સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હૃદયનો હક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હૃદયનો હક

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

વિશ્વની દૃષ્ટિએ જોતાં આ વિશાળ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિનું મરણ હિસાબમાં ગણવા જેવી વસ્તુ નથી : કેમ કે પ્રતિક્ષણ આ વિશ્વરૂપી ગહન વનમાં અસંખ્ય પાંદડાં ખરે છે, અને અસંખ્ય નવાં જન્મે છે. ‘तत्र को मोहः कः शोकः ।’ પણ વિરુદ્ધ મનુષ્યને પોતાના હૃદયના હક પણ રજૂ કરવાનો અધિકાર છે. એ રીતે જોતાં ‘હું’ અને ‘મારું’ પણ અવગણવા જેવા પદાર્થો નથી, બલકે એની સ્વાભાવિકતાથી એ દૃષ્ટિ મનુષ્યને અધિક હૃદયંગમ અને રુચિકર થાય છે. ભલે એ દૃષ્ટિ મનુષ્યની ઊંચી ભાવના સાથે અસંગત હોઈ વસ્તુત : અયથાર્થ ગણાય, પણ મનુષ્યની સાધારણ મનુષ્યતા તો એમાં જ રહેલી છે એમ કહેવામાં ખોટું નથી. આમ હોઈ મનુષ્ય એના નિકટનાં સંબન્ધીઓ - ‘ઘરદીવડાંઓ,’ વા મનુષ્યજાતિના મહાન જ્યોતિઓ આ લોક છોડી ચાલ્યા જાય છે ત્યારે પોતાના સંબન્ધ પ્રમાણે વા એ જ્યોતિના તેજ પ્રમાણે એક વા અનેક શોક અને ખેદના ઉદ્ગાર તો કરે છે જ. સમગ્ર મનુષ્યજાતિને ખળભળાવે એવાં મરણ તો થોડાં જ થાય, કારણ કે એ કોટિના મહાન પુરુષો થોડા જ હોય. પણ સામાન્ય જનતાથી અધિક એવા નાના મોટા જનોનાં મરણ એમના પોતાના પ્રદેશમાં તો મહત્ત્વનાં જ ગણાવાં જોઈએ.