અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી

Revision as of 11:06, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાજળકાળા આભ મહીંથી

ગોવિન્દ સ્વામી

કાજળકાળા આભમહીંથી
         તારલા વાટે તેજ ચૂવે છે.

રજનીકેરાં શ્યામલ ચીરને
         તારલા કેરું તેજ ધૂવે છે.

વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
         જોબનના શણગાર સજે છે;

સૌરભની પિચકારી ભરી ભરી
         ફૂલડાં રંગે હોળી રમે છે!

આજ જામી મધરાત; અટારીએ
         એકલું એકલું હૈયું રડે છે;

અંતરના કોઈ સાથી વિહોણું
         અંતર આજ ચોધાર રડે છે!

મદભર્યાં મુજ જોબનગીતો
         ઝીલવા આજે કોઈ નથી રે;

ફાગણના મધુ–ફૂલ હિંચોળે
         ઝૂલવા સાથે કોઈ નથી રે!