અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)


પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)

હરીશ મીનાશ્રુ

સાધો હરિવરના હલકારા
સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા.

અમે સંતનો સોબતિયા
નહીં જાદુગર કે જોશી
ગુજરાતી ભાષાના નાતે
નરસિંહના પાડોશી

એની સંગે પરસ્નેહથી વાડકીના વ્યવહારા

ભાષા તો પળમાં જોગણ
ને પળમાં ભયી સુહાગી
શબદ એક અંતર ઝકઝોરે
ગયાં અમે પણ જાગી.

જાગીને જોઉં તો જગત્ દીસે નહીં રે દોબારા