અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચુનીલાલ મડિયા/મરણ

From Ekatra Wiki
Revision as of 15:00, 25 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, —...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, — વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી — ના ગમે

અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં
મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં
અને મનસમાંય — ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું —
કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે—?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.