને એની જવાબદારી વિશેની પણ વિગતપૂર્ણ ચર્ચા થતી રહી છે. એમના ચારે વિવેચનસંગ્રહોના આરંભના લેખો ‘વિવેચનનો આદર્શ’ (‘સાહિત્યસમીક્ષા’ : ૧૯૩૭), ‘વિવેચનની અગત્ય’ (‘વિવેચનમુકુર’ : ૧૯૩૯),( એમના આ પ્રકારના લેખોમાં આ લેખ સમયક્રમે સૌથી પહેલો લખાયેલો છે.) ‘વિવેચકની સર્જકતા’ (‘નિકષરેખા’ : ૧૯૪૫) અને ‘વિવેચનની પવિત્રતા’ (‘પૂજા અને પરીક્ષા’ : ૧૯૬૨)માં એનો વિગતવાર આલેખ સાંપડે છે. પ્રત્યેક સંગ્રહનાં લાંબાં નિવેદનોમાં પણ એમની આ વિચારણાને અને વિવેચનના એમના વિભાવને એ સ્પષ્ટ કરતા રહ્યા છે. વિવેચક સર્વપ્રથમ તો સાહિત્યના સૌંદર્યદર્શન માટે પ્રવૃત્ત થાય છે ને પછી એની કેળવાયેલી પરિષ્કૃત સૌંદર્યદષ્ટિથી (જેને તે ‘સૌંદર્યભાવના’ કહે છે) સાહિત્યનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે, એ વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન (thesis) છે. સાહિત્યકૃતિના સૌંદર્યનું આકલન વિવેચક ‘તર્કબુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ પણ પોતાની સહજોપલબ્ધિથી’(‘સાહિત્યસમીક્ષા’ પૃ. ૨૭) કરતો હોવાથી વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ, ઊર્મિ હોય છેઅને એમ, સહૃદયચિત્તે ઝીલેલા સંસ્કારોથી જ સત્યપૂત મૂલ્યાંકનદૃષ્ટિ ઉદય પામે છે એવું એમનું મંતવ્ય છે. આ દૃષ્ટિએ કરેલા વિવેચનને એ સર્જક માટે પણ આત્મદર્શનનું,—એના ગુણ-દોષદર્શન માટેનું-“મુકુર’ કહે છે. પોતાની સમગ્ર વિવેચનપ્રવૃત્તિને પૂજા અને પરીક્ષા લેખવામાં પણ એમનો ‘સૌંદર્યભક્તિ’ અને ‘સૌંદર્યભાવના’નો ખ્યાલ જ પ્રગટ થાય છે. આ દૃષ્ટિબિંદુ કૌતુકરાગી વિવેચનનો ખૂબ જ લાક્ષણિક પરિચય આપે છે. વિજયરાય વૈદ્ય વિશ્વનાથ ભટ્ટ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા આપણા કૌતુકરાગી વિવેચકોમાં પણ પંડિતયુગીન અને ગાંધીયુગીન સૌષ્ઠવદૃષ્ટિ વિવેચકોના જેવાં બૌદ્ધિકતા, બહુશ્રુતતા અને શાસ્ત્રીયતા તો છે જ પરંતુ કૃતિ સાથેનો એમનો પહેલો મુકાબલો ઊર્મિલક્ષી અને સૌંદર્યદર્શી હોય છે. કંઈક creative impulseથી સક્રિય થઈને કૃતિના સૌંદર્યવિશ્વને એ ઝીલે છે અને એનું નિવેદન કરે છે, ને પછી પોતાના બહોળા વાચન અને નિદિધ્યાસનથી કેળવાયેલી સૌંદર્યદૃષ્ટિથી એનું પરીક્ષણ પણ કરે છે એમાં, માણેલાના આસ્વાદની સાથે -વિજયરાયમાં અને વિશેષપણે વિશ્વનાથમાં દેખાય છે એવી-કૃતિના દોષોની અસંદિગ્ધ, કડક આલોચના હોય છે. ‘સદંશોનું સૌંદર્યદર્શન કે રસાસ્વાદન’ અને પછી ‘અસદંશોનું પરીક્ષણ’ એવી પ્રક્રિયામાંથી જન્મેલા સત્યદર્શી અને સમતોલદૃષ્ટિ મૂલ્યાંકનને વિશ્વનાથ ‘યથાર્થ વિવેચન’ ગણે છે.( જુઓ ‘નિકષરેખા’નું નિવેદન. પોતાના આ મતના સમર્થનમાં એમણે ડી. એચ. લૉરેન્સનું ‘ધ ટચસ્ટોન ઈંઝ ઈમોશન, નૉટ રીઝન..એ મંતવ્ય તથા ‘ધ્વન્યાલોક’માંથી પણ સમર્થનો ટાંક્યાં છે) કંઈક અભિનિવેશથી પ્રેરાયેલા અને એકપક્ષી મતાગ્રહમાં પરિણમેલા,વિવેચકની સર્જકતા અંગે એમણે ચલાવેલા વિવાદમાં પણ એમનો મુખ્યઆશય તો વિવેચનને સૌન્દર્યદર્શનમાંથી ઉદ્ભવેલી એક સ્વયંપર્યાપ્ત પ્રવૃત્તિ તરીકે સ્થાપી આપવાનો હતો. એક સૌન્દર્યવિશ્વને, કેવળ નિમિત્તભેદે, આત્મગત કરતી સક્રિયતાને સંદર્ભે એમને સર્જકનું અને વિવેચકનું કાર્ય સમાન્તરે જતું અને સમમૂલ્ય જણાયેલું. સર્જનાત્મક કૃતિનું કોઈ સિદ્ધાન્તોની મદદથી વર્ગીકરણ-પૃથક્કરણ કરવાને બદલે કે એમાંથી નિયમો તારવવાને બદલે એના ચૈતન્યપૂર્ણ સૌન્દર્યલોકનું મૂલ્યદર્શન કરાવતું વિવેચન સ્વયં એક આસ્વાદ્ય પદાર્થ છે, એવા એમના મંતવ્યનું એમણે વિસ્તારપૂર્વક, અનેક દલીલોથી અને લૉરેન્સ, સ્પિનગર્ન, રોજન્સ, સેઇન્ટ્સબરી, આનાતોલ ફ્રાન્સ જેવા અનેક વિવેચકોનાં અવતરણોથી સબળ સમર્થન કર્યું. એમના મતના વિરોધોનો એમણે અત્યંત આક્રમક પ્રતિકાર પણ કર્યો. વિવેચનનું પ્રભવસ્થાન સર્જન જ હોવાથી એની સ્વયંપર્યાપ્તિના ખ્યાલની નિરર્થકતા રામનારાયણ પાઠકે તથા સર્જન અને વિવેચનના આખરી પ્રભાવની ભિન્નતાને લીધે વિવેચકની સર્જકતાના મતની નિરાધારતા ઉમાશંકર જોશીએ બતાવી આપેલાં તે પછી પણ વિશ્વનાથનો પ્રતિવાદ ચાલતો રહેલો—વિવેચકને સર્જકથી પણ ચઢિયાતો ગણવા સુધી એ ગયેલા. આ આખાય વિવાદ (debate)નું મૂલ્ય હવે તો ઐતિહાસિક રહી ગયું છે પરંતુ એને સંદર્ભે વિશ્વનાથે વિવેચનધર્મની પણ વિસ્તૃત છણાવટ કરી છે એ તો આજે પણ પ્રસ્તુત રહે છે. એક તરફ સર્જનને પ્રેરક બનવામાં અને સર્જકને સજ્જ કરવામાં તો બીજી તરફ વાચકની રસવૃત્તિનું સંવર્ધન કરવામાં, એને સાહિત્યાભિમુખ કરવામાં, ને એમ સાહિત્યની ઉન્નતિ કરવામાં, એમણે વિવેચકનો ધર્મ અને ‘વિવેચનની અગત્ય’ જોયાં છે. વિવેચકને ‘સવાઈ સર્જક’ ગણવામાં પણ એના વિશેષ ગુણ ‘શિવત્વ’ને- એનાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ચારિત્ર્યબળને—એમણે મહત્ત્વનાં લેખ્યાં છે. ‘વિવેચનની પવિત્રતા’ (પૂજા અને પરીક્ષા’) નામના, લગભગ ૯૦ પાનાંના, સુદીર્ઘ લેખમાં એમણે વિવેચકમાં દૃષ્ટિની વેધકતા, બુદ્ધિની કુશાગ્રતા, સત્યનિષ્ઠા, રસિકતા, તલસ્પર્શિતા, તટસ્થતા જેવા ઉત્કૃષ્ટ ગુણોની આવશ્યકતા પ્રમાણી છે. એટલું જ નહીં, સાહિત્યેતર સામાજિક વ્યવહારમાં ભેરવાયા વિના અને પૂરી નિર્ભીકતાથી એકનિષ્ઠ સાધના કરનાર તરીકે એને કલ્પ્યો છે. વિશ્વનાથ એક જગાએ(‘સાહિત્યસમીક્ષા’ પૃ. ૩૨૭. ) પોતાને વિવેચનદેવતાના નમ્ર ઉપાસક તરીકે થતા અન્યત્ર( જુઓ પૂજા અને પરીક્ષા’નું અર્પણ) પોતાના વિવેચનકાર્યને ‘સુદીર્ઘ સિદ્ધાન્તયુદ્ધ’ તરીકે ગણાવે છે તે આ સંદર્ભ બહુ લાક્ષણિક છે. એમની સિદ્ધાન્તવિચારણા ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’ (‘સાહિત્યસમીક્ષા’) તથા ‘શીલ અને સાહિત્ય’ (‘વિવેચનમુકુર’) જેવા લેખોમાં પણ નોંધપાત્ર રહી છે. પશ્ચિમની વિચારણાને આધારે એમણેસૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય સાહિત્યનાં લક્ષણોની ખૂબ સજ્જતાપૂર્વક ઝીણી અને વિગતવાર ચર્ચા કરી છે. એમનો પક્ષપાત, અલબત્ત, કૌતુકરાગી સાહિત્ય તરફ રહ્યો છે. શૈલીવિચારમાં તે ‘શીલ એવી શૈલી’ના મતને અનુસર્યા છે ને શૈલીને સર્જકના જીવનાનુભવ, આચારવિચાર અને એના ઊર્મિ-ભાવનારૂપ શીલના નિષ્કર્ષરૂપ ગણાવી છે—એમાં આર્નલ્ડ આદિની વિચારણાનો પ્રભાવ દેખાય છે. આ બંને લેખોમાં એમણે પોતાના મતોને પાશ્ચાત્ય વિચારકોનાં મંતવ્યોથી તેમજ અહીંના સાહિત્યકારોનાં સર્જનોમાંથી ઉદાહરણો લઈ પુષ્ટ અને સમર્થિત કર્યા છે. પ્રવાહદર્શન અને કર્તાઓ પરના અભ્યાસ : સાહિત્યપ્રવાહો વિશેનાં એમનાં વિવેચનો માહિતીની નિઃશેષ નોંધ લેતાં અને ક્યાંક તુલનાત્મક દૃષ્ટિએ વિગતોનું મૂલ્યાંકન કરતાં હોય છે. ‘આપણું નિબંધસાહિત્ય’, પંડિતયુગ’, ‘તેત્રીસનું ગ્રંથસ્થ વાંગ્મય’ આ પ્રકારનાં મહત્ત્વના લેખો છે. ગુજરાતી નિબંધકારોની મહત્ત્વની લાક્ષણિકતાઓનો વિગતે પરિચય કરાવી નિબંધના વિકાસની સ્પષ્ટ રેખા ઉપસાવી આપવામાં, કેશવલાલ ધ્રુવના સાહિત્યકાર્યની ભૂમિકા રૂપે પંડિતયુગીન સાહિત્યની તલસ્પર્શી સમીક્ષા કરવામાં અને ૧૯૩૩ના ગ્રંથસ્થ સાહિત્યને વિસ્તારથી અવલોકીને એ સમયની સાહિત્યપ્રવૃત્તિનો સંપૂર્ણ આલેખ આપવામાં એમનાં દૃષ્ટિપૂર્ણ પરિશ્રમ અને સંનિષ્ઠ અભ્યાસવૃત્તિ જણાઈ આવે છે. કેટલાક સર્જકો વિશેના સુદીર્ઘ અભ્યાસલેખો વિશ્વનાથની સાહિત્યસેવાનો મહત્ત્વનો અંશ છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, મેઘાણી આદિનાં સિદ્ધિ—મર્યાદાઓની એમણે ખૂબ જ વિસ્તારથી, સમગ્રદર્શી સમીક્ષા કરી આપેલી છે. સર્જક—અભ્યાસો મોટે ભાગે તો એમણે project તરીકે ઉપાડેલા છે.(સમકાલીન સાહિત્યનું વિવેચન હાથ ન ધરીને વિશ્વનાથે વિવેચન અંગેનો પોતાનો ‘એકલક્ષી ચિરારાધનાનો આદર્શ’ પાળ્યો નથી એવી મેઘાણીની જાહેર ટકોરનો એમણે સમકાલીન સાહિત્યના વિવેચનની મુશ્કેલીઓ બતાવી ઉત્તર તો વાળ્યો (જુઓ ‘વિવેચનમુકુર’માં ‘સમકાલીન સાહિત્યનું વિવેચન’ લેખ) પણ પછી સંકલ્પ સાથે એમણે એક પ્રોજેક્ટ તરીકે સમકાલીન સર્જકો અને એમની કૃતિઓની વિવેચના હાથ ધરી. છેલ્લાં વર્ષોમાં એમણે પન્નાલાલની કૃતિઓ વિશે પણ આવો એક પ્રોજેક્ટ ઉપાડ્યાનું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નોંધ્યું છે. (જુઓ ‘પૂર્વાપર’ (૧૯૭૬) પૃ. ૧૧૫).અને યોજનાબદ્ધ રીતે કર્તાની સમગ્ર લેખનપ્રવૃત્તિનું વિભાગવાર અને મુદ્દાસર વિરેચન એમણે કર્યું છે. કૃતિઓ નિમિત્તે પણ એમણે નર્મદ, ગોવર્ધનરામ અને બોટાદકરની સર્જકપ્રતિભાનોવિગતે પરિચય કરાવેલો છે. નર્મદનું વિવેચન આ બધામાં સૌથી વધુ નોંધપાત્ર છે. વિવિધ નિમિત્તે નર્મદની સાહિત્યપ્રવૃત્તિ વિશે અને એની કૃતિઓ વિશે એમણે લખ્યું છે. (આ બધા લેખોનું સંકલન નર્મદ વિશેનો એક સારો અભ્યાસગ્રંથ આપી શકે એમ છે.) સંપૂર્ણ વિગતો આપવાના અને અશેષ નિરૂપણ કરવાના આગ્રહે એમની લેખનપદ્ધતિને ક્યારેક એક જ મુદ્દાના ઘેરા આલેખનના તેમજ પુનરાવર્તનના દોષવાળી બનાવી છે. આમાં, પોતાની વાતને ભારપૂર્વક કહેવાની અને સામેનામાં ઠસાવવાની શિક્ષકવૃત્તિ પણ કારણભૂત છે. ઉપરાંત, કેટલીક સાવ ભૂમિકારૂપ બાબતોની માંડણી કરી લાંબું વિવરણ આપવાની ટેવને કારણે એમની ચર્ચાઓ ઘણીવાર પ્રાથમિક સ્તરની પણ રહી જવા પામી છે. આથી એમના કેટલાક સુદીર્ઘ અભ્યાસલેખો વાસ્તવમાં પ્રસ્તારી લખાણો જેવા બની રહ્યા છે. સામ્પ્રત સાહિત્યિક પ્રશ્નોની પણ એમણે ઝીણવટભરી અને ખૂબ નિર્ભીક ચર્ચા કરી છે. મુનશી અને ખબરદારનાં સાહિત્યિક અપહરણોની અભ્યાસપૂર્ણ તેમજ કટાક્ષાત્મક શૈલીમાં કરાયેલી એમની ચર્ચા એના નોંધપાત્ર ઉદાહરણરૂપ છે. ગ્રંથસમીક્ષા : કૃતિના સૌંદર્યને લક્ષતા આસ્વાદન અને એના સત્યદર્શીસમતોલ પરીક્ષણના આગ્રહથી થયેલી ગ્રંથસમીક્ષાઓ એમના વિવેચનમાં વધુ નોંધપાત્ર છે. કૃતિને અછડતો સ્પર્શ કરતું પરિચયાત્મક અવલોકન કે કૃતિના સૌથી વધુ સ્પર્શી ગયેલા અંશોને જ અજવાળી આપતી સમીક્ષા નહીં, પણ કૃતિના પ્રત્યેક ઘટકને ચર્ચતી સર્વગ્રાહી દીર્ઘ સમીક્ષા આપવા તરફ એમની નજર રહેલી. આપણા પ્રભાવવાદી વિવેચકોમાં વિશ્વનાથ આ કારણે સહેજ જુદા તરી આવે છે. ‘સરસ્વતીચંદ્ર’ પરનું વ્યાખ્યાન (‘પંડિતયુગનું મહાકાવ્ય’) એમની રસિકતા અને વિદ્વત્તાનું પ્રમાણ આપતી સમીક્ષા છે. તો ‘શૈવલિની’ અને ‘રાસતરંગિણી’ની સમીક્ષાઓમાં બોટાદકરની સર્જકતાની એમણે પૂરી સહૃદયતાથી, પણ એના ગુણદોષોને સ્પષ્ટપણે ચીંધી બતાવીને વિગતે ચર્ચા કરી છે. મુનશીની આત્મકથાને એક ‘સર્જનાત્મક આત્મકથા’ તરીકે મૂલવવામાં એમની રસદર્શી દૃષ્ટિનો અને “કરણઘેલો’ની, ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિએ કરેલી સમીક્ષામાં એમની આલોચનાત્મક દૃષ્ટિનો પરિચય મળે છે. સર્વગ્રાહિતા અને વૈશદ્ય એમની કૃતિવિવેચનાનાં મુખ્ય લક્ષણો છે. પોતાના બહોળા વાચનનો અને સતેજ સ્મરણશક્તિનો વિનિયોગ એમણે તુલના કરવામાં કે પોતાના મતના સમર્થન માટે કરેલો છે એથી સંદર્ભો અને અવતરણો પણ એમની સમીક્ષાઓમાં-સામાન્યપણે તો એમના સમગ્રવિવેચનમાં-ઘણા મોટા પ્રમાણમાં હોય છે. પોતાની વાતને વધુ સ્પષ્ટ કરવા, એને ભારપૂર્વક કહેવા માટે અનેક દલીલોનો સહારો પણ એ લેતા હોય છે. આથી એમના મુદ્દા વિશદ તો બને છે, પણ અનિવાર્ય ન હોય ત્યાં પણ ચર્ચા લંબાતી હોવાને કારણે ઘણું બધું વિશીર્ણ થઈ જાય છે. એમનાં પ્રતિપાદનોનું સુશ્લિષ્ટ રૂપ ક્યારેક પૂરું ઊઘડતું નથી. ‘સાહિત્યનો સ્વાધ્યાય’ (પૂર્વાધ) : હડસનના ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચર’ને આધારે એમણે તૈયાર કરેલો ગ્રંથ ‘સાહિત્યનો સ્વાધ્યાય’ (૧૯૬૩) એમનું વિલક્ષણ પ્રકારનું વિવેચન છે. મૂળ પુસ્તકનું શબ્દશઃ ભાષાંતર કે એનો સારાનુવાદ આપવાને બદલે એમાં પ્રતિપાદિત પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાન્તોનું, અત્રત્ય સાહિત્ય અને વિવેચનમાંથી દૃષ્ટાંતો આપી, ગુજરાતીમાં સ્વતંત્ર ગણાય એવી ઢબે નિરૂપણ કરતો એક વિશિષ્ટ ગ્રંથ આપવાનો એમનો આશય રહ્યો છે. આ કામને પણ એમણે એક મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે જ સ્વીકારેલું અને ત્રીજા દાયકાના અંતભાગથી આરંભી પૂરી એક પચીશી એની પાછળ એમણે આપેલી. ગ્રંથ (એનો પૂર્વાર્ધ) પ્રકાશિત તો થયો એ પછી પંદરેક વરસે. આ પ્રયાસમાં એમનો સાહિત્યનિષ્ઠ પરિશ્રમ અને એમની વ્યાપક અભ્યાસદૃષ્ટિ જણાઈ આવે છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીમાંથી એમણે ટાંકેલાં ઉદાહરણોથી એમની કેટલીક ચર્ચાઓ અવશ્યપણે સમૃદ્ધ અને સાધાર બની છે. પરંતુ, સાહિત્યવિચારણાનું દોહન આપતા, કંઈક અંશે પ્રવેશ માટેની પ્રાથમિક ભૂમિકારૂપે લખાયેલા હડસનના આ પુસ્તકમાં જે કેટલીક નોંધપાત્ર વિચારણા છે એને વિશ્વનાથ બરાબર ઝીલી શક્યા નથી એટલે મૂળ પુસ્તકની તુલનાએ એમનું આ કામ કંઈક ફિસ્સું પણ લાગે છે. વળી, વિશ્વનાથે જે પદ્ધતિ અખત્યાર કરી એમાં પણ, એક સ્વતંત્ર અને સળંગસૂત્ર વિચારણા સાથે બીજી જ સાહિત્યપરંપરાની વિચારણાઓને સાંકળવાથી આવતી મર્યાદાઓ પણ પ્રવેશી. શીલ અને શૈલી, કલા ખાતર કલા, સાહિત્યઋણ આદિ અંગેની હડસનની વિચારણાની મર્યાદાઓને તેમજ વિશ્વનાથની વિચારણાનાં ચિંત્ય સ્થાનોને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે ખૂબ સ્પષ્ટતાથી ચીંધી આપ્યાં છે.(‘અન્વીક્ષા’ (૧૯૭૦) માં "ધૂપછાંવ શૈલીનો સ્વાધ્યાયગ્રંથ’ એ લેખઅલબત્ત એક વિદ્યાર્થીભોગ્ય પુસ્તક તરીકે આ ગ્રંથનું મૂલ્ય જરૂર છે. સંપાદન : કારકિર્દીના આરંભે જ એમણે ગુજરાતી સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમૂનાઓનું સંપાદન ‘ગદ્યનવનીત’ (૧૯૨૬) આપેલું, એ પછી નર્મદની કવિતામાંથી અને ‘નર્મગદ્ય’ સિવાયના ‘ડાંડિયો’, ‘કવિચરિત્ર’, આત્મકથા, પત્રો આદિ ગદ્યમાંથી બે ઉત્તમ સંચયો ‘નર્મદનું મંદિર : પદ્યવિભાગ’ (૧૯૩૫) અને ‘નર્મદનું મંદિર : ગદ્ય-વિભાગ’ (૧૯૩૮) આપ્યા. ‘નર્મદના પદ્યમંદિર’ની પ્રસ્તાવના રૂપે એમણે નર્મદની કવિતાની નોંધપાત્ર સમીક્ષા પણ આપી. ગુજરાતી નિબંધસાહિત્યના ઉત્તમ કૃતિઓનું, નિબંધકારોની લાક્ષણિકતાઓનું વિગતપૂર્ણ અવલોકન કરતા અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત સાથેનું સંપાદન ‘નિબંધમાલા’ (૧૯૪૦) વિશ્વનાથનું વિશેષ મૂલ્યવાન સંપાદન છે. ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી એમણે તૈયાર કરેલો ‘પારિભાષિક શબ્દકોશ’ (૧૯૩૦) પણ એમની સંનિષ્ઠ સાહિત્યસાધનાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. અંગ્રેજી પારિભાષિક સંજ્ઞાઓના વિવિધ ગુજરાતી પર્યાયોના સમર્થન માટે એમણે અનેક વિવેચનગ્રંથોમાંથી સંબંધિત પર્યાયનો વિનિયોગ દર્શાવતાં અવતરણો નોંધ્યાં છે એમાં કોશને પ્રમાણભૂત અને સાધાર બનાવવાની સૂઝ અને સામગ્રીસંપાદનની જહેમતમાં એમની નિષ્ઠા વરતાય છે. ૧૯૬૮માં આ ગ્રંથ રઘુવીર ચૌધરીને હાથે સંશોધિત રૂપ પામ્યો છે. આપણે ત્યાં પરિભાષાના કોશની ખોટ આ પુસ્તકે ઠીકઠીક પ્રમાણમાં પૂરી છે. આ ઉપરાંત એમના એક પ્રિય સર્જક ટૉલ્સ્ટોયની કૃતિઓના અનુવાદો સાથે, આરંભે, એમણે દરેકની સૌંદર્યદર્શી અને અભ્યાસપૂર્ણ સમીક્ષાઓ પણ મૂકી છે અને એમ ટૉલ્સ્ટૉયના સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવાનો સહૃદય વિવેચકનો ધર્મ પણ બજાવ્યો છે. ‘તિમિરમાં તેજ’ (“પૂજા અને પરીક્ષા’) નામના એક લેખમાં એમણે ટૉલ્સ્ટોયની જીવનદૃષ્ટિ અને સાહિત્યદૃષ્ટિ પણ સરસ પરિચય કરાવ્યો છે. વિશ્વનાથ ભટ્ટની આવી વિવિધ સાહિત્યપ્રવૃત્તિના કેન્દ્રમાં તો એમનું વિવેચનકાર્ય જ રહેલું છે. સાહિત્યની ‘એકલક્ષી ચિરારાધનાનોઆદર્શ’ નજર સામે રાખીને એમણે સાહિત્યનું અવિરત નિદિધ્યાસન કર્યું છે અને સત્યપૂત સમતોલ વિવેચન આપ્યું છે એનું મૂલ્ય, એમના વિવેચનની કેટલીક મર્યાદાઓ છતાં ઓછું ઊતરતું નથી.

(૫) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઊંડા પરિશીલનથી રસાયેલી ભાવનાવાદી સૌંદર્યદૃષ્ટિનો તત્ત્વવિચારમાં, વિશેષે તો સમકાલીન કૃતિઓની પ્રભાવવાદી સમીક્ષાઓમાં, ઉત્તમ વિનિયોગ કરનાર (‘કાવ્યચર્ચા’ (સુરેશ જોશી, ૧૯૭૧, પૃ.૧૦૧) તેમજસંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક ઘટકોનું નવેસર મૂલ્યાંકન કરનાર ‘અભિજાતરુચિ અને વ્યુત્પત્તિમત્તાવાળા અભ્યાસી’ વિવેચક તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આપણા વિવેચનસાહિત્યમાં એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે. પ્રથમ વિવેચનસંગ્રહ ‘વિવેચના’ (૧૯૩૯)થી જ એમની તાજગીપૂર્ણ અને સૌંદર્યદર્શી કૃતિસમીક્ષાઓ તથા સર્જકો પરના એમના માર્મિક અભ્યાસો ધ્યાનપાત્ર બનેલાં. એ પછી પરિશીલન’ (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને ‘સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯)ના વિવેચનલેખોમાં એમનાં પ્રૌઢ સૌંદર્યદૃષ્ટિ, પરિષ્કૃત રુચિ, તેજસ્વી અને મૌલિક વિચારણા અને ઊંડા તત્ત્વવિચારની પ્રતીતિ કરાવતી વિવેચન—સાધનાનો આહ્લાદક પરિચય મળી રહે છે. ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનોના ગ્રંથ ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં સુધારક અને પંડિતયુગની અનેકદેશીય વિચારણાનું સર્વેક્ષણ-મૂલ્યાંકન છે અને ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાનો ‘ગોવર્ધનરામ—ચિંતક ને સર્જક’ (૧૯૬૩)માં ગોવર્ધનરામના શક્તિવિશેષોની મર્મદર્શી વિચારણા છે. આ બંનેમાં એમની સહૃદયવૃત્તિ તથા પર્યેષક દૃષ્ટિનાં દર્શન થાય છે. તત્ત્વવિચાર : વિષ્ણુપ્રસાદની તત્ત્વવિચારણા કવિતાકળાની વિશેષતાને, સર્જકના આંતરિક ભાવવિશ્વના રહસ્યદર્શનને તથા કાવ્યના ભાવન—આસ્વાદનની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને ચાલી છે. એના સંદર્ભે જ વિવેચનના સ્વરૂપ અને કાર્યપ્રદેશ અંગે, વિવેચકના કર્તવ્ય વિશે, કાવ્યમૂલ્ય અને અનુભાવના વિશે તેમજ સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવો વિશે એમના પ્રતિભાવાત્મક, ક્યારેક ઊહાપોહ જન્માવનારા વિચારો વ્યક્ત થતા રહ્યા છે. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી રુચિ ઘડાયેલી હોય એવી આંતરિક સજ્જતા જ વિવેચક માટે પર્યાપ્ત છે, પછી તો ‘વિવેચકનું અખંડ વ્યક્તિત્વ વિવેચન—વિષયથી સહજ સ્ફુરી આનંદપર્યવસાયી, સત્યપ્રતિપાદક ને સૌષ્ઠવયુક્ત વિવેચનોમાં’ પ્રગટ થતું રહે—એવો વિવેચન વિશેનો એમનો ખ્યાલ રહ્યો છે. વિવેચન પાંડિત્યભારથી લદાયેલું નહિ પણ કલાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હોય એ એમને ઈષ્ટ છે. આ આખોય દૃષ્ટિકોણ કૌતુકરાગી વિવેચનનો છે. એથી, વિશ્વનાથ ભટ્ટની જેમ કોઈ આક્રમક અભિનિવેશથી પ્રેરાઈને વિવેચનને સર્જનથી પણ ચડિયાતું ગણાવવાની હદે એ ગયા નથી, તેમ છતાં વિવેચનને એક સર્જનાત્મક આવિષ્કાર લેખવા વિશે એમનો પક્ષપાત રહ્યો જ છે.(જુઓ : વિવેચનકૃતિ પણ આનંદ નિષ્પન્ન કરતી હોય તો એ વિવેચનને સર્જનાત્મક સાહિત્યની પ્રતિષ્ઠા આપવામાં દોષ જણાતો નથી....વાણીના ઉપાદાન વડે વ્યક્તિએ કરેલી આનંદનિષ્પાદક વિવેચનકૃતિને લલિત સાહિત્યનું ગૌરવ ઘટે એમ કહેવામાં બાધ નથી. વિવેચન પણ વ્યક્તિત્વના આવિષ્કારનો ઉચિત માર્ગ થઈ શકે છે’ (‘વિવેચનની પ્રતિષ્ઠા’, ‘ઉપાયન’, પૃ. ૩૫)વિવેચનનું મૂલ્ય અને વિવેચકના કર્તવ્યની એમની ચર્ચાઓ કાવ્યનાં સૌંદર્ય અને મૂલ્યવત્તાની તથા સર્જનના ભાવન—આસ્વાદનની ચર્ચાઓને પણ હંમેશાં સાંકળતી રહી છે. એમાંથી કાવ્ય અને વિવેચન અંગેના એમના કેટલાક લાક્ષણિક વિભાવો સ્પષ્ટ થતા રહ્યા છે. ‘ઉપાયન’( આ પૈકીના કેટલાક લેખો પરિશીલન’માંથી અહીં પુનર્મુદ્રિત થયેલા છે. પણ ચર્ચાની સગવડખાતર આ લેખમાં બધે જ ‘ઉપાયન’ ના સંદર્ભો આપ્યા છે.) આમાંના ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, ‘અનુભાવના’ જેવા લેખોમાં તથા ‘સાહિત્યસંસ્પર્શ’માંનાં કવિતા અને વિવેચન વિશેનાં કેટલાંક સંક્ષિપ્ત લખાણોમાં એમની આવી વિચારણા જોવા મળે છે. ભાવકની—અને એ રીતે આખીય પ્રજાની—રસવૃત્તિના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં એમણે વિવેચકનું કર્તવ્ય જોયું છે. આથી કૃતિની આસ્વાદમૂલક તેમજ ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવા ઉપરાંત એ કૃતિમાંના જીવન રહસ્યને તથા કર્તાના જીવનદર્શનને ચીંધી આપવાનું પણ એમણે વિવેચકને માટે આવશ્યક લેખ્યું છે. આ જ કારણે વિવેચકને એ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ’ પણ કહે છે. આના સંદર્ભમાં, કાવ્યકૃતિમાં સર્જકના અનુભવની વિશિષ્ટતાની તેમજ ઉત્તમ કવિતામાં આવશ્યક દર્શનતત્ત્વની એમણે તરફદારી કરેલી છે—પહેલાં અનુભાવનાના અનુષંગે અને પછી ‘સાધારણીકરણ’ અને “દ્વિજોત્તમ કવિતાજાતિ’ લેખો દ્વારા કરેલા ઊહાપોહમાંરીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દૃષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદનો વિષય બની શકતી હોઈ ‘વિશિષ્ટનો અનુભવ જ મૂલ્યવાન છે’(‘અનુભાવન’ લેખ, ‘ઉપાયન’ પૃ. ૫) એમ એ કહે છે. કાવ્યનો પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતાવિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંઘટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે—સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણાનો તંતુ ઉત્તમ કવિતામાંના દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલો છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ’ ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલો નહિ પણ ‘સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતો’ હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ ‘કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક’ કૃતિ માટે તો, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્ત્વને એમણે આવશ્યક ગણ્યું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તો આનંદાનુભવને જ એ સ્વીકારે છે—એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂર્વી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દૃષ્ટિ અને રમણીયતા માટેનો એમનો આગ્રહ પડેલાં છે. ‘રમણીયતા’ સંજ્ઞા વિષ્ણુપ્રસાદના વિવેચનમાં વારંવાર આવતી. એમની પ્રિય સંજ્ઞા છે. કલાકૃતિના સૌંદર્યાનુભવને તો એ રમણીયતા કહે જ છે પણ એ ઉપરાંત એના મૂલ્યબોધને પણ એ એમાં સમાવિષ્ટ કરે છે. અને કલાકૃતિની આ રમણીયતાને સમજવાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવામાં વિવેચકનું એક મહત્ત્વનું કર્તવ્ય એ જુએ છે. મેથ્યુ આર્નલ્ડ, ક્રોચે, કોલિંગવુડ જેવાની વિચારણાનો એમના પર ઠીકઠીક પ્રભાવ હોવાથી સર્જકના અનુભૂતિવિશેષમાં અને એની દર્શનશક્તિમાં એમણે રમણીયતા જોઈ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતા એમને ઝાઝી ઉદ્દિષ્ટ ન રહી હોય એમ સમજાય છે. આ જ કારણે, આ સંજ્ઞાના ઉપયોગમાં કેટલાકે અસ્પષ્ટતા અને અસંગતિ પણ જોયાં છે. સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની એમની ચર્ચા પણ ઘણી નોંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને—એને ‘પુરાણું કબૂતરખાનું’ કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દૃષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણીકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, ‘આધુનિક સંવિત્લક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે’ કારણ કે ‘એ ધોરણે તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં પણ કોઈ ખાસ રસ જડશે નહિ’(‘સાધારણીકરણ’ ‘ઉપાયન’ પૃ. ૭૩) સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષ્મતા, વિશાળતા અને લોકોત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતોની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પોતાની મૌલિક વિચારણાનો એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોષી કહે છે. એમ, ‘શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે. (‘કાવ્યચર્ચા’, પૃ. ૯૫)પ્રવાહદર્શન આદિ : ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ’ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન (‘સાહિત્યસંસ્પર્શ’માં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનું વિહંગાવલોકન કરવામાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં—એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર વાંગ્મયની ગતિવિધિની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દૃષ્ટિકોણનું એક વિશેષ પરિમાણ પણ સાંપડેલું છે. ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં નર્મદ અને દુર્ગારામનું ધર્મચિંતન, પ્રાર્થનાસમાજનો ધર્મશોધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનબૉર્ગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદનો સાહિત્યવિચાર—એવી અનેકવિધ વિચારણાનો એમણે આપેલો આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકોનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો આપી એ અંગે પોતાના પ્રતિભાવો આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવ્યો છે. જોકે, “વિવેચના’માં ‘ગોવર્ધનરામની શૈલી’ પરના બે લેખોમાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણો સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હોત તો ગદ્યવિકાસનો પણ એક બહુમૂલ્ય આલેખ મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનો આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હોવા ઉપરાંત, ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણો અગત્યનો ઠરે છે. એમણે ખોલી આપેલી આ દિશામાં પછી આગળજવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયું નથી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’ વિશે એમનું ચિંતન વિવેચન કારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. ‘ગોવર્ધનરામ-ચિંતક ને સર્જક’માં ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’માંના સર્જકત્વનું અને ગોવર્ધનરામની ગદ્યશૈલીનું મૂલ્યાંકન એમણે કર્યું છે. ગોવર્ધનરામ વિશેનાં વિવેચનોમાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનો ખૂબ જ આહ્લાદક પરિચય મળે છે. પ્રત્યક્ષ વિવેચન : વિષ્ણુપ્રસાદની વિવેચનાનો ઠીકઠીક મોટો ભાગગ્રંથસમીક્ષાઓ રોકે છે. એમની વિવેચનશક્તિના કેટલાક સૌથી વધુ લાક્ષણિક અંશો પણ આ પ્રત્યક્ષ વિવેચનમાં પ્રગટેલા છે. એમણે લગભગ એકધારી રીતે કૃતિસમીક્ષાનું કામ કર્યું છે. પૂર્વ અને પશ્ચિમની અનેક ઉત્તમ પ્રશિષ્ટ કૃતિઓમાં અવગાહન કરીને કેળવાયેલાં એમનાં રુચિ-દૃષ્ટિના વિનિયોગે ગુજરાતી કૃતિઓની એમની સમીક્ષાઓને ખૂબ માર્મિક બનાવી છે; આથી કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક દૃષ્ટિનું પરિમાણ પણ ઉમેરાયું છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય છે. એટલે સાહિત્યકૃતિની આંતરિક મૂલ્યવત્તાને એ પૂરી અભ્યાસશીલતા અને રસજ્ઞતાથી ગ્રહણ કરે છે. એમનાં કેટલાંક નિરીક્ષણો આથી ખૂબ જ વેધક, મર્માળાં અને કૃતિના રહસ્યપ્રદેશને ઉદ્ઘાટિત કરી આપનારાં બન્યાં છે. વિવેચનમાં વિવેચકની વ્યક્તિમત્તાની મુદ્રા અંકાવી જોઈએ એવો વિષ્ણુપ્રસાદનો ખ્યાલ રહ્યો છે. કૃતિના આસ્વાદથી સહજ સ્ફુરણ રૂપે પ્રગટેલા વિવેચનની એમણે તરફદારી કરેલી છે, બલકે એમાં જ વિવેચકની ધન્યતા અને વિવેચનની ‘ગરવી પ્રતિષ્ઠા’ એમણે જોયાં છે. એમની ગ્રંથસમીક્ષાઓમાં આથી સંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એને કારણે કૃતિના સર્વાશ્લેષી મૂલ્યાંકનને તાકવાને બદલે કૃતિના પોતાને અત્યંત ગમી ગયેલા તત્ત્વ વિશે રસલક્ષી દૃષ્ટિએ પ્રતિભાવ આપવા એ હંમેશાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતા એમના સમીક્ષાલેખો આથી સુશ્લિષ્ટ કે સુગ્રથિત હોતા નથી, ક્યારેક એ અપર્યાપ્ત પણ લાગે છે. ઘણી સમીક્ષાઓ એમણે કૃતિના પુરોવચન રૂપે લખી હોવાથી એ કેવળ પરિચયલક્ષી અને અછડતી પણ બની ગયેલી છે. ઉદાર રુચિ અને સમભાવશીલ પ્રકૃતિએ એમને ઘણી વાર સામાન્ય કોટિની કૃતિઓ વિશે પણ લખવા પ્રેર્યા છે. પ્રશિષ્ટ કૃતિઓનું એમનું પરિશીલન પણ અહીં ઝાઝું લેખે લાગી શક્તું નથી. એમના આવા પ્રયાસો, ભાવનાતત્ત્વના આકર્ષણનું તથા વિવેચકની સામાજિક જવાબદારીના ખ્યાલનું જ પરિણામ લેખાશે. અલબત્ત, લલિતેતર ગ્રંથોની એમનીસમીક્ષાઓ પર્યેષણાત્મક અને સૂક્ષ્મ પૃથક્કરણ આપનારી બની છે. નરસિંહરાવના વિવેચન અને ભાષાશાસ્ત્ર અંગેની એમની તપાસ આના ઉજ્જવલ દૃષ્ટાંતરૂપ છે. વિષ્ણુપ્રસાદનું સમગ્ર વિવેચન કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને સીમાઓવાળું છે. સુશ્લિષ્ટતાનો અભાવ, વાગ્મિતામાં ક્યારેક ખોવાઈ જતું સાચું મૂલ્યાંકન, કૃતિનું ખંડદર્શન, તત્ત્વચર્ચામાં પણ ક્યાંક પ્રગટી જતો ને એમની વિચારણાને એકપક્ષી બનાવી જતો અભિનિવેશ—એવી મર્યાદાઓ એમાં છે તો અભિજાત રુચિની સ્નિગ્ધતા, ઊંડી સૂઝ અને માર્મિકતા, રસિક સૌંદર્યદૃષ્ટિ અને નિરૂપણની તાજી ચમક એના વિશેષો છે. આ વિશેષોએ એમની ગદ્યશૈલીનું પણ એક વિશિષ્ટ પરિમાણ ઉપસાવ્યું છે. વિષ્ણુપ્રસાદમાંના પ્રચ્છન્ન કવિ અને રસજ્ઞ ભાવક કૃતિના પ્રતિભાવોની અભિવ્યક્તિમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. એમનાં વાક્યોના અન્વયોના વિશિષ્ટ મરોડોમાં, એના લાક્ષણિક કાકુઓમાં, એમના અભિનિવેશોમાં પ્રગટ થતા ભાવોદ્રેકોમાં, ‘અનુભાવના’ને અંતે પ્રગટ થઈ છે એવી એમની કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં બધે જ રમણીયતાના આ ઉપાસકની ગદ્યશૈલીની વિવિધ રસિક છટાઓ પ્રતીત થાય છે. તો એમની ચિંતનાત્મક અને પર્યેષક પ્રકૃતિને કારણે એ શૈલીની એક ગૌરવપૂર્ણ મુદ્રા પણ પ્રગટે છે. મૂલ્યાંકનને ક્યારેક હલાવી દેતો છતાં સમગ્રભાવે તો એમની વિવેચનાનો એ એક સ્પૃહણીય અંશ છે.

(૬) ડોલરરાય માંકડ

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તત્ત્વાન્વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્રશીલ અને દૃષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવતા હતા. ડોલરરાયના વિવેચનનું પ્રધાન લક્ષણ એમની તત્ત્વદર્શિતા છે. કોઈ પણ પ્રકારના વિવેચનમાં એમની દૃષ્ટિ તત્ત્વગ્રહણ માટે પ્રવૃત્ત થઈ કશાક મૌલિક તારણ પર પહોંચતી હોય છે-પછી એ પ્રાચ્ય વિદ્યાનો કોઈ જટિલ મુદ્દો હોય કે કોઈ કૃતિ વિશે વાત થતી હોય. બીજું, પૃથક્કરણ—વર્ગીકરણની પદ્ધતિએ એમનું વિવેચન ચાલતું હોય છે. એમાં પેલા તત્ત્વદ્રષ્ટા ઉપરાંત એમનામાંના શિક્ષકની હાજરી પણ વરતાય છે. આ કારણે એમનાં લખાણો સુરેખ અને વિશદ બની આવ્યાં છે. ત્રીજું, એમનો સાહિત્યવિચાર વિશાળસાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં થતો હોય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિચિંતન, કેળવણીમાં એમની રુચિ અને એમની ઊંડી ગતિ સાહિત્યવિચારણા પર પણ પ્રભાવ પાડતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થામાંની એમની શ્રદ્ધાને લીધે એમના સાહિત્યવિચારમાં નીતિલક્ષી દૃષ્ટિકોણ પણ ઉમેરાયો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ચાલેલા એમના સિદ્ધાન્તવિચાર, સ્વરૂપમીમાંસા અને પ્રત્યક્ષ વિવેચનમાં તેમજ સંશોધનલક્ષી અભ્યાસોમાં એમનાં આ વિવેચકલક્ષણો હંમેશાં અનુસ્યૂત રહ્યાં છે. સંસ્કૃત સાહિત્યમીમાંસા : લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃત સાહિત્યમીમાંસા અને પ્રાચ્ય વિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમનીસજ્જતા કેળવાયેલી હતી. ‘પુરાતત્ત્વ’ અને ‘કૌમુદી’ જેવાં ગુજરાતી તથા ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટલી’, ‘જર્નલ ઑવ બૉમ્બે એશિયાટિક સોસાયટી’, ‘જર્નલ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખો ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં ‘અલંકારપ્રવેશિકા’ તથા એ પછી ૧૯૩૬માં ‘The Types of Sanskrit Drama’ લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા’ પ્રકાશિત થાય છે ત્યારે ‘ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં આ વિષયનું એકે સ્વતંત્ર પુસ્તક હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કોઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી એવી પ્રસ્તાવના—નોંધમાં પેલી પૂર્વસજ્જતાથી સ્થિર થયેલો એમનો આત્મવિશ્વાસ છતો થાય છે. ‘શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિ’ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાઓ, એમના મહત્ત્વના ગ્રંથો તથા રૂપકપ્રકારો, ઉપરૂપકો, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકોને નિરૂપતા સિદ્ધાન્તો—એવા વિભાગીકરણથી નાટ્યશાસ્ત્રનો વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યો છે. ઉપરૂપકોની વિગતો દર્શાવતું માહિતીપૂર્ણ કોષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતોની નોંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખો પ્રયાસ એમની ચોકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્યઅને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારો બન્યો છે. ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાનો ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો’ (૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે. મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વનેઉત્તમ કાવ્યના ધોરણ તરીકે સ્વીકાર્યું છે એની સામે પોતાનો મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવું પ્રતિપાદન એમણે કર્યું છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણો લઈ કાવ્યના વિભિન્ન ઘટકોને સંદર્ભે ઔચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ પણ વ્યંગ્યનો આભાસ જ મળતો હોય છે એમ દર્શાવીને ‘આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવાં જોઈએ (‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો,’ પૃ. ૨૦)એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમનો નીતિવાદી દૃષ્ટિકોણ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવર્તક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાનાઅભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે. આ ઉપરાંત ‘કાવ્યવિવેચન’ (૧૯૪૯)માંના ‘કાવ્યસ્વરૂપ’ અને ‘ધ્વનિના પ્રભેદો’ જેવા લેખોમાં પણ એમણે સંસ્કૃત કાવ્યવિચારને વિશદ રીતે મૂકી આપવાની અને એમાંથી મહત્ત્વનાં પ્રતિપાદનો નિપજાવી આપવાની દૃષ્ટિ રાખી છે. આમ, આ બધામાં ભારતીય કાવ્યવિચારણાનો મૂળગામી પરિચય મળવાની સાથે એની દ્યોતક સમાલોચના પણ પ્રાપ્ત થાય છે. કાવ્યપ્રકારોની વિચારણા : અર્વાચીન કાવ્યપ્રકારોના વર્ગીકરણમાં એમનીઆવી સમાલોચક દૃષ્ટિનો સૌથી વધુ નોંધપાત્ર વિનિયોગ થયો છે. ૧૯૫૭-૫૮માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોના ગ્રંથ ‘ગુજરાતી કાવ્યપ્રકારો’ (૧૯૬૪)માં કાવ્યસ્વરૂપોને વર્ગીકૃત કરવામાં મુખ્યત્વે તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાને જ એમણે ધ્યાનમાં રાખી છે પરંતુ અર્વાચીન કાવ્યપ્રકારોને તથા એ અંગેની ચર્ચા પણ સમાવી લેતી વર્ગીકરણની પુનર્વ્યવસ્થા એમણે કરી આપી છે. આ મુજબ, કાવ્યપ્રકારોના વર્ગીકરણ અંગેના ભારતીય તેમ જ યુરોપીય સિદ્ધાન્તોની તથા અવિચીન ગુજરાતી વિવેચનની ભૂમિકા ચર્ચીને એમણે કાવ્યપ્રકારોને આ રીતે વર્ગીકૃત કર્યા છે : (૧) માનવજીવન—નિરૂપણની દૃષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય, (૨) વસ્તુના ઉદ્દીપનની/ અંતસ્તત્ત્વની દૃષ્ટિએ રસધ્વનિ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા (૩) વસ્તુના આલંબનની દૃષ્ટિએ આત્મલક્ષી અને પરલક્ષી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિચારણામાંથી આધારો લઈને તથા સંસ્કૃત-ગુજરાતી કવિતામાંથી ઘણાં દૃષ્ટાન્તો લઈને એમણે પોતાની ચર્ચાને શાસ્ત્રીય ચોકસાઈવાળી અને સમૃદ્ધ બનાવી છે. આખ્યાનની પ્રત્યક્ષતાને અને કથાની પરોક્ષતાને શૈલીલક્ષણો તરીકે ઘટાવીને એમણે આખ્યાન અને પદ્યવાર્તા સ્વતંત્ર કાવ્યપ્રકારો ગણ્યા નથી. તો અર્વાચીન વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન પ્રકારોને અનુક્રમે સંસ્કૃતના વસ્તુધ્વનિ, રસધ્વનિ અને અલંકારધ્વનિ રૂપે ઘટાવ્યા છે. એમાં વર્ગીકરણનું એક વ્યાપક દૃષ્ટિબિંદુ એમણે સ્વીકાર્યું જણાય છે પરંતુ આવા દૃષ્ટિબિંદુમાં અને મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્યનાં વ્યાવર્તક લક્ષણો એમણે સંસ્કૃત કાવ્યવિચારને જ મહદંશે લક્ષમાં રાખીને દર્શાવ્યાં છે એમાં સંસ્કૃત વિવેચના તરફનો એમનો સ્પષ્ટ ઝુકાવ તો દેખાય જ છે. આ ઉપરાંત, કાવ્યના વસ્તુગત ભેદો—પ્રભેદોને દર્શાવતા વિશ્લેષણની પદ્ધતિ અખત્યાર કરી હોવાથી એમના આ પ્રયાસમાં વર્ગીકરણના સિદ્ધાન્તોનું વિદ્વત્તાપૂર્ણ અને શાસ્ત્રીય રૂપ ઊપસે છે એટલું કોઈ કાવ્યપ્રકારની રચનાગત વિશેષતાઓનું રૂપ ઊપસતું નથી. આ ઉપરાંત ‘નૈવેદ્ય’ (૧૯૬૨)ના ‘નવલકથા અને નવલિકા’ અને ‘એકાંકી નાટકો’ એ લેખોમાં પણ તે તે સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓ એમણે ચર્ચી છે. કૃતિઓની સમીક્ષાઓમાં પણ એમણે એના સ્વરૂપ અંગે ચર્ચા ચલાવેલી છે. સિદ્ધાન્તચર્ચા : સૈદ્ધાન્તિક વિવેચના ડોલરરાયે સામાન્યપણે તો અન્યવિવેચકોની વિચારણામાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા રૂપે—વિવેચનના વિવેચન રૂપે કરી છે. ‘કાવ્યવિવેચન’માં એમની આવી વિવેચના મળે છે. વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની ચોક્સાઈના એમના દૃઢ આગ્રહને સંદર્ભે એમણે મુનશીના ‘સાહિત્યમાં સચોટતા’ લેખમાં અને ખબરદારના ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ પુસ્તકમાં કઢંગી પરિભાષાને કારણે આવી ગયેલાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજને સ્પષ્ટપણે નોંધી આપ્યાં છે અને એ લખાણોની કોઈ અભિનિવેશ વિના કડક આલોચના કરી છે. પરિભાષાની જ ચર્ચા નિમિત્તે વિષ્ણુપ્રસાદના “અનુભાવનાશક્તિ’ અંગેના પ્રતિપાદનનો, અને સિદ્ધાન્તચર્ચાના એક લેખમાં સાધારણીકરણની એમની વિચારણાનો પણ ડોલરરાયે પ્રતિવાદ કર્યો છે. મુદ્દેમુદ્દાને બરાબર પકડીને એમણે એનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. ડોલરરાય સર્જકના વિશેષીભૂત નહિ પણ સાધારણીકૃત અનુભવને આવશ્યક લેખે છે. ભાવનની ક્રિયામાં ભાવકની સક્રિયતા કે કલ્પનાપ્રવૃત્તિ એમને શક્ય જણાતી નથી કારણ કે એમની દૃષ્ટિએ, કલાનુભવની ક્ષણે તો ભાવક મોરલીના સંગીતથી નાચતા સાપની જેમ સર્જકની સંમોહનશક્તિથીવશ થઈ મૂર્છાવસ્થામાંહોય છે. આ ક્ષણ વીતી ગયા પછી વિવેચક એ આખોય કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શક્તો હોય છે. આ પુનરનુભવની શક્તિને ભાવયિત્રી પ્રતિભા કે અનુભાવનાશક્તિ ગણી શકાય એવું એમનું મંતવ્ય રહ્યું છે. ( જુઓ ‘અનુભાવનાશક્તિ’ લેખ, ‘કાવ્યવિવેચન’) પરંતુ, કલાકૃતિના પ્રથમ મુકાબલાની ક્ષણે ભાવક કલ્પનાપ્રવૃત્ત નહિ ને કેવળ નિષ્ક્રિય—ઉદાસીન હોય તો એના પુનરનુભવનું શું અને કેટલું મૂલ્ય—એવો પ્રશ્ન પણ થાય. ડોલરરાયની આ તર્કપૂત વિચારણામાં, આ દૃષ્ટિએ, કેટલાંક ચિંત્ય સ્થાનો પણ રહી ગયાં છે. ‘કાવ્યવિવેચન’માં આ ઉપરાંત ઊર્મિજન્ય ભાવાભાસ, આયરનીનુંતત્ત્વ, મેટાફર અને રૂપક જેવા તત્કાલીન સાહિત્ય-વિવેચનના પ્રશ્નોની સંક્ષિપ્ત ચર્ચાઓ છે. એમાં પણ એમની તત્ત્વગામી, સુરેખ અને વિશદ વિચારણાનો પરિચય મળે છે. એમની ચિંતનલક્ષી અને શાસ્ત્રીય દૃષ્ટિના નોંધપાત્ર દૃષ્ટાન્તરૂપ ‘વિચારબળો’ અને ‘કે. હ. ધ્રુવની સમગ્ર વાંગ્મયસેવાની સૂચિ’ એ બે લખાણો (‘નૈવેદ્ય’) ખૂબ વિશિષ્ટ છે. પહેલા દીર્ઘ લેખમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપણા સાહિત્યમાં પ્રધાનપણે વિનિયોગ પામેલાં વિચારબળોની સમર્થ વિચારણા છે. સાંસ્કૃતિક સંદર્ભમાં કરાવેલા આ પ્રવાહદર્શનને અંતે એમણે, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની વિચારણામાં પશ્ચિમની નવી અસરોની ઉત્કટતા ગળાઈ જઈ પ્રાચીન આર્યભાવના જ પ્રાધાન્ય ભોગવે છે એવું પ્રતિપાદન કર્યું છે. ડોલરરાયને સાંસ્કૃતિક સંદર્ભો ધરાવતી વસ્તુગત વિચારણાની ફાવટ સૌથી વધુ છે એ પણ આવા લેખો સિદ્ધ કરે છે. કે. હ. ધ્રુવની જયંતીને પ્રસંગે એમની વાંગ્મયસેવાનું સરવૈયું આપવાના અને એમણે પ્રતિપાદિત કરેલા નવા સિદ્ધાન્તોની તારવણી આપવાના આશયથી ડોલરરાયે અત્યંત પરિશ્રમથી અને પૂરી શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરેલી આ સૂચિ લેખકના ગ્રંથો અને લેખોની યાદી આગળ અટકવાને બદલે એ પ્રત્યેક લખાણમાંનાં લેખકનાં નિરીક્ષણોના નિર્દેશો પણ આપતી હોવાથી એમની સમગ્ર વિચારણાના દોહનરૂપ અને બહુમૂલ્ય બની છે. કે. હ. ધ્રુવ વિશે સંશોધન કરનારને માટે એ ઘણી તૈયાર સામગ્રીની ગરજ સારે એમ છે. આ સૂચિથી અને એમના વિવેચનકાર્યને તપાસતા ‘પાંડિત્યમંડિત રસિકતા’ નામના લેખથી કે. હ. ધ્રુવની સાહિત્યસેવાનો એક વિગતપૂર્ણ અને અધિકૃત આલેખ ડોલરરાયે આપ્યો છે. એમણે કરેલો ભાષાવિચાર પણ ઠીકઠીક નોંધપાત્ર છે. ‘નૈવેદ્ય’માં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં ‘ભાષા’ નામનો એક સુદીર્ઘ લેખ તથા મૂર્ધન્ય અને મૂર્ધન્યતર $’ની ચર્ચા વધુ મહત્ત્વનાં લખાણો છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકોના ભાષાપ્રયોગોમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢ્યું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાનો ચર્ચાસ્પદ પણ છે પરંતુ શૈક્ષણિક દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં ઐતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બોલાતી ભાષામાંથી દૃષ્ટાન્તો આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના હું ને પૃથકકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દૃષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ. ગ્રંથસમીક્ષા : ‘નૈવેદ્ય’ અને ‘કાવ્યવિવેચન’માં એમની ગ્રંથસમીક્ષાઓ પણમળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દૃષ્ટિએ, ‘સરસ્વતીચંદ્ર’ એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક’ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના’, ‘પારિજાત’ આદિ કૃતિઓની ચર્ચાઓ આ દૃષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. ‘અનુભાવનાશક્તિ’ની ચર્ચામાં એમણે કહેલોતે, ‘સર્જકની ઇન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ’ એ ‘ઇન્દ્રજાળ’ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ છતાં,કૃતિના અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસજ્ઞતા વરતી શકાતી હોય છે. દેવયાનીનાભાવસંક્રમણની ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યનાં ગુણ, રીતિ, અલંકાર એવાવિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના ‘આજ મારો અપરાધ છે’ કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે.સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અનેસંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડોઅભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam(૧૯૫૧), ‘Puranic Chronology’ (૧૯૫૨), ‘Date of Rgveda’ (૧૯૫૨)જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે.‘નૈવેદ્ય’માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમનાતલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’માંઅનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાનાવલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલાવિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાનીહિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારેઆર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ’ નામનાલેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદનીઆખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારીવ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિકઆધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત ‘કલ્કિ અવતાર’,’દાશરાજ્ઞ સંગ્રામ’(‘સ્વાધ્યાય’ પુ. ૨, અંક ૩,મે ૧૯૬૫). ‘સુરાષ્ટ્ર અને આનર્ત’(‘સ્વાધ્યાય’, પુ. ૬, અંક ૩,એપ્રિલ ૧૯૬૯) જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યાઅંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ’ જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંકચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે;(એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન’સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)એ સિવાય એમની ચર્ચા સાધાર અનેસંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાયપણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અનેતત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આસંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે.


* પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.
‘વિવેચનસંદર્ભ’ (પહેલી આ. ૧૯૯૪)