અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/જઠરાગ્નિ

Revision as of 22:09, 4 September 2021 by Atulraval (talk | contribs)


જઠરાગ્નિ

ઉમાશંકર જોશી

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!

રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
               અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!

વીસાપુર જેલ, એપ્રિલ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)



ઉમાશંકર જોશી • જઠરાગ્નિ • કવિના સ્વમુખે કાવ્યપઠન:


એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ