કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૧. કેટલીક કડી


૧૧. કેટલીક કડી

પ્રિયકાન્ત મણિયાર

કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.

*

છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,
અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.

*

નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,
જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?

*

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

*

એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)