અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગયાં વર્ષો —

From Ekatra Wiki
Revision as of 13:27, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં! ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં  :
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!

(સમગ્ર કવિતા, પૃ. ૫૭૫-૫૭૬)