અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/ગામની વિદાય


ગામની વિદાય

પ્રહલાદ પારેખ

હે જી મારા નાનપણાના ગામ! મારા બાળપણાના ધામ!
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.

તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા!
         તારી આ ઝાડવાંની છાયા;
         એની લાગી છે મને માયાઃ
છોડવાં નો’તાં એને છોડવાં આજે:
         જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ. મારાo

ના રે કળાયા કદી, નેહના વેલા એવા
         ભોંયે આ તારી પથરાયા:
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
         ડગલે ને પગલે એ અટવાયા:
         ક્યારે બાધી લીધો’તો મને આમ? મારાo

તારા ડુંગરને તારા વોંકળા, હે ગામ મારા!
         તારાં આંસુ ને તારાં હાસ:
હૈયાને મારા એણે બાંધી લીધી છે જાણે
         કોઈ અદીઠ એવી રાશ:
         ખેંચી ઊભાં છે આજ એ તમામ! મારાo



આસ્વાદ: લયની કેડીએ શૈશવના દેશમાં – હરીન્દ્ર દવે

આપણે પ્રવૃત્તિઓના ઝંઝાવાતમાં ફંગોળાતા હોઈએ ત્યારે પણ હૃદયના કોઈક અગોચર ખૂણે આપણું શૈશવ એનાં ભાંગ્યાતૂટ્યાં રમકડાં લઈને ખેલ્યા જ કરતું હોય છે; રેતીના મહેલ ઊભા કરતું હોય છે કે સાત સાગરને પાર કરવાની પવનપાવડી આપે એવી જંગલની પરીની ખોજમાં રત હોય છે.

પરંતુ આપણે ભાગ્યે જ આપણા શૈશવને જાણતા હોઈએ છીએ. ફુગ્ગા માટે રડતો બાળક, માતાની આંગળી ઝાલી નચિંતપણે આકાશ સામે જોઈ ગીચ રસ્તા પર ચાલતો બાળક, રાજકુંવરનાં પરાક્રમોની કથા સાંભળવા ઉત્સુક બાળક આ સૌને જોતાં આપણી ભીતર કોઈક સંવેદનાનો ગંધારસ્વર આંદોલિત થઈ ઊઠે છે. પણ એનો રણકો અલગ તારવીને સાંભળવાની સ્વસ્થતા આ કોલાહલ વચ્ચે આપણને હોતી નથી.

કવિ આ સાંભળી શકે છે અને એનો રણકાર આપણા અંતરમાં પ્રતિધ્વનિત કરે છે. જે નાનકડા ગામમાં શૈશવ મહોર્યું હતું એની વિદાયનું અહીં ચિત્ર છે. બીજી જ પંક્તિમાં આવતા લયના મનોહર વળાંક સાથે શૈશવનાં મૂળ ગામની ભૂમિમાં, કેટલાં ઊંડે ખોડાયાં છે તેની પ્રતીતિ થઈ જાય છે. ‘નાનપણના ગામ’ એ શબ્દઝૂમખા પછી ‘બાળપણના ધામ’ એ શબ્દો લય અને અર્થનો નાનકડો ચમત્કાર સાધે છે. આ ચમત્કાર ગેયતાને કેટલી સમૃદ્ધ કરે છે એનો ખ્યાલ આ બે પંક્તિઓને મનમાં ગુંજો કે તરત આવી જશે.

પ્રહ્લાદની કવિતાની ખૂબી એની સરળતામાં છે. એ અલંકારો વિના, માત્ર સરળ વિગતોના સૂક્ષ્મ નિરૂપણ દ્વારા જ ઘણું સિદ્ધ કરે છે. ગામની માટી, ગામનું પામી અને વૃક્ષોની છાયા—જેની કવિને માયા લાગી છે એનો સંવેદનશીલભાવક કોઈક પ્રતીકો તરીકે પણ આસ્વાદ લઈ શકે. આ માયા છોડીને જતા હૃદયની ત્વચા ઉતરડાતી હોય એવી લાગણી થાય છે.

આપણી લાગણીઓનાં મૂળ ક્યાં ક્યાં નખાયાં હોય છે, એની આપણને જાણ નથી હોતી. કોઈ વાર ઓચિંતાં જ ચાલવા જઈએ અને પેલા ખેંચાતા મૂળની વેદના આપણે અનુભવીએ ત્યારે એનો ખ્યાલ આવે છે. જ્યાં આપણું શૈશવ વીત્યું હોય એ ગામની વિદાય લેતાં પગ ભારે થઈ જતો હોય છે. ‘પગ ભારે થઈ જાય છે’ એ લોક-અભિવ્યક્તિ છે. કવિની અભિવ્યક્તિ એથી તદ્દન જુદી છેઃ નરી આંખે ન દેખાતા નેહના વેલા પર ભૂમિમાં ઊગ્યા છે—જેવો જવા માટે પગ ઉપાડ્યો, અને વેલાઓ ચરણોમાં અટવાવા લાગ્યા…

અને કવિ પૂછે છેઃ ‘ક્યારે બાંધી લીધો’તો મને આમ?’ સ્નેહનો આ દૃઢ સંબંધ ક્યારે બંધાઈ ગયો?

આપણાં મનમાં ગહ્વરોમાંથી પણ પ્રતિધ્વનિ આવે છેઃ ‘સ્નેહનો આ સંબંધ ક્યારે બંધાયો?’ કવિએ આ બધા કોલાહલો વચ્ચેથી પણ અલાયદા ખૂણામાં રચાતી શૈશવની લીલા તરફ અંગુલીનિર્દેશ કરી આપ્યો છે. લયના સમૃદ્ધ ગુંજાવરની કેડી પરથી શૈશવના અગોચર પ્રદેશ સુધી લઈ જતી આ કવિતાનો ચમત્કાર સાત સાગર પાર લઈ જતી પરીની પવનપાવડી જેવો જ નથી શું? (કવિ અને કવિતા)