સાહિત્ય પલ્લવ – ભાગ ૨/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

[‘હૃદયનો હક’ એ નાનકડી નોંધમાં લેખકે એક બાજુથી મૃત્યુ પામનારાઓને માટે શોક કરવામાં આપણી જ અલ્પતા અને અણસમજ છે એ બતાવી, બીજી બાજુથી આપણને પણ આપણા હૃદયનો હક્ક રજૂ કરવાનો અધિકાર છે એ દર્શાવ્યું છે. બીજું, જે મૃત્યુ પામે તે મહાન હોય, જેના મરણથી આખો સંસાર ખળભળી ઊઠે તેને જ આપણે સ્નેહની અંજલિ આપીએ એમ નહિ. આપણા નાનકડા ઘરના નાનકડા ‘ઘરદીવડા ’ બુઝાઈ જાય ત્યારે પણ આપણને તો ખોટ પડે જ છે માટે એમને ભૂલી ન જવાય. આપણા સમાજ માટે તો એ જ મોટા. ‘ઘરદીવડાં’ — શ્રી. ગોવર્ધનરામે નવલરામ ગુજરી જતાં તેમનું જીવન લખતી પ્રસંગે આને પ્રયોગ કર્યો હતો :

મોટાં નાનાં વધુ મોટાંમાં તો નાનાં પણ મોટાં,
વ્યોમદીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડાં શાં ખોટાં?

જે મોટું છે તે વધુ મોટાંઓમાં તો નાનકડું જ ઠરે છે. આવડો મોટો રવિ, આકાશનો દીવો, તે આખા આકાશની તેજસમૃદ્ધિમાં તો નાના અમથા બિંદુ જેવડો છે, તો પછી આપણે આપણાં ઘરદીવડાંનો તુચ્છકાર શા માટે કરવો? એમને પણ આપણે આપણા માટે તો મહાન જ ગણવાં. અંબાલાલભાઈ વિષેનો લેખ ‘વસંત’ માસિકના સં. ૧૯૭૦ના આશ્વિન માસના અંકમાં પ્રગટ થયો હતો. ગઈ પેઢીના આપણા એક મોટા પુરુષના અવસાન પ્રસંગે લખાયેલી આ નોંધ આચાર્ય આનંદશંકર ધ્રુવની ગંભીર, ઠરેલ અને સુશ્લિષ્ટ શૈલીનો આપણને ખ્યાલ આપે છે. આનંદશંકરભાઈ એક મોટા ચિન્તક છે. આ નોંધ એમણે તંત્રી-લેખે લખી છે; પણ સામયિકોની પ્રચલિત નોંધો કરતાં એની શૈલી જુદી પડી આવે છે, એ આવી જુદી જુદી સામયિક નોંધો વાંચતાં જોઈ શકાશે. ‘દેહાત્મવાદી તરીકે નહિ,... સમજણપૂર્વક ’ એટલે શરીર માટે કાળજી રાખી તેને જાળવ્યું તે શરીરને જીવનસર્વસ્વ ગણીને નહિ (દેહાત્મવાદ = જડવાદ), પણ શરીર તો આત્માના સંકલ્પોને પાર પાડવાનું સાધન છે એ ગણીને. સરખાવો शरीरमाध्यं खलु धर्मसाधनम् । (ધર્મની કમાણી કરવામાં પહેલું સાધન તે શરીર છે. – કાલિદાસ) સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ૫૩ વરસની ઉંમરે ગુજરી ગયા ત્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં તેમના અવસાન માટે શોકનો ઠરાવ થતો હતો ત્યારે ‘૫૩ વરસની કાચી ઉંમરે’ એમ એક શબ્દ અંબાલાલભાઈએ ઉમેરાવ્યો હતો. દૃઢ સંકલ્પ — જે કાર્ય હાથ પર લીધેલાં હોય તેને વિષે સૂતા પહેલાં આખા દિવસમાં એક મિનિટ માટે પણ ધ્યાન આપવું જ આપવું એ એમની રીત હતી. આવા માણસો આદરેલું પૂરું કર્યા વગર રહે? ‘રસ્તે દોડતાં ......’ He who runs may read. (Tennyson) એટલે કે સહેલાઈથી પામી શકાય એવાં છે. અમદાવાદ કૉંગ્રેસ (ઈ.સ. ૧૯૦૨)ના અંબાલાલભાઈ સ્વાગત પ્રમુખ હતા. એક દેશી રાજ્યનું ન્યાયખાતું – તે વડોદરાનું. ત્યાં તે ન્યાયાધીશ હતા. પદ્ધતિ કરતાં મનુષ્ય અધિક છે – પદ્ધતિઓ મનુષ્ય માટે છે, મનુષ્ય તેમને માટે નથી, એવું વિચારતાં એ વાત સમજાશે. માતૃભાષા દ્વારા સામાન્ય લોકને વ્યવહારુ કેળવણી — આ જમાનામાં ઉદ્યોગપ્રધાન શિક્ષણપદ્ધતિથી જે આપવાની યોજના થઈ રહી છે તેનો વિચાર એક સહૃદય લોકસેવકને કેટલો બધો વહેલો આવેલો,— તેનો ખ્યાલ આપે છે.]