સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/આ સંપાદન વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ સંપાદન વિશે-

ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી અંતર્ગત, ગુજરાતીના ગાંધીયુગના પ્રમુખ સર્જક-વિવેચક સુન્દરમ્‌નાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ ને મહત્ત્વનાં લખાણો અહીં પસંદ કર્યા છે. આ લખાણોને ત્રણ વિભાગમાં રજૂ કર્યા છે. આ ત્રણ વિભાગ સુન્દરમ્‌ના ત્રણ પ્રમુખ વિવેચનગ્રંથોના આધારે જ કર્યા છે. સુન્દરમ્‌ પાસેથી વિવેચનના કુલ ચાર ગ્રંથો મળ્યા છે. ‘અર્વાચીન કવિતા’, ‘અવલોકના’, ‘સમર્ચના’ અને ‘સાહિત્યચિંતન’. આમાં એમણે પોતે જ પોતાની વિશૃંખલ વિવેચનાને ગ્રંથનામાભિધાનથી વર્ગીકૃત કરી ઓળખાવી છે. જોકે ‘સમર્ચના’માં પોતાના પરિચયમાં આવેલી સાહિત્ય-પ્રતિભાઓ વિશેના અંજલિરૂપ પરિચયાત્મક ચરિત્રનિબંધો છે. એટલે એને વિવેચનાત્મક સામગ્રી કહી શકાય એમ નથી. બાકીના ત્રણ ગ્રંથોની વિવેચનસામગ્રીનેએ જ નામે વર્ગીકૃત કરી અહીં રજૂ કરી છે. આ ત્રણે દળદાર ગ્રંથોમાં સંગૃહીત સુન્દરમ્‌નું વિવેચન ઘણું વિપુલ, વ્યાપક ને વૈવિધ્યસભર છે. ‘અર્વાચીન કવિતા’ની ત્રણ તબક્કાની દીર્ઘ વિવેચનામાં મુખ્ય પ્રવાહકો-કવિઓ ઉપરાંત ગૌણ પ્રવાહો ને કવિઓનાં કવિકર્મની અધિકૃત માહિતી આપતો આ એક દસ્તાવેજી આકરગ્રંથ છે. એમાંથી સીમિત સામગ્રીનું ચયન કરવું સ્વાભાવિક જ મૂંઝવણ થાય. એના ઉપાયરૂપે આ ગ્રંથની મુખ્ય ‘પ્રસ્તાવના’ અને ત્રણે સ્તબકનાં ‘પ્રાવેશિક’ લઈને અર્વાચીન કવિતાની ઇતિહાસલક્ષી વિવેચનાના સારરૂપ લેખોને અહીં પસંદ કર્યા છે. એ રીતે આ વિભાગમાં સુન્દરમ્‌ શૈલીએ કવિતાનો ઇતિહાસ ઉપલબ્ધ થઈ રહે છે. એ જ રીતે ‘સાહિત્ય વિચાર’ના લેખો ‘સાહિત્યચિંતન’ની વિપુલ સામગ્રીમાંથી પસંદ કર્યા છે. ‘અવલોકના’ સમયના લાંબા પટ પર થયેલાં કૃતિલક્ષી અવલોકનોનો ગ્રંથ છે. એમાં ગદ્ય-પદ્ય એવા બે વિભાગમાં કૃતિ-કર્તાનું વિપુલ વૈવિધ્ય છે. એમાંથી મહત્ત્વના લેખો અહીં પસંદ કર્યા છે, જે સુન્દરમ્‌નો કૃતિલક્ષી અવલોકનનો અભિગમ સુપેરે વ્યક્ત કરે છે. અહીં બે-ત્રણ દીર્ઘલેખોને ટૂંકાવીને રજૂ કર્યા છે. ‘શેષનાં કાવ્યો’ના ૨૩ પાનના લેખમાંથી આસ્વાદલક્ષી ઉદાહરણો બાદ કરી લેખને પ્રમાણસર કર્યો છે. એ જ રીતે ‘નિબંધ’ અને ‘ગીત’ સ્વરૂપ પરના લેખો પણ ઘણા દીર્ઘ હોવાથી એની સ્વરૂપગત ચર્ચા જ અહીં પસંદ કરી છે; સ્વરૂપવિકાસ અને અન્ય આનુષંગિક મુદ્દાઓની ચર્ચા છોડી દીધી છે. બાકીના બધા લેખો યથાતથ રાખ્યા છે. આ રીતે અહીં સુન્દરમ્‌ના સમગ્ર વિવેચનરાશિમાંથી ‘સમગ્રમાંથી સઘન’ શ્રેણીના ઉપક્રમે કુલ અઢાર લેખ સંપાદિત કર્યા છે. આશા છે આ સંપાદન સુન્દરમ્‌ની વિવેચનાનું પરિચાયક નીવડશે. – કેસર મકવાણા

૦૦૦