અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/છેલછબીલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 55: Line 55:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous = સાંજ સમાનો દીપ
|next =અલબેલો
}}

Latest revision as of 12:38, 21 October 2021

છેલછબીલે

પ્રિયકાન્ત મણિયાર

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
                  છેલછબીલે છાંટી!

અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
                  છેલછબીલે છાંટી!

શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજ નીસરી બ્હાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
                  છેલછબીલે છાંટી!

તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
                  છેલછબીલે છાંટી!




આસ્વાદ: પ્રેમની પંચવર્ષીય યોજના ન હોય – ઉદયન ઠક્કર

પહેલા પ્રણયનું આ ઉલ્લાસ-ગીત છે. ‘છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી.’ છેલછબીલે છાંટણાં વારંવાર કર્યાં હશે, નહીંતર કાવ્યનાયિકા એની વાત વારંવાર ન કરે. માધવ હોરી રમી રહ્યા છે, જમુનાજલમાં ગુલાબી રંગ વાટીને પિચકારી વડે ગોપીને તરબોળ કરી રહ્યા છે. આપણે નાદાન વયના નથી, જાણીએ છીએ કે બાળલીલા ક્યાં પૂરી થાય અને રાસલીલા ક્યાં શરૂ થાય. અનુમાન કરી શકીએ છીએ કે જલમાં ઝાંય શેની ભળી હશે? ‘વાટવું’ એટલે શું અને ‘છાંટવું’ એટલે શું?

‘અકેલી’ — કાવ્યનાયિકાના જીવનમાં એકલતા હતી. જમુનાકાંઠે એકાંત પણ હતું. કાનકુંવરને તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ‘વહી રહી હું’ — આગળ જમુનાજલનો સંદર્ભ આવ્યો હોવાથી કાવ્યનાયિકાને ચાલતી નહીં પણ વહેતી કલ્પી છે. ‘મૂકી મારગ ધોરી’ — ડાહ્યો માણસ પ્રેમમાં ન પડી શકે. જે ધોરી મારગ મૂકી દે, દુનિયાદારી છોડી દે, એને જ પ્રેમ પદારથની પ્રાપ્તિ થાય.

‘હું જ રહેલી કોરી’ — કુંવારકાને સખીની કંકોતરી કાળોતરી જેવી લાગે. અરેરે, આ લઈ ગઈ અને હું રહી ગઈ! ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં’, રંગછાંટણાની ભાત કેવળ પાલવ પર નહીં પણ ઘટને માથેય પડી છે. ‘ઘટ’ એટલે કાયા અથવા માથે મૂકેલો ઘડો. ‘ઘાટી’ એટલે ગાઢ.

‘અણજાણ’ — પ્રેમની પંચવર્ષીય યોજના ન હોય. એ અણજાણતાંમાં જ થઈ જાય. શ્રાવણનાં વાદળ ફાગણમાં વરસી પડે.

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું.

(રમેશ પારેખ)

અષાઢનાં શામળાં વાદળ વરસી વરસીને શ્રાવણમાં સોનેરી થયાં હોય. પ્રણય–રંગમાં ભીંજાતી કાવ્યનાયિકાને ફાગણમાં શ્રાવણની અનુભૂતિ થાય છે. શબ્દ અને અર્થની વચ્ચે ભાઈબંધી હોય તેમ બે શબ્દો વચ્ચે પણ ભાઈબંધી હોય. ‘બ્હાવરી’ શબ્દ ‘બ્હાર’ની આંગળી ઝાલીને ચાલે છે. ‘કાંટી’ એટલે એક જાતની માછલી. કાનમાં મત્સ્યાકાર કુંડળ સળવળ થાય એમ હૈડામાં પ્રેમ સળવળ થાય.

કાવ્યનાયિકા થથરી રહી છે. (કેવળ રંગછાંટણાથી?) તે લોચનનું લટકચાળું કરી માધવથી અળગી થવા ઇચ્છે છે. માધવ તેને આંખથી અટકાવે છે. ‘અલબેલો અડકે મુને આંખથી’. (પ્રિયકાન્ત મણિયાર)

આ એક ઉત્તમ ઊર્મિગીત છે. વર્ણમાધુર્ય વગેરેને કારણે ગેય પણ છે. અંગ્રેજી પદ્યસાહિત્યમાં સદીઓથી ‘સૉંગ’અને ‘પોએમ’ એવા વિભાગો પડી ચૂક્યા છે. જે રચના ગાવાની હોય તે ‘સૉંગ’. (જૉન લૅનન, પૉલ મેકાર્ટની અને બૉબ ડિલન ઉત્તમ સૉંગસ્ટર છે.) જે રચના ગાવાની નહીં પણ કાવ્ય તરીકે વાંચવાની હોય તે ‘પોએમ’ અથવા ‘લિરિક’. ગુજરાતી ભાષામાં કેટલાંકની ભૂલભરેલી અપેક્ષા રહે છે કે ગીતસ્વરૂપમાં લખાયેલાં બધાં કાવ્યો ગવાવાં તો જોઈએ જ.

આ કાવ્ય ગોપીમુખે કહેવાયેલાં કૃષ્ણગીતોની પરંપરામાં રચાયું છે. આનું પગેરું દયારામનાં અઢારમી સદીનાં પદોમાં મળે. (હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું? / વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું! / હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે / વગર બોલાવ્યો વહાલો બેડલું ચડાવે.) સગડ શોધતાં વધુ આગળ જઈએ તો પંદરમી સદીમાં નરસિંહનાં પદો મળી આવે (પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી / રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝૂંબીએ, લાજની આજ દુહાઈ છૂટી).

(‘આમંત્રણ’)