અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પાર્થને કહો ચડાવે બાણ

Revision as of 11:54, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
પાર્થને કહો ચડાવે બાણ

ન્હાનાલાલ દ. કવિ

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ :
         પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
         કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
         યુદ્ધ એ જ યુગધર્મ :
સજીવન થાય પડ્યાયે પ્હાણ :
         પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
         રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
         રણધીરને રણઢોલ :
પાર્થની પ્રત્યંચાને વાણ :
         પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,
         ત્યમ તલપો સિંહબાળ!
યુગપલટાના પદપડછન્દે
         ગજવો ઘોર ત્રિકાળ :
સજો શિવ વીર! હવે શિરત્રાણ :
         પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે
         રણરમતો મુજ વંશ;
સત્ય શીલ ને ધર્મયજ્ઞમાં
         હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો! નવ નવયુગનો ભાણ :
         પાર્થને કહો ચડાવે બાણ :
વિધિનાં એ જ મહાનિર્માણ :
         પાર્થને કહો ચડાવે બાણ.

(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, પૃ. ૯૩-૯૪)