સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મુનશી અને ગુજરાતી નવલકથા
એક ઇન્ટરવ્યૂમાં રમણલાલ દેસાઈને કોઈએ પૂછેલું, ‘તમારામાં ને મુનશીમાં વધુ લોકપ્રિય કોણ ?’ એમનો જવાબ હતો: ‘જાહેરમાં મુનશીપણ ખાનગીમાં હું.’ આ હળવી માર્મિક વાતમાં બે મહત્ત્વનાં તથ્યો સમાયેલાં હતાં. મુનશીને ત્યારે વિદગ્ધ વાચકોનો, સાહિત્યજગતનો પણ ટેકો હતો. ને બીજી બાબત એ કે નવલકથા એટલો બધો લોકપ્રિય પ્રકાર હતો કે સ્પર્ધા પણ લોકપ્રિયતાને જ માનદંડ બનાવતી હતી; સાહિત્યિક નવલકથાનાં ધોરણો તો ત્યારેય ‘સરસ્વતીચંદ્ર’ને પક્ષે હતાં. ઈષ્ટ (ગોવર્ધનરામ) અને મિષ્ટ (મુનશી-રમણલાલ) બંનેને નવલકથાના કળાપ્રકારની બહાર રાખે એવી સભાનતા બલકે વિભાવના તો પછી સુરેશ જોષીના સમયમાં વિકસી. જોકે આધુનિકતાની, વિશેષે સુરેશ જોષીની જેહાદ છતાં નવલકથા સંપૂર્ણ શુદ્ધ કલાપ્રકાર રહી શકી નહીં - કદાચ એનું કાઠું જ એવું છે. પુષ્ટતા ભલે નહીં, માંસલતા તો એને વળગેલી રહી છે. પરંતુ, શુદ્ધ નવલકથા માટેની ખબરદારીએ નવલકથાનું ઠીક ઠીક શુદ્ધિકરણ તો કર્યું જ. આવા કેટલાક ઐતિહાસિક સંદર્ભોને મનમાં રાખીને કનૈયાલાલ મુનશીની નવલકથાને અને એને અંગે થયેલી વિચારણાને જોઈ શકાય. ગુજરાતમાં મુનશીનું સ્થાન એક મહત્ત્વના વ્યક્તિવિશેષતરીકેનું પણ રહ્યું છે. રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી શિક્ષણ સંસ્થાના સ્થાપક, સાહિત્યસંસદ દ્વારા અને ‘ગુજરાત’ સામયિક દ્વારા સાહિત્યપ્રવૃત્તિમાં એમની સક્રિયતા, ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપર ઠીક ઠીક સમય સુધી રહેલું એમનું વર્ચસ્વ તથા વિવિધ સાહિત્યસ્વરૂપોમાં તેમ જ વિચારવિષયોમાં, ગુજરાતી અને અંગ્રેજીમાં, સતત ચાલતું રહેલું એમનું - સો ઉપરાંત પુસ્તકોની વિપુલતાવાળું - લેખનકાર્ય. એ બધાંથી એમની એક વ્યાપક વિલક્ષણ પ્રતિભા રચાયેલી. પરંતુ મુનશી સૌથી વધારે ઊપસ્યા, નોંધપાત્ર બન્યા અને ચર્ચાતા રહ્યા નવલકથાકાર તરીકે, વેરની વસૂલાત (૧૯૧૩)થી લઈને કૃષ્ણાવતાર-ખંડ ૮ (૧૯૭૪, મરણોત્તર) સુધીના છ દાયકા એમની નવલકથાકાર તરીકેની કારકિર્દી- રેખા ખેંચાયેલી છે ને એ ગાળા દરમિયાન જ એ રેખા પ્રભાવકથી માંડીને ન્યૂનપ્રભાવ બનતી રહી છે. પ્રારંભે સામાજિક, મધ્યાહ્ને ઐતિહાસિક અને એ પછી અસ્તાચળ સુધી પૌરાણિક નવલકથા - એવા તબક્કાઓથી એમનો નવલકથાકાર તરીકેનો આલેખ રચાયેલો છે. મુનશીએ નવલકથા લખવાનું શરૂ કર્યું એ સમયે ગુજરાતી નવલકથામાં એક વળાંકરૂપ તબક્કો આવવો આવશ્યક હતો. ‘સરસ્વતીચંદ્ર’નો અંતિમ ખંડ પ્રકાશિત થયો (૧૯૦૧), ત્યાં સુધીમાં ગુજરાતીમાં નવલકથાનામી ૨૫૦ જેટલી કથાઓ લખાઈ ચૂકી હતી અને મુનશી શરૂ કરે ત્યાં સુધીમાં (૧૯૧૩ સુધીમાં) બીજી ૧૫૦ ઉપરાંત કથાઓ પ્રગટ થઈ હતી,(આ વિગતો ધીરેન્દ્ર મહેતાના શોધપ્રબંધ ‘નંદશંકરથી ઉમાશંકર’ (૧૯૯૪) માંના પરિશિષ્ટને આધારે તારવેલી છે, એ માટે એમનો આભારી છું.) પરંતુ ‘સરસ્વતીચંદ્ર’ પરથી ઝાઝું ધ્યાન ખસેડે એવી, ‘ભદ્રંભદ્ર’ (૧૯૦૦) સિવાયની કોઈ નવલકથા રચાઈ ન હતી. ‘સરસ્વતીચંદ્ર’નો મુકાબલો કરવાની ગુંજાયેશ કે એવી ઇચ્છા સુધ્ધાં કોઈ કથાલેખકમાં દેખાતી ન હતી. ‘ભદ્રંભદ્ર’માં પાંડિત્યદંભી ભાષા પરનો કટાક્ષ હતો, પણ એનું લક્ષ્ય ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા ન હતી. ‘ભદ્રંભદ્ર’ની નવલકથા તરીકેની શક્તિઓ પણ જુદા જુદા પ્રકારની હતી. એટલે ગુજરાતી નવલકથાનો બીજો અનિવાર્ય તબક્કો મુનશીથી આરંભાય છે. એમણે કથાલેખનની ક્ષમતાથી ‘સરસ્વતીચંદ્ર’નો મુકાબલો કર્યો. મંથર કથાપ્રવાહને બદલે પ્રબળ-પ્રચુર કથાવેગ, શિષ્ટ રુચિર પ્રેમોપચારોને બદલે પ્રગલ્ભ ઉત્કટ શૃંગાર, મૂલ્યનિષ્ઠ ચિંતનની સામે મનોરંજક રોમાંચકતા-રહસ્યમયતા- ઊર્મિતીવ્રતા, અને પાંડિત્યના સ્પર્શવાળા ગંભીર ભાષારૂપને બદલે સહજ, પ્રાસાદિક અને રંગદર્શી છટાવાળું તરલ ભાષારૂપ - એવાં એવાં પ્રતિક્રિયા-દર્શી ઘટકોમાં આ પાર્થક્ય સ્પષ્ટ થતું હતું. પરંતુ મુનશીનો આ મુકાબલો નવલકથાના સ્વરૂપ સોંસરવા ઊતરનાર કોઈ લેખકનો હોવાને બદલે એમનામાં જ વસેલા એક કથારસિક વાચકનો હોવાનું વધારે લાગે છે. જે વાચકની કથાતરસ અગાઉની સવાચારસો જેટલી નવલકથાઓએ પણ પૂરેપૂરી સંતોષી ન હતી - એ વાચક મુનશીનું લક્ષ્ય બન્યો. ૧૮૮૭માં ‘સરસ્વીચંદ્ર’ના પહેલા ભાગમાં ગોવર્ધનરામે આવા કથૈકરસિકવાચકને સંબોધ્યો હતો. એ વાચકને સમજાવીને, મદદ કરીને, થોડોક કથારસ પાઈને લેખક એને ઇષ્ટ રસ માટે કેળવવા માગતા હતા. એ વાચકને બરાબર ૨૫ વર્ષ પછી, એક પેઢી પછી, મુનશી કથારસની મદિરા પાઈને લાડ કરે છે. હે વાચક, તને કંટાળો આવે તો પાનાં ફેરવી દેજે - એવી તેવી રાહત-સૂચનાઓ મુનશીને આપવી પડતી નથી. બદલાતા જતા વાચકના દૃષ્ટિકોણથી પણ આપણી નવલકથાને જોવી જોઈએ. મુનશીનું નવલકથાકાર તરીકેનું સામર્થ્ય એમની આગવી લાક્ષણિકતાઓથી અંકાતું રહ્યું. ઐતિહાસિક ભૂમિકાને સાથે રાખીને, આજે પણ સ્વીકાર્ય લાગે એવી કેટલીક મુનશીની શક્તિઓ આપણા વિવેચકોએ ચીંધી છે : ‘એમણે નાટ્યાત્મક નવલકથાનો પહેલો પ્રયોગ કર્યો’. ( ધીરુભાઈ ઠાકર, ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા : ગાંધીયુગ, ૧૯૯૪; પૃ.૫૭) એમણે ‘પ્રશિષ્ટની સામે રંગદર્શી રીતિની નવી દિશા ઉઘાડી’ એથી ‘નવલકથાના આદર્થ તરીકે ‘સરસ્વતીચંદ્ર’નું આસન ડોલવા લાગ્યું.(વિનોદ અધ્વર્યુ, ‘મુનશી, ભારતીય સાહિત્યના નિર્માતા), ૧૯૮૪, પૃ. ૧૪.) અને મુનશીની ઉત્તમ નવલકથાઓ ખાસ કરીને એમની ઐતિહાસિક નવલત્રયી – ‘રોમાન્સ ન રહેતાં નવલકથા બનવા જાય છે. (રઘુવીર ચૌધરી, ‘ગુજરાતી નવલકથા, (ત્રીજી આ.) ૧૯૯૧, પૃ. ૧૨૩) -એવાં એવાં નિરીક્ષણોએ મુનશીની નવલકથાકાર-ખાસિયતોને અધોરેખિત (અન્ડરલાઈન) કરી આપી છે. આત્મકથનાત્મક સમાન્તરતાઓવાળી એમની સામાજિક નવલકથાઓ - વેરની વસૂલાત, સ્વપ્નદૃષ્ટા અને તપસ્વિની-માં સમકાલીન રાજકીય-સામાજિક પરિસ્થિતિઓનો સ્પર્શ છે, વાતાવરણનો એક સ્પંદ છે. વાસ્તવિકતાઓનો તાગ કાઢવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું નથી, પણ એમાં અંગત મહેચ્છાઓ અને આકાંક્ષાઓ અંગેનો સંઘર્ષ તથા ઇપ્સિત સ્વપ્નલોકનું આલેખન આસ્વાદ્ય બન્યાં છે. સ્વપ્નદૃષ્ટા એ રીતે વધુ ધ્યાન ખેંચનારી નવલકથા છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ જેટલી ગવાઈ છે એટલી જ વગોવાઈ છે, પણ મુનશીને નવલકથાકાર તરીકે સ્થાપી આપવામાં એ નવલોનો જ ફાળો મોટો છે - એ નકારી શકાય એમ નથી. વાચકો ઉપરાંત કેટલાક વિવેચકો પણ એના પ્રભાવવર્તુળમાં આવેલા છે. પૃથિવીવલ્લભમાં એક લઘુકદ નવલકથાની સુબદ્ધતા છે અને એમાં મુંજનું રસિક-પ્રતાપી પાત્ર મુનશીનાં કેટલાંક બહુ જ ધ્યાનપાત્ર ચરિત્રોમાંનું એક છે. સાહિત્યકૃતિમાં નીતિનિરપેક્ષતાનો મુનશીનો ખ્યાલ અને ફ્રૉઇડનો વ્યાપક પ્રભાવ, બોલકાં બન્યા વિના, કથા અને ચરિત્રની રેખાઓમાં ગૂંથાતાં ગયાં છે એને આ નવલકથાનો વિશેષ ગણવો જોઈએ. આ બધાંમાંથી તારવી-સારવીને એમ કહી શકાય કે મુનશીએ નવલકથાઓ દ્વારા કેટલાંક સ્મરણ-રસિક ચરિત્રો આપ્યાં છે. એમનાં પ્રતાપી પાત્રો પણ, આજે રમૂજ કરાવી જાય એવી થોડીક રેખાઓવાળાં હોવા છતાં, રસ પમાડનારી પ્રભાવકતા ધરાવે છે. એમની ઐતિહાસિક નવલકથાઓની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીએ તો પણ કહેવું પડે કે એમણે ઐતિહાસિક પરિવેશમાં, માનવ-સંબંધોનાં કેટલાંક જીવતાં- ધબકતાં ચિત્રો આપ્યાં છે; મનુષ્યહૃદયના રાગાવેગોને પ્રત્યક્ષ તેમ જ સ્પર્શક્ષમ પણ બનાવી આપ્યા છે. સામાજિક નવલકથાઓમાં કટાક્ષ દ્વારા અને ઐતિહાસિક- પૌરાણિક નવલકથાઓમાં વાગ્મિતા દ્વારા એમણે નિરૂપણની ભાષાની ધાર કાઢી છે. નવલકથાની ભાષાનું એક આકર્ષક રૂપ મુનશીમાં ઊપસ્યું છે – એમની શબ્દસૂઝ ક્યારેક નબળી રહી ગઈ છે તો પણ. મુનશીએ ગોવર્ધનરામના કરતાં જુદી રીતનોએક ભાવનાલોક, ખરેખર તો એક સ્વપ્નલોક ઊભો કર્યો છે. દુર્ધર્ષ વ્યક્તિમત્તાના પૌરાણિક સંસ્કારવિશેષના, ગુજરાતી અને ભારતની અસ્મિતાના એમના રંગદર્શી ખ્યાલોમાં એમની કથાકાર તરીકેની છટા તો આસ્વાદ્ય બને જ છે. એટલે, ‘મુનશીએ મનોરંજકતાનું જ લક્ષ્ય સ્વીકાર્યું’ અને એમનો ‘તરસ્વી કથાપ્રવાહ તે મનોરંજનના ખેલનું જ એક અંગ છે’ (કથોપકથન (૧૯૬૯), પૃ. ૬૧) એટલું કહીને સુરેશ જોષીએ મુનશીનો ચોપડો જ બંધ કરી દીધો એ બરાબર કર્યું નથી. મુનશીની ખરી શક્તિઓનું ગૌરવ કરનાર વિવેચકોએ પણ એમની મર્યાદાઓને સ્પષ્ટપણે મૂકી આપી છે - એ સાચો પરિપ્રેક્ષ્ય ગણાય. ઐતિહાસિક સંદર્ભમાં ‘મુનશીની સાહિત્યપ્રવૃત્તિ અસાધારણ પ્રતિભાનો આવિષ્કાર ગણાય’(જુઓ, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ગ્રંથ : ૪, (શોષિત-વર્ધતિ આવૃત્તિ) ૨૦૦૫માં, પૃ. ૧૫૨)એવો અહોભાવ વ્યક્ત કરી દેનાર વિનોદ અધ્વર્યુએ મુનશીની નવલકથાઓની ચિકિત્સા પણ કરી છે. મુનશીની કથાઓમાં થયેલા ‘ભવ્યતા અને હોયયાં લોકોત્તરતાના ઉદ્ઘોષો’ પ્રતીતિકરતાના અભાવે એમને ‘કેવળ શબ્દાડંબરી ઘોષણાઓ’ લાગે છે. એ કહે છે કે, વાચક થોડાક જ સાવધ હોય તો આ ‘સમગ્ર આલેખનની મરીચિકાને ઓળખી જાય છે’ (એ જ, પૃ. ૧૭૭) ધીરુભાઈ ઠાકર કહે છે કે, મુનશી ‘અનોખા વ્યક્તિત્વવાળાં આકર્ષક માનવીઓ પોતાની કલ્પનાશક્તિથી સર્જે છે’ પરંતુ ‘એ મહા પાત્રો એક જ સંઘાડે ઉતાર્યાં હોય એમ એકસરખા ગુણદોષવાળાં લાગે છે’ ને મુનશીએ ‘સર્જેલાં બધાં જ તેજસ્વી નરનારીઓના આંતરિક સંવિદમાં ખાસ ફેરફાર જણાશે નહીં. (‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા : ગાંધીયુગ, પૃ. ૫૮) ‘સરસ્વતીચંદ્ર’માં આલેખાયેલાં જીવનમૂલ્યો સામે તોમુનશીએ પ્રતિક્રિયા દાખવી, પણ રઘુવીર ચૌધરી કહે છે એમ, ‘એ મૂલ્યોનું સ્થાન અહીં સાહિત્યિક મૂલ્યો લેતી નથી.’(‘ગુજરાતી નવલકથા, પૃ. ૧૪૧)મુનશીનો મધ્યાહં તપતો હતો ત્યારે વિશ્વનાથ ભટ્ટે ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડુમામાંથી ઘણી તુલનાસામગ્રી પેશ કરીને મુનશીની અન્ય-પ્રભાવકતાને ઉઘાડી પાડી આપેલી. જો કે ડુમાના પ્રભાવથી મુનશીની નવલકથાકાર તરીકેની શક્તિઓને કોઈવિધાયકલાભ થયો ન પટનાથી આગળ ન હતો એથી ડુમાવાળી વાતને એક સંશોધન- ઘટનાથી આગળ ન લઈ જઈએ તો પણ ચાલે એમ છે. પરંતુ, મુનશીને રોમાંસના લેખક તરીકે જ વધુ પુષ્ટ કરનાર ડુમાને મુનશી પોતે તો અંજલિ જ આપે છે. ‘જય સોમનાથની પ્રસ્તાવનામાં, હવે જેમની અસર પોતાના પરથી સરી તે ‘કથાકાર શિરોમણિ’ કહે છે જે ડુમાને સુરેશ જોષીએ યોગ્ય રીતે ગણાવ્યા છે. (‘આટલું કરવા માટેય મુનશીને પ્રથમ કક્ષાના નહીં એવા ફ્રેંચ લેખકો પાસે જવું પડ્યું. ફ્લોબેર કે સ્ટેન્ડાલ નહીં પણ હ્યુગો અને ડુમા એમને ખપ લાગ્યા તે અત્યંત સૂચક છે.! ‘કથોપકથન (૧૯૬૯), પૃ. ૬૨) મુનશીના વેગીલા કથાપ્રવાહમાં ને ચિત્રાત્મક વાક્છટામાંતથ્યોની, પાત્રરેખાઓની, સંભવિતતા અને પ્રતીતિકરતાની અનેક ક્ષતિઓ મનસુખલાલ ઝવેરી ને જશવંત શેખડીવાળાના વસ્તુવિશ્લેષક વિવેચને બતાવી આપી છે. વિદગ્ધ વાચક-વિચારકને તો મુનશીની નવલકથાઓમાં પ્રશ્નો થતા જ રહ્યા છે. આનું કારણ એ છે કે, મુનશીએ પોતાની લેખક-વિચારક તરીકેની શક્તિઓ ક્યારેક ભળતાં જ લક્ષ્યો સામે યોજી. એને લીધે એમના સર્જનમાં આવી આંતરિક મુશ્કેલીઓ પ્રવેશતી રહી. મુનશી ઇતિહાસ-સંદર્ભ-નિર્ભર કે સાહિત્ય- મૂલ્ય-નિર્ભર રહેવાને બદલે કંઈક વધુ પ્રમાણમાં આત્મનિર્ભર રહ્યા અને સાહિત્ય કે સાંસ્કૃતિક સંદર્ભ અંગેની કોઈ મથામણ વિના, એવા કોઈ મંથનમાં ઊંડે ઊતરવાની રાહ જોયા વિના એમણે નર્યા આત્મવિશ્વાસથી લખ્યું. એમની બીજી લક્ષ્યચૂક એ હતી કે એમણે નવલકથાના સાહિત્યસ્વરૂપની પ્રભાવકતાને સાવ પહેલા સ્તર પરથી જોઈ અને એથી, સાહિત્યકૃતિમાં વાચકને રસ પડવો એટલે શું એનું એક જ પરિમાણ એ જોઈ શક્યા. એક પ્રશ્નના ઉત્તરરૂપે એમણે કહેલું કે, ‘નવલકથામાં કળાની બીજી નિ પીધાં છે જાણ ઘણી કસોટીઓ હશે, પણ મારી એક જ શરત છે - એમાં રસ પડવો જોઈએ. વટમાં ગંગા’ વર્ગ વાંચતા રસ ન પડે તો બીજા ગમે તે ગુણ હોય, હું એને નવલકથા ન ગણું.(મુલાકાત, ૧૯૬૪-૬૫, સુરેશ દલાલ, ‘માણસ મને ગમે છે’, પૃ. ૨૨) અહીં ‘મારી એક જ શરત છે’ એને બદલે ‘મારી પહેલી શરત છે’ એવું એમને લાગ્યું હોત તો પણ ઘણો ફેર પડી જાત અને નવલકથામાં કળાની બીજી પણી કસોટી’ કઈ હશે એવી જિજ્ઞાસાથી એ ઊંડે ઊતર્યા હોત તો એમને લાભ થયો હોત. નવલકથાનો નાયક લેખકનો માનસપુત્ર હોય એ તો બરાબર પણ નાયક કે નાયકોરૂપે લેખક પોતે જ ‘નવાનવા વેશ સદૈવ’ (સૌજન્ય : રમણભાઈ નીલકંઠ, ‘રાઈનો પર્વત’.) લેતો રહે ત્યારે પ્રશ્નો થાય. મુનશીની ઐતિહાસિક-પૌરાણિક કથાઓના કેટલાક પ્રતાપી નાયકો (ને એ નાયકોથી , અલબત, એક ડગલું નીચે,સંનિકટ ઊભી રાખેલી એવી જ માનુની નાયિકાઓ મુનશીના મનોજગતનો આવિષ્કાર છે. પણ એમની સામાજિક નવલકથાઓ તો એમના આત્મચરિત્ર-સરસી ચાલે છે. અને વળી, પછીથી આત્મકથા ખંડો પણ લખીને તો મુનશીએ તુલનાતત્પર અભ્યાસીઓને નિષ્ક્રિય કરી દીધા છે. અને વાચકોને નવલકથા ને આત્મકથા બેમાંથી કોઈ પણ એક વાચી શકવાની વિકલ્પ-સુવિધા કરી આપી છે! ગુજરાતી નવલકથાની વિકાસરેખા એકદમ સીધી લીટીમાં ખેંચીએ તો આપણે સીધા કનૈયાલાલ મુનશીથી ચંદ્રકાન્ત બક્ષી પાસે પહોંચી જઈએ. બંનેએ નવલકથાઓ લખી અને આત્મકથાઓ રચી. પણ પાછા વળી જઈને એમ પૂછીએ કે ગુજરાતી નવલકથાનું મુનશી પછી શું થયું, તો કોઈ એક જવાબ નહીં જડે. રમણલાલ દેસાઈમાં ગાંધીજીની પ્રેરક મૂર્તિને સામે રાખીને રચાતી આદર્શોની કથા છે, અને એમાં વાચકોને સામે રાખીને રચાતાં ઋજુ-વેધક પ્રેમકથાનકો છે. પ્રણયત્રિકોણો સમર્પણમાં શમે છે, એ ત્રિભેટે વળી પેલો ગાંધીઆદર્શ આવી મળે છે. એમણે દિવ્યચક્ષુ જેવી સુવાચ્ય-મધુર નવલકથા આપી અને ગ્રામલક્ષ્મીમાં જીવનમૂલ્યોનો એક અદશ્ય છેડો ગોવર્ધનરામ સુધી અડાડ્યો એ પણ એક વિલક્ષણ સંધાન ગણાશે. પરંતુ ખરી ગ્રામ-લક્ષ્મી એક નિરામય કલાત્મકરૂપમાં તો પન્નાલાલમાં અવતરી - એ સંકલ્પનું ગ્રામજીવન ન હતું, સઘન સંવેદનોનું, જીવાયેલું, ગામડું હતું. મેઘાણીએ પણ પ્રદેશની ધીંગી વાસ્તવિકતા, થોડાક રંગદર્શી સ્પર્શથી, પ્રગટ કરી. ગોવર્ધનરામની સગોત્રતા દર્શકમાં જોવામાં આવે છે એમાં, કહેવાયું છે એવું ને એટલું તથ્ય નથી તેમ છતા વલકથામાં કરેલ ઝેર તો પીધાં છે જાણી જાણીનો પહેલો ભાગ ખરેખર નોંધપાત્ર છે. સુરેશ જોષીએ માં રસ હાવો ‘કથરોટમાં ગંગા’ વગેરે પ્રકારનું વિવેચન તો દર્શકની ઐતિહાસિક નવલકથાઓ વિશે કરવું જોઈતું હતું, જે પછી હમણાંની નવી પેઢીના વિવેચકોએ કર્યું છે. પરંપરાગત ગુજરાતી નવલકથાની ચર્ચામાં ‘સરસ્વતીચંદ્ર’ કોઈ ને કોઈ મુદ્દે હાજરરહીને અવિસ્મરણીય બની છે - એ નોંધવું જોઈએ. તો પછી મુનશીનું પ્રદાન? ઐતિહાસિક મહત્ત્વવાળી ઉપરાંત સ્વતંત્ર મહત્તાવાળી હકીકત એ છે કે મનુશીએ ‘સરસ્વતીચંદ્ર’ પછી નવો તબક્કો સરજયો. ‘સરસ્વતીચંદ્ર’ના આલેખન અને નિરૂપણ બંને સામે, સર્જક તરીકે ગોવર્ધનરામ ઘણા મોટા ગજાના હતા તો પણ, આ પ્રતિક્રિયા અને આ દિશાપરિવર્તન અનિવાર્ય હતાં. એ સ્થગિતતાને સક્ષમતાથી તોડી એ મુનશીનું અગત્યનું અર્પણ ગણાશે. પંડિતયુગીન ભાષાની ચુસ્ત સંસ્કૃતમયતા અને ભારઝલ્લાપણા સામે, બોલાતી ભાષાની સહજતા એની વહનશીલતાથી અને પ્રાસાદિકતાથી પ્રયોજીને સૌ પહેલાં મુનશીએ વાચકને, સુશિક્ષિત વાચકને પણ, રાહત આપી, એ ઘણી રીતે નોંધપાત્ર ગણાય. ગાંધીયુગના પ્રવેશદ્વારનાં થોડાંક ડગલાં અગાઉ ભાષાના તરલ રૂપનું મુનશીનું આ પ્રદાન વિશેષ મહત્ત્વનું લેખાશે. મુનશીની નવલકથાઓમાં વિશૃંખલતા સાવ નથી એમ નહીં, તેમ છતાં ‘સરસ્વતીચંદ્ર’ના કંઈક વિસ્તરેલા ને વિખરાયેલા, અનિબદ્ધ કથારૂપને મુનશીએ નિબદ્ધ કર્યું, વસ્તુસંકલના સુબદ્ધ થઈ અને નવલકથા વાચકના દૃષ્ટિવ્યાપમાં આવી. એક ઘૂંટડે પી શકાય એવી નવલકથાઓ પણ એમણે આપી. સુધારા કે ચિંતનના ટુકડાઓનાં અવરોધકો કે દૃષ્ટાંતકથાઓ અને રૂપકોનાં જાળાં ન હોવાથી પણ એમની નવલકથા અસ્ખલિત વહે છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ પણ એમનું અર્પણ ગણાશે. આજે પણ, મુનશીની કોઈ એક લઘુકદ નવલકથા લાંબા પ્રવાસમાં સાથે હોય તો, બારીમાંથી બહારનાં દૃશ્યો જોતાં જોતાં, રસથી વાંચી શકાય. અને કોઈ પ્રકરણ એવું પણ આવી જાય કે આપણે બારીબહાર જોવાનું ભૂલી જઈએ ! સાહિત્ય અકાદમી (દિલ્હી)ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદ ‘ગોવર્ધનરામનો વારસો’માં ૬, જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે કરેલું વક્તવ્ય
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૭
‘મથવું – મિથ્યા’ પૃ. ૧૧૪ થી ૧૨૦