અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માણસ

Revision as of 09:06, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણસ

વેણીભાઈ પુરોહિત

કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડામાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દુણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…

(આચમન, પૃ. ૩૭)