સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નર્મદાશંકર - ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નર્મદાશંકર

[નર્મદાશંકરે ‘કવિચરિત્ર’માં આપણા જૂના કવિઓ વિષે મળતી માહિતી ભેગી કરીને જીવનચરિત્રો આપ્યાં છે. એક કવિ બીજા કવિ વિષે લખે એ રસિક તો થઈ પડે જ. પહેલા ભાગમાં આપણે નરસિંહ મહેતા વિષે પ્રેમાનંદની અને અખા વિષે શ્રી. ચંદ્રવદનની વાણી સાંભળી. આ ભાગમાં નરસિંહ વિષે વિશ્વનાથ જાની, મીરાં વિષે દયારામ અને હવે દયારામ વિષે નર્મદ શું કહે છે તે જોઈએ છીએ. દયારામને બહુ જૂના ગણવાના નથી. તેમનું મૃત્યુ થયું ત્યારે નર્મદ ૨૦ વરસનો હતો અને દલપતરામ ૩૩ વરસના હતા ને કવિ તરીકે પંકાઈ પણ ચૂક્યા હતા. પરંતુ દયારામની શૈલી આપણા જૂના કવિઓની શૈલી જેવી હતી. નર્મદ, જેમ શ્રી. મુનશી કહે છે તેમ, ‘અર્વાચીનોમાં આદ્ય’ તેમ દયારામ પ્રાચીનોમાં અંતિમ. દયારામની ગરબીઓ ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન છે. એની ભાષામાં જે સરળતા છતાં અર્થવાહકતા, ઘરગથ્થુપણું છતાં શિષ્ઠતા, અને શબ્દે શબ્દે ટપતી મધુરતા છે તે ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી નવા કે જૂના કવિમાં જડશે. કવિ નર્મદ દયારામને આ લેખમાં પ્રેમાનંદ અને શામળથી ઊતરતો ગણાવે છે. પણ એ બરોબર નથી. કાવ્યનો રસ જોતાં શામળથી દયારામ ચડી જાય છે. શામળમાં ચતુરાઈ છે. દયારામમાં રસ છે. નર્મદે પોતાનો નિર્ણય પાછળથી બદલેલો ને એણે નિશાળમાં ગુણ (માકર્સ ) આપે છે તેમ, પ્રેમાનંદને સોળ આની, દયારામને પંદર અને શામળને ચૌદ આની આપેલી. દયારામના આ ચરિત્રમાંથી એના વ્યક્તિત્વ વિષે – એના નાનપણના તરવરાટ, સ્વતંત્ર વૃત્તિ, દેશભરમાં કરેલાં પર્યટનો, શોખીનપણું, ક્રોધ અને અભિમાન છતાં પાદુકા પૂજવાની વાત આવતાં ‘હું તે શી ગણતીમાં? એ વાત તારે કરવી જ નહિ,’ અને પેટલાદની નાગરાણીને કહેલા શબ્દો, ‘તારો કંઠ મને આપ, હું તો માત્ર જોડી જાણું છું,’ એમાં રહેલી એની નમ્રતા – એ બધા વિષે વિગતે જાણવા મળે છે. કવિ વૈષ્ણવધર્મી હતો. પાછળથી સમર્પણ લીધું હતું - એટલે કે પોતાના હાથના સિવાય જેનું સમર્પણ લીધું હોય તેના હાથનું જ ખાવું એવો નિયમ કર્યો હતો. રતનબાઈ, જેને નર્મદ દયારામની ‘પ્રિયા’ તરીકે ઓળખાવે છે, તે અનાથ વિધવા સોનારણ હતી. નદીકિનારે નિરાધાર હાલતમાં મળતાં કવિએ તેને પાણી ભરવા રાખી હતી. તેણે કવિના અંતકાળ સુધી લીલીસૂકી સહન કરીને કવિની પારાવાર સેવાચાકરી કરી હતી. આ નિબંધમાં આડવાતમાં નર્મદે કવિતા વિષેના પોતાના વિચાર દર્શાવ્યા છે તે ઉચ્ચ કોટિના છે : (૧) “કવિ ગમે તેટલો વિદ્વાન હોય અને ગમે તેટલી સરળતા રાખી પ્રાસાદિક શક્તિથી પોતાની કવિતાને શણગારતો હોય, પણ જો તેમાં રસ નથી, જોસ્સો નથી અને ચિત્ર પાડવાની શક્તિ નથી તો કવિ...કવિ-પંક્તિમાં છેલ્લો બેસે છે.” (૨) “સર્વ વિષયની ઉપર અને સર્વ રસમાં ખૂબ છટાથી લખ્યું હોય, એવી રીતે કે હૃદય ભેદાઈ જાય, તે કવિ સહુથી શ્રેષ્ઠ જાણવો.” (૩) “રાગડાને ને કવિતાને કંઈ જ સંબંધ નથી.” આ વિચારો કેટલા બધા સાચા છે!]