અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તો સારું

‘નાઝિર’ દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંય મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે;
જો એવા માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા! છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)