કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૭. આષાઢ આયો

Revision as of 09:12, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૭. આષાઢ આયો

નિરંજન ભગત

રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાંખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

મેઘવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો!

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
બિરહમાં બાઢ લાયો!
એ આજ આષાઢ આયો!

૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૧૨૦-૧૨૧)