અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવ પંડ્યા/કવિતાએ કાનમાં કહ્યું

From Ekatra Wiki
Revision as of 12:59, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કવિતાએ કાનમાં કહ્યું

શિવ પંડ્યા

આમ ને આમ
આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં
હાથ લાગી ગયું એક અવડ બારણું
આગળા ખોલ્યા ને કિચૂડકટ અવાજમાં
ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ
દોડી ગયો આળસુ અંધકાર
ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ
આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા
ને બુદ્ધિનું અધિરત્વ પીગળ્યું
ચારે કોર કિલ્લોલતો અવાજ અવાજ
અંદરનું અંધત્વ ઓગળ્યું.
ચારેકોર સુગંધભર્યો અજવાસ અજવાસ
હવે
બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
કાનમાં કહે છે મને
બારણું હવે ભીડતો નહિ
હોં કે.