અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સમુદ્ર


સમુદ્ર

સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
(જટાયુ, પૃ. ૧)