અલ્પવિરામ/૨૬ જાન્યુઆરી ૧૯૫૦

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

દિલ્હીમાં
ત્રણ ગોળીઓના અગ્નિની (ન ઠરે હજીય!) ચિતા વિશે
શો દાહ દીધો વેદને!
નોઆખલીમાં
કબ્રના કલમા પઢી મઝહબ મિષે
શું શું કીધું ન કુરાનને?
પંજાબમાં
બસ ગ્રંથના તો મોં જ સામું જોયું ના
એવા કયા તે કોણ જાણે ખ્વાબમાં?
ને હવે આજે છતાંય વિધાનમાં
તારી વિભૂતિ પુન:પુન: પ્રગટાવવી,
પ્રારંભમાં જોકે ન તારું નામ મેલ્યું
કે નથી પામ્યા તને શું ગ્રંથમાં શું કુરાનમાં કે વેદમાં,
પણ પામશું પુરુષાર્થના પ્રસ્વેદમાં.
ને આ ધરા પર લાવવી
જો તાહરી સત્તા,
હવે તો આજથી આ શીશ પૂર્વે જે નમ્યું ના
એ નમે, આશિષ તું એવી આપ
અમને આપ તારી નમ્રતા!