ઇન્ટરવ્યૂઝ/સર્જક-પરિચય

Revision as of 10:57, 4 May 2024 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|સર્જક-પરિચય|યશવંત ત્રિવેદી<br>૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪}} frameless|center<br> {{Poem2Open}} '''ત્રિવેદી યશવંત રામશંકર''' : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સર્જક-પરિચય

યશવંત ત્રિવેદી
૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪

Yashvant Trivedi.jpg


ત્રિવેદી યશવંત રામશંકર : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોનો પ્રવાસ. ૧૯૭૮ નો સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ. ‘ક્ષિતિજને વાંસવન’ (૧૯૭૧) અને ‘પરિપ્રશ્ન’ (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહો છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પનો તેમ જ પ્રતીકો, પુરાકલ્પનો દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ છટાઓને ઝીલી છે. ‘બરફની ફર્શ નીચે’, ‘બુગેનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા !’ કે ‘હું, પુલ ને વસંતની રાતો !’ યા તો ‘મારો ફૂલોનો બેટ લઈને !’ જેવી કેટલીક રચનાઓમાં આ વૈયક્તિક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. ‘પરિદેવના’ (૧૯૭૬) અને ‘પશ્ચિમા’ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્તે અને વિદેશના પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહો છે. ‘આશ્લેષા’ (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. ‘પરિશેષ’ (૧૯૭૮)માં એમનાં એકસો જેટલાં પ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે સંપાદન કર્યું છે. ‘પ્રલંબિતા’ (૧૯૮૧) એ કવિની છોત્તેર રચનાઓના જુદા જુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોનો રમેશ શુકલે સંપાદિત કરેલો ગ્રંથ છે. ‘કવિતાનો આનંદકોષ’ (૧૯૭૦) અને ‘ઝુમ્મરો’ (૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભોગ્ય કાવ્યઆસ્વાદનાં પુસ્તકો છે. ‘કાવ્યની પરિભાષા’ (૧૯૭૮) સાહિત્યની સંજ્ઞાઓ વિશેનો એમનો વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ‘ઈષિકા’ અને ‘અશેષ આકાશ’ (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. કવિતાની જેમ વિવેચનમાં પણ એમનો રંગરાગી અભિગમ આગળ તરી આવે છે. ‘ગ્રુસડાઈન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક છે. ‘થોડીક વસંત થોડાંક ભગવાનનાં આંસુ’ માં કવિતાની નિકટ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધો છે. ‘અહિંસાનું દર્શન’ (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ’ (૧૯૮૩), ‘પ્રેમધર્મનું જાગરણ’ (૧૯૮૩), ‘પૂર્ણતાનું આચ્છાદન’ (૧૯૮૩) વગેરેમાં એમનો ચિંતક અને ગદ્યકાર તરીકેનો પરિચય મળે છે. આ સિવાય વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર’ (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતોને આવરી લેતું ‘ઈન્ટરવ્યૂ’ (૧૯૮૬) જેવાં અન્ય પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ‘ગાંધીકવિતા’ (૧૯૬૯), ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ (૧૯૭૩) ‘-અને સાહિત્ય’ (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રતિયુદ્ધકાવ્યો’ (૧૯૭૭), ‘પાબ્લો નેરુદાની કવિતા’ (૧૯૮૧), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ’ (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથો છે. ‘યશવંત ત્રિવેદી-સિલેકટેડ ઓએમ્સ’ (૧૯૭૯), ‘ગુજરાતીઃ લેંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ’ વગેરે એમનાં અંગ્રેજી પુસ્તકો છે.

—પ્રવીણ દરજી