કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં

Revision as of 07:12, 17 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં

તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌયે રોયાં! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.
બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
– છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.

ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
રહી'તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ ર્હેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
– અમે આગે ચાલ્યા – રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું!

બામણા, ડિસેમ્બર ૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૧૨૧)