કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૧. ધરતીની પ્રીત

Revision as of 10:52, 3 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧. ધરતીની પ્રીત

નિરંજન ભગત

મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!

ક્યારેક કોમલ ફૂલશયને
નીંદરની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે!

ન્હાવું નથી સુરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!

૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૫૬)